પ્રાર્થના : એક પ્રેરક બળ – જ્યોતિબહેન થાનકી

.

૧૯૬૮-૬૯માં મુંબઈમાં તોફાનો થયાં ત્યારે લશ્કરને બોલાવવામાં આવ્યું હતું. વેસ્ટર્ન કમાન્ડ લશ્કરી ટુકડીના વડા એલ. એસ. રાવત હતા. તેમણે મુંબઈમાં શાંતિ સ્થાપવાની જવાબદારી સ્વીકારી. તે દિવસે રવિવાર હતો. પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પત્રકારે કમાન્ડર રાવતને પૂછ્યું : ‘સાહેબ, મુંબઈમાં શાંતિ સ્થાપતાં કેટલો સમય લાગશે ?’ કમાન્ડર રાવત થોડી ક્ષણો આંખો બંધ કરી એકાગ્ર થઈ ગયા અને પછી તે પત્રકારને કહ્યું : ‘મંગળવારે સાંજ સુધીમાં શાંતિ સ્થપાઈ જશે.’

 .

પત્રકારે પૂછ્યું : ‘આપ આંખો બંધ કરીને શાંતિ કેવી રીતે સ્થપાશે એનું ’પ્લાનિંગ’ કરી રહ્યા હતા ?’ પત્રકારની સામે જોઈને કમાન્ડરે સ્મિતપૂર્વક કહ્યું : ‘My dear, I was communicating with God Almighty. I have a hot-line with him, namely prayer’. એમણે મને જે સુઝાડ્યું તે મેં તમને કહ્યું. ખરેખર મંગળવારે સાંજ સુધીમાં – ૪૮ કલાકમાં મુંબઈમાં શાંતિ સ્થપાઈ ગઈ ! આ ઘટના વિશે અમેરિકન ‘ટાઈમ’ મેગેઝિને છાપ્યું હતું : Indian army commander with heavenly Hot-Line – ઈશ્વર સાથે હોટલાઈન ધરાવતા ભારતીય લશ્કરી અધિકારી.

 .

માત્ર અધિકારીઓને જ આ હોટલાઈન આપવામાં આવે છે, એવું નથી. આ હોટલાઈનનો તાર તો પ્રત્યેક મનુષ્યના હૃદયમાં જોડાયેલો છે. પરમાત્માએ મનુષ્ય ઉપર કૃપા કરીને એવી વ્યવસ્થા કરી આપી છે કે જ્યારે તેમનો સંપર્ક કરવો હોય ત્યારે આ હોટલાઈન દ્વારા એમનો સંપર્ક કરી શકાય છે, પરંતુ બહુ ઓછા મનુષ્યો તેનો ઉપયોગ કરી જાણે છે. જેઓ તેનો ઉપયોગ કરે છે, તેઓ આ હોટલાઈન દ્વારા પરમાત્માનું સીધું માર્ગદર્શન અવશ્ય મેળવી શકે છે.

 .

પ્રાર્થના એટલે શું ?

