ચાંદરણા (૩) – રતિલાલ ‘અનિલ’

ધીરજનાં બારણાં રાત્રે પણ ખૂલ્લાં રહે છે.

 .

બીજા વાવટા ફરકાવે એ માટે આપણે કાપડ વણવાનું છે.

 .

આશા કબરની માટીને કહે છે, બહાર સૂર્ય છે.

 .

કબર ખોદનારને પોતાના ભવિષ્યની જાણ હોવી જોઈએ.

 .

પ્રશ્ન એ નથી કે ઈશ્વર આળસુ છે, પ્રશ્ન એ છે કે સેતાન કામ કરે છે.

 .

પરપોટાની વોર્નિંગ છે, સમય છે, મારામાં મોઢું જોઈ લ્યો !

 .

ઊંઘમાં સરવાળો કરનારની પણ બાદબાકી થઈ જાય છે.

 .

પવન ધૂળને વહેણ, વંટોળોયો વમળ બનાવે છે.

 .

ખાલી થયાની અનુભૂતિ ચાના કપને ગરમ રાખે, માણસને નહીં.

 .

ખાનગીમાં પયગમ્બર થશો તો તમને કોઈ શૂળી પર નહીં ચડાવે !

 .

માણસ તો પોતાના વિના પણ ચલાવી લે એવો સગવડિયો છે.

 .

ખોળો પાથરવા પહેલાં લાલ જાજમ પાથરવી પડે છે !

 .

કબર એવું ઢાંકણ છે, જે ઉઘડતું નથી.

 .

માણસ ઉંબરને ઓળંગ્યા વિના પોતાને ઉલ્લંઘી જાય છે.

 .

તમારા અનુસંધાનોને તમે સંબંધો કહો છો !

 .

બારણાં બંધ કરવાથી જગત કંઈ બહાર રહી જતું નથી.

 .

સુખનું પડીકું હોય કે પારસલ – તે ખૂટી જ જાય છે.

 .

છેલ્લી સાન ન આવે એ અવસાન કહેવાય.

 .

દરેક ચાલતો માણસ કશાકમાં રોકાયેલો, અટકેલો હોય છે.

 .

છાપરું તૂટતું નથી, ઉપરવાળા પરનો ભરોસો તૂટે છે.

 .

( રતિલાલ ‘અનિલ’ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.