૧.
તમે કેટલી વખત વિચાર્યું છે કે-
હવે ક્રોધ નહિ કરીએ.
તમે શાસ્ત્રોને સાંભળીને, વાંચીને;
બરાબર સમજી ગયા છો કે-
ક્રોધ પાપ છે, ઝેર છે.
તેનાથી કોઈ લાભ નથી થતો.
તેમ છતાં જ્યારે પણ ક્રોધ આવે છે
ત્યારે તમે તેના ઝંઝાવાતમાં ખોવાઈ જાઓ છો;
સાંભળેલી કોઈ પણ વાત યાદ જ નથી આવતી.
૨.
ક્રોધ જ્યારે તમારા અંતરના બગીચાને
વેરવિખેર કરીને ચાલ્યો જાય છે
ત્યારે ફરીથી ભાન આવે છે
અને તમને પસ્તાવો થાય છે.
પરંતુ હવે પસ્તાવાનો શો અર્થ
જ્યારે નુકશાન થઈ ચૂક્યું ?
આ એક જૂની કુટેવ પડી ગઈ છે.
ક્રોધ કર્યો, પછી પસ્તાવો કર્યો;
ફરીથી ક્રોધ આવ્યો, ફરીથી પસ્તાવો…
આ રીતે ક્રોધ અને પસ્તાવો
એકબીજાના સાથીદાર બની ગયા છે,
તેમાં હવે કોઈ તફાવત જ નથી રહ્યો.
તમારો પસ્તાવો તમારા ક્રોધને રોકી નથી શકતો.
આ હકીકત પરથી એક વાત સ્પષ્ટ થાય છે
કે-તમે હજુ તમારા ક્રોધને યોગ્ય રીતે
તેના વાસ્તવિક રૂપમાં જાણ્યો નથી.
તમે ક્રોધ વિષે માત્ર સાંભળી-સાંભળીને
માની લીધું છે કે – ક્રોધ ખરાબ છે.
પરંતુ તે તમારું પોતાનું આત્મદર્શન નથી.
( ઓશો )