પ્રાર્થના એટલે પ્રભુ સાથેનો સીધો વાર્તાલાપ, પ્રભુની સમક્ષ કરવામાં આવતું નિવેદન, અંતરમાંથી ઊઠતો પોકાર. જ્યારે જ્યારે મનુષ્યને અસલામતી, ભય કે મુશ્કેલી જણાય ત્યારે તે પોતાના શ્રદ્ધા પાત્ર કોઈ ગુરુ, ઇષ્ટદેવ કે કોઈ પરમ શક્તિ પાસે રક્ષણ અને સહાય માગે છે. આ માગણી એ જ તો છે પ્રાર્થના. પ્રત્યેક મનુષ્ય આ રીતે કોઈ ને કોઈ રીતે પ્રાર્થના કરતો જ હોય છે, પરંતુ એ જ્યારે પરમાત્માને નિવેદન કરે છે, ત્યારે એ નિવેદન દ્વારા પરમાત્મા સાથે સંબંધ જોડે છે. આ સંબંધ મહત્વનો છે. આથી જ પ્રાર્થના પરમાત્મા સાથેના જોડાણનો સેતુ છે. પ્રાર્થના દ્વારા મનુષ્ય શાંત, શક્તિ, હૂંફ, નિશ્ચિંતતાનો અનુભવ કરવા લાગે છે. એની પાછળનું રહસ્ય એ છે કે પ્રાર્થનાથી પરમાત્માની ચેતના સાથે તેનું અનુસંધાન થઈ જાય છે. મનુષ્યની ચેતનાનો સ્તર જ બદલાઈ જાય છે. જેમ જેમ પ્રાર્થનાનો ભાવ ઉત્કટ થતો જાય તેમ તેમ ભગવાન સાથેનું અનુસંધાન પણ વધતું જાય છે. ભગવાન તો પ્રેમ, આનંદ, જ્ઞાન અને શક્તિસંપન્ન દિવ્યચેતના છે. ઉત્ક્ટ ભાવે પ્રાર્થના કરનાર આ દિવ્યચેતના સાથે એકાકાર બનતાં તેને પ્રેમ, શક્તિ,આનંદનો અનુભવ થવા લાગે છે. આથી જ ભગવાન સમક્ષ સંપૂર્ણ નિવેદન કરી દેવાથી દરેક પરિસ્થિતિમાં સ્થિરતા આવે છે. આ સંદર્ભમાં શ્રી અરવિંદ કહે છે કે, ‘જો તમારામાં પૂરતા પ્રમાણમાં સાચી અભીપ્સા હોય, અથવા તો પૂરતા પ્રમાણમાં ઉત્કટ પ્રાર્થના હોય તો તમે બધું જ પલટી નાંખવા સમર્થ એવું કશુંક તમારામાં નીચે લાવી શકો.’

 .

પ્રાર્થના શા માટે કરવી જોઈએ ?

આપણા મનમાં એક પ્રશ્ન સ્વાભાવિક રીતે જ ઊઠે છે કે પરમાત્મા અંતર્યામી છે. તેઓ આપણી જરૂરિયાત જાણે છે. આપણા માટે શું સાચું ને શું ખરાબ તે પણ તેઓ જાણે છે, તો પછી વારંવાર એમને કહેવાની શી જરૂર ? આપણા માટે જે કંઈ જરૂરી હશે, તે તેઓ માગ્યા વગર જ આપશે. આ વાત તદ્દન સાચી છે. ભગવાન આપણી અંદર જ રહેલા છે. તેઓ સર્વ કંઈ જાણે છે, પરંતુ જ્યાં સુધી આપણને અંતરમાં રહેલા પરમાત્માની અનુભૂતિ નથી થઈ, એમની સાથે એકરૂપ બન્યા નથી, ત્યાં સુધી આપણે પ્રાર્થનાની આવશ્યકતા છે જ. જ્યાં સુધી આપણાં કાર્યો મન, બુદ્ધિ, અહંકારથી થતાં હોય, જ્યાં સુધી આપણે અલગતાનો અનુભવ કરતાં હોઈએ, ત્યાં સુધી પ્રાર્થના કરવી જરૂરી છે.

 .

ભગવાને કર્મનો કાયદો રચીને, અહંકારને અધીન મનુષ્યોને તેના આધારે છોડી દીધા છે. જ્યાં સુધી ઉત્કટભાવે તેમને પોકારવામાં ન આવે તેઓ પ્રત્યુત્તર આપતા નથી. જેઓ તીવ્રભાવે વ્યાકુળતાપૂર્વક એમને પોકારે છે, તેમને તેઓ અચૂક પ્રત્યુત્તર આપે જ છે. એનાં અનેક દ્રષ્ટાંતો સંતો, મહંતો, ભક્તોના જીવનમાં જોવા મળે જ છે. સામાન્ય રીતે મનુષ્ય દુ:ખમાં હોય, કટોકટીમાં હોય, ત્યારે પ્રાર્થના કરે છે, પણ દુ:ખ દૂર થતાં પ્રાર્થનાની ઉત્કટતા મંદ પડી જાય છે. ધીમે ધીમે પ્રાર્થના કરવાનું બંધ થઈ જાય છે. આથી પરમાત્મા સાથેનો જે સંબંધ બંધાયો હોય છે તે શિથિલ બની જાય છે. એ સંબંધને વધુ ને વધુ ગાઢ કરવા માટે સતત પ્રાર્થના કરવી જોઈએ. તીવ્રભાવે પ્રાર્થના કરતા રહેવું જોઈએ.

