ઉદ્ધવ ગીત-વીરુ પુરોહિત

ગોકુળની છે બધી ગોપીઓ હજુ સુધી અણજાણ !
શ્યામ ગયા, તે શ્યામ ગયા ? કે ગયા અમારા પ્રાણ ?

પગદંડી આ રઘવાઈ જે જઈ રહી મધુવનમાં;
એને છેડે ગોકુળ આખ્ખું પહોંચી જાતું ક્ષણમાં !
રાત આખીયે બધી ગોપીઓ જમુનાકાંઠે ગાળે;
શું, ઉદ્ધવજી ! માધવ કદીયે ગોકુળ સામું ભાળે ?

મથુરાની ગત મથુરા જાણે;
અમે જાણીએ, અહીં પ્રેમનું મચી જતું રમખાણ !
શ્યામ ગયા, તે શ્યામ ગયા ? કે ગયા અમારા પ્રાણ ?

દૈવ અમારું ગયું રૂઠી, ના કશો કીધો અપરાધ;
તમે મેળવ્યું મધુ, અમારે હિસ્સે છે મધમાખ !
જીવતર લાગે હવે દોહ્યલું, આયુષ લ્યો વાઠીને;
ઉદ્ધવજી ! લઈ જાઓ, દઈએ સહુના જીવ કાઢીને !

તરશું કેવી રીતે, ઉદ્ધવ ?
ડૂબી ગયાં છે દરિયા વચ્ચે સહુનાં સઘળાં વ્હાણ !

ગોકુળની છે બધી ગોપીઓ હજુ સુધી અણજાણ !
શ્યામ ગયા, તે શ્યામ ગયા ? કે ગયા અમારા પ્રાણ ?

( વીરુ પુરોહિત )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.