.
અમસ્તું પણ બહાર જવું હોય તો માણસે ઉંબરો છોડવો જોઈએ. ક્યાંક પહોંચવું હોય તો ઘરની દીવાલને વળગી ન રહેવાય. બહાર જવા માટે જો આટલું કરવું પડતું હોય, કશુંક છોડવું પડતું હોય –તો તને પામવા માટે, ભીતર પ્રવેશવા માટે માણસે કેટલું બધું છોડવું જોઈએ… પહેલાં તો છોડી દેવા જોઈએ છઠ્ઠી આંગળી જેવા લટકતા સંબંધો. આ સંબંધો જ આડે આવે છે. રચી આપે છે મોહ અને માયાનું વાતાવરણ. આપણે આપણા જ સરોવરમાં માછલી થઈને તર્યા કરીએ છીએ. અને આપણો જ એક અંશ કિનારે માછીમાર થઈને ઊભો છે અને એ જાળ ફેલાવે છે આમ આપણે જ આપણી જાળમાં ફસાયેલા છીએ. જાળમાંથી મુક્ત થઈએ અને જળમાં જ જીવીએ એનાથી બીજી પ્રાર્થના કઈ હોઈ શકે !
.
.
તારી સાથે જોડાવા માટે જગત સાથેથી છૂટવું અનિવાર્ય હોય તો હું તને એ પણ કહી દઉં કે જગત છોડીને આવ્યો છું હું તારી પાસે. તારી સાથે મારે યુક્ત થવું છે, સંયુક્ત થવું છે. તારી સાથે મારે સાધવો છે યોગ. હવે નર્યો સંયોગ. વિયોગનું નામોનિશાન નહીં. તારા વિના યોગભ્રષ્ટ થઈને જીવવાનો કોઈ અર્થ નથી. બધાંને છોડીને આવ્યા પછી તું મને હવે તરછોડી નહીં શકે. મને સ્વીકારવાની હવે પૂર્ણ જવાબદારી તારી. મારી તો આ નિતાન્ત શરણાગતિ.
.
.
પ્રાર્થના મારા એકાન્તનું જતન કરે છે, રક્ષણ કરે છે. પ્રાર્થના મારા ઈશ્વરનું લાલનપાલન કરે છે. પ્રાર્થના મારા હૃદયની ભક્તિપીઠ છે. પ્રાર્થના પિષ્ટપેષણ કે પીંજણ નથી કરતી. બુદ્ધિની આતશબાજી ફૂટતી હોય એમ પ્રાર્થના દલીલ નથી કરતી કે પ્રાર્થના નથી કરતી કોઈ ઘોંચપરોણા. પ્રાર્થનાના શબ્દો ધરતીમાંથી ફૂલનો દીવો થઈને પ્રગટે છે અને આકાશમાંથી સૂર્યકિરણ થઈને અવતરે છે. પ્રાર્થના એ મારો હિમાલય છે અને મારી અલકનંદા છે. કદીયે ન વીંખાય કે ચૂંથાય એવી મારી પ્રાર્થનાનો માળો તો તારા વૃક્ષમાં બંધાયો છે. ત્યાંથી જ મારા દિવસની ગતિ આરંભાય છે અને પાછો આવું છું ત્યારે જ મારી ગતિને સ્થિતિ મળે છે. પ્રાર્થના મારી શરણાગતિ છે. મને મારી પ્રાર્થના ગમે છે કારણ કે એની સાથે બીજું કોઈ જ નહીં પણ તું સંકળાયો છે.
.
( સુરેશ દલાલ )
ખુબ સરસ
જય સ્વામિનારાયણ…
really really its basic need of humanbeieng PRATHNA ………..khara dil thi karati prathna…………………khra arth ma sukh ane santi aape j chhe.