ઈશ્વર તો લહેરી લાલો છે – પ્રવીણ દરજી

.

ઈડિપસ, ઓડિસિયસ કે ઈફેજેનિયા

તમે સમજો, જરા નિરાંતે વિચારો

આપણે માટે હવે એક જ વિકલ્પ રહ્યો છે :

ઈશ્વરની સાથે સમાધાન કરી લેવાનો.

આપણે જિંદગીને આપણી માની લેવાની

એક મોટી ભૂલ કરી બેઠા છીએ

પણ હજી બહુ મોડું થયું નથી.

સત્યનો સ્વીકાર કરીએ અને સમજીએ

કે

જિંદગી ઈશ્વરે એની મરજીથી આપેલું

એક બંધ કવર છે.

એને ખોલવાનું નથી તેમ એ આપણી

સંપત્તિ નથી.

એને સાચવી રાખીએ એ જ ગનીમત.

ઈશ્વર તો લહેરી લાલો છે.

આપણે તંબૂઓમાં વસવા મથામણ કરતા

હોઈએ છીએ

ત્યારે એ મહેલ પધરાવી દે છે !

અને આપણે જ્યારે હસવાની ક્ષણ ઉપર

આવીએ છીએ

ત્યારે એ ડૂસકાં મોકલી આપે છે !

માગી શકે એવા માણસને તે મૂક કરી દે છે

અને મૂંગા માણસને તે વાણીના

ચમત્કારના પાઠો શીખવે છે !

આપણે ઊંચી ડોકે બ્રહ્માંડના નકશાઓ

લઈને ભલે ફર્યા કરીએ

આપણે માટે તો તેમાં નથી કોઈ ટપકું કે

નથી કોઈ તોફા

આપણે માટે તો છે તોપ, ધણધણતી તોપ

જે ક્યારેય પણ ફૂટી શકે છે, ક્યારેય

પણ આપણને ફૂંકી મારી શકે છે.

આપણે તો પેલા બંધ કવરને સાચવી

રાખીએ એ જ ગનીમત !

દીવાલ પાછળના આપણા વિશ્વને

તેથી જ ખુલ્લું કરવાની ના કહું છું.

ત્રિકમ-પાવડા મૂકી દો, એને ખોદવાની

વાત જ મિથ્યા છે.

‘નર્કાગાર’ કે ‘વેદનાગાર’ શબ્દો

ઈશ્વરના કોશમાં સદા પ્રતિબંધિત છે.

હે મારાં વ્હાલાં ભાઈ-બહેનો !

ચાલો, ઈશ્વરની સાથે આપણે સમાધાન

કરી લઈએ !

ઈશ્વર તો લહેરી લાલો છે !

 .

( પ્રવીણ દરજી )

Share this

2 replies on “ઈશ્વર તો લહેરી લાલો છે – પ્રવીણ દરજી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.