Category Archives: પુસ્તક પરિચય

આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?- શાંતિના આ શબ્દો… – માર્જોરી પાઈઝર

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

.

.

.

.

શાંતિના આ શબ્દો… – માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા

પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.

પૃષ્ઠ : ૬૩

કિંમત : રૂ. ૨૫/-

આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?- દ્વૌપદી – કાજલ ઓઝા વૈદ્ય

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

.

.

ખલિલ જિબ્રાનના પુસ્તક ‘પ્રોફેટ’માં એક સ્ત્રી એમને કહે છે, “અમને પીડા અંગે જણાવો.” અલમુસ્તફા કહે છે કે, “તારી પીડા, એ તારી સમજદારીને બાંધી રાખેલા ઈંડાના કોચલાની જેમ તૂટવાની એક પ્રક્રિયા છે. જેમ બીજ તૂટીને એમાંથી ફણગો નીકળે છે એમ જ પીડામાંથી સમજદારી બહાર આવે છે. કોશેટામાંથી પતંગિયું નીકળે છે એમ જ પીડામાંથી જ્ઞાન નીકળે છે.”

આ સવાલ સ્ત્રી પાસે પુછાવીને ખલિલ જિબ્રાને એક સુંદર વાત કરી છે. પીડા સાથેનો સ્ત્રીનો સંબંધ જૂનો છે. એ દરેક વખતે પોતાની અંદર ઘવાતી, પીડાતી આવી છે. સ્ત્રીનું જ્ઞાન ક્યારેય સ્વીકારાયું નથી. સ્ત્રીની આવડત, સમજદારી કે અધ્યાત્મ વિશે સતત સવાલો ઊઠતા રહ્યા છે. આજની અર્બન સ્ત્રીને સફળ થવા માટે એ જ સંઘર્ષ કરવો પડે છે જે આજથી હજારો વર્ષ પહેલાં પુરાણકાળની સ્ત્રીને કરવો પડતો હતો.

ગૌતમ બુદ્ધે સ્ત્રીઓને દીક્ષા આપવાનો ઇનકાર કર્યો હતો. એક કથા કહે છે કે આમ્રપાલી નામની ગણિકાએ બુદ્ધ પાસે દીક્ષા માંગી હતી, પરંતુ બુદ્ધે એવું કહીને એને દીક્ષા આપવાનો ઇનકાર કર્યો હતો કે, “ફરસી નીચે મસ્તક મૂકવું કે વિકરાળ વાઘના મુખમાં પડવું સરળ છે, પરંતુ ગણિકાના મોહમાં ફસાવું એથીયે વધુ ભયાનક છે.”

બુદ્ધનો ઉછેર કરનાