ખોવાયું છે-જિતેન્દ્ર પ્રજાપતિ

લીલોતરીથી લથપથ આંગણ ખોવાયું છે,
મારા ઘરમાં મારું સગપણ ખોવાયું છે.

હા, ખોવાયું છે સંભારણ ખોવાયું છે,
બા-બાપુજી તેમ જ બચપણ ખોવાયું છે.

આ ફ્લેટ તળે દાટ્યો નથી ને કોઈ ચબૂતરાને ?
પંખીથી આજે એનું ચણ ખોવાયું છે.

મળી જાય જો ક્યાંક તો અમને કહેજો મિત્રો,
ઈચ્છાઓથી એનું ઘડપણ ખોવાયું છે.

હસવાનું ભૂલીને એ કેમ રડ્યા કરે છે ?
આંખોથી એનું બંધારણ ખોવાયું છે ?

અમથા અમથા મળી આપણે શું કરશું અહીં,
મળવા માટે હતું એ કારણ ખોવાયું છે.

ચાલ હવે ઓ જીવ અહીંથી ચાલ્યા જઈએ,
મારાથી શ્વાસોનું ઈંધણ ખોવાયું છે !

( જિતેન્દ્ર પ્રજાપતિ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.