ફૂલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે,
એને રૂઝાયેલાં જખ્મો યાદ આવી જાય છે.
કેટલો નજદીક છે આ દૂરનો સંબંધ પણ,
હું હસું છુ એકલો એ એકલા શરમાય છે.
કોઈ જીવનમાં મરેલા માનવીને પૂછજો,
એક મૃત્યુ કેટલાં મૃત્યુ નભાવી જાય છે.
પ્યાસ સાચી હોય તો મૃગજળને શરમાવું પડે,
હોય જો પીનાર તો ખુદ ઝાંઝવાં છલકાય છે.
આ વિરહની રાત છે-તારીખનું પાનું નથી,
અહીં દિવસ બદલાય છે તો આખો યુગ બદલાય છે.
એક પ્રણાલિકા નભાવું છું લખું છું ‘સૈફ’ હું,
બાકી ગઝલો જેવુ જીવન ક્યાં હવે જીવાય છે.
( સૈફ પાલનપુરી )