લાગણીને જીવભરી – સુરેશ દલાલ

લાગણીને જીવભરી જીવવા દિયો !

અને બુદ્ધિને કહો કે બહુ બોલે નહીં;

સોનાની મૂર્તિને લોખંડના ત્રાજવામાં

મૂકીને કોઈ કદી તોલે નહીં.

 .

આપમેળે ઊગે છે ફૂલ એમ લાગણી

ઝરણાંની જેમ વ્હેતી.

ઊગવાનું કેમ અને વહેવાનું કેમ

એવા વિચારે નથી રહેતી.

 .

મીરાંની પાસે જઈને કોઈ દુનિયાની

પાછી કિતાબ હવે ખોલે નહીં.

સોનાની મૂર્તિને લોખંડના ત્રાજવામાં

મૂકીને કોઈ કદી તોલે નહીં.

 .

કોઈના હુકમથી કોયલના લયમાં

કાંઈ કશો ફેર નહીં પડશે.

એક દિવસ કિનારો પોતે પણ દરિયામાં

હોડી થઈ દૂર દૂર ઊપડશે.

 .

દિવસના તાપને કહી દો કે બહુ થયું :

ભીતરનાં સપનાં ઢંઢોળે નહીં.

સોનાની મૂર્તિને લોખંડના ત્રાજવામાં

મૂકીને કોઈ કદી તોલે નહીં.

 .

( સુરેશ દલાલ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.