.
રાતને જ્યારે ઊંઘ નથી આવતી ત્યારે
એ વાદળની પથારીમાં પડખાં ઘસે છે.
પૃથ્વી એને પારકી લાગે છે
અને આકાશ અજાણ્યું.
.
પોપચામાં વિચારો પોલાદના ભારની જેમ
એવા પડ્યા છે કે બીડ્યાં બિડાતા નથી.
આંખ મીંચાય તો સ્વપ્નના દ્વાર ખૂલે
પણ ઉજાગરાનો ઓથાર જંપવા દેતો નથી.
.
કશું જ કામ નથી આવતું. ડૂબી ગયેલો સૂરજ
જાણે કે જનમોજનમનો વેરી હોય એવો.
અને ચંદ્ર તો જિપ્સી – ટિપ્સી થઈને
ક્યાંક નજરની ક્ષિતિજને ઓળંગીને ચાલી ગયો છે.
.
રાતની જ્યારે માંડ આંખ મળશે ત્યારે સવાર પડી જશે
અને સૂર્ય એના ઉજાગરાનો લાલ રંગ થઈને સળગી ઊઠશે.
.
( સુરેશ દલાલ )
સારી રચના છે.
સારી રચના છે.
સુંદર રચના !
સુંદર રચના !
સુંદર રચના !