લાગણીને જીવભરી જીવવા દિયો !
અને બુદ્ધિને કહો કે બહુ બોલે નહીં;
સોનાની મૂર્તિને લોખંડના ત્રાજવામાં
મૂકીને કોઈ કદી તોલે નહીં.
.
આપમેળે ઊગે છે ફૂલ એમ લાગણી
ઝરણાંની જેમ વ્હેતી.
ઊગવાનું કેમ અને વહેવાનું કેમ
એવા વિચારે નથી રહેતી.
.
મીરાંની પાસે જઈને કોઈ દુનિયાની
પાછી કિતાબ હવે ખોલે નહીં.
સોનાની મૂર્તિને લોખંડના ત્રાજવામાં
મૂકીને કોઈ કદી તોલે નહીં.
.
કોઈના હુકમથી કોયલના લયમાં
કાંઈ કશો ફેર નહીં પડશે.
એક દિવસ કિનારો પોતે પણ દરિયામાં
હોડી થઈ દૂર દૂર ઊપડશે.
.
દિવસના તાપને કહી દો કે બહુ થયું :
ભીતરનાં સપનાં ઢંઢોળે નહીં.
સોનાની મૂર્તિને લોખંડના ત્રાજવામાં
મૂકીને કોઈ કદી તોલે નહીં.
.
( સુરેશ દલાલ )