 .

પ્રાર્થના દ્વારા પ્રાપ્ત થતી મનની શાંતિ :

આજના યુગમાં મનુષ્યની જરૂરિયાતો વધી ગઈ છે. તેથી તેને ભારે પરિશ્રમ કરવો પડે છે. ચીડિયો સ્વભાવ, રોગિષ્ઠ અને દુર્બળ શરીર, અશાંત મન અને અસલામત જીવન-એ આજના મોટાભાગના મનુષ્યોનાં લક્ષણ બની ગયાં છે. આ સ્થિતિમાંથી મુક્ત કરી શકે એવી જો કોઈ દિવ્યઔષધિ હોય તો તે પ્રાર્થના છે. ભારે તનાવમાં પણ મનુષ્ય જો બધું જ બાજુએ મૂકીને થોડી વાર ચૂપ કરીને પ્રાર્થના કરે તો તેને અવશ્ય શાંતિ પ્રાપ્ત થાય છે. એ શાંતિમાં પછી સર્વ સમસ્યાઓનો ઉકેલ પણ મળી આવે છે.

 .

પ્રાર્થના દ્વારા પ્રાપ્ત થતી મનની શક્તિ :

મનને સશક્ત બનાવવા માટે પ્રાર્થના જેવો અસરકારક ઉપાય બીજો એકેય નથી. મહાત્મા ગાંધીજી તો પ્રાર્થનાને મનનો ખોરાક કહે છે. શરીરને ખોરાક ન મળે તો શરીર દુર્બળ થઈ જાય છે, તેમ મનને ખોરાક ન મળે તો મન પણ દુર્બળ થઈ જાય છે. આવું અશક્ત મન જલ્દી ભાંગી પડે છે. મુશ્કેલીઓ સહી શકતું નથી. મનને સશક્ત બનાવવાનો સાત્વિક આહાર પ્રાર્થના છે. પ્રાર્થનાથી મનમાં શક્તિ ઊતરી આવે છે. પરમાત્મા સાથે મનનું જોડાણ થવાથી મનની શક્તિઓમાં અનેકગણો વધારો થાય છે.

 .

પ્રાર્થનાથી દૂર થતી આંતરિક મુશ્કેલીઓ :

મનુષ્યને બહારની મુશ્કેલીઓ જ માત્ર હોતી નથી, પણ આંતરિક મુશ્કેલીઓ પણ હોય છે અને આ મુશ્કેલીઓ વધારે બળવાન હોય છે. ક્રોધ, મોહ, આસક્તિ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા-આ બધા આંતરિકશત્રુઓ મનુષ્યને પરમાત્માથી દૂર લઈ જાય છે. આ બધા શત્રુઓ સ્વપ્રયત્ને જીતી શકાતા નથી પણ તેમને મહાત કરવા પ્રાર્થનાનું શક્તિશાળી અસ્ત્ર અમોઘ છે. મનુષ્ય પોતાની અંદર રહેલાં આ આસુરી તત્વોમાંથી મુક્ત કરવા ભગવાનને જો સાચા દિલથી પ્રાર્થના કરતો રહે, તો ભગવાન અવશ્ય અને ઊંચી ચેતનામાં મૂકી આપે છે કે જ્યાં આ શત્રુઓ પ્રવેશી શકતા જ નથી. સ્વભાવગત મર્યાદાઓમાંથી મુક્ત થવા માટે પ્રાર્થના અસરકારક પરિબળ છે.

 .

( જ્યોતિબહેન થાનકી )

Share this

2 replies on “પ્રાર્થના : એક પ્રેરક બળ – જ્યોતિબહેન થાનકી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.