કશું નથી – ભરત ભટ્ટ ‘પવન’

.

બારી કે બારણાંઓ ત્યાં હાજર કશું નથી,

બે-ચાર છબીઓ છોડીને અંદર કશું નથી.

 .

કોણે લખ્યું છે વાક્ય અદાલતની ભીંત પર ?

કે ‘ત્રાજવું નથી તો બરાબર કશું નથી’.

 .

છે રામ ન રહીમ – જગતમાં વિકલ્પ છે,

પણ પ્રેમથી વિશેષ ખરેખર કશું નથી.

 .

એવી સભામાં શક્ય છે સૌને જવું પડે,

જ્યાં માનપાન, સ્થાન કે આદર કશું નથી.

 .

ઊંડાણના વિષયમાં સ્પર્ધા જો થાય તો,

આંખોની સામે સાત સમંદર કશું નથી.

 .

‘શરમાળછે સ્વભાવે’ – બધાનો વહેમ છે,

બાકી ‘પવન’ને કાનો કે માતર કશું નથી.

 .

( ભરત ભટ્ટ ‘પવન’ )

Share this

4 replies on “કશું નથી – ભરત ભટ્ટ ‘પવન’”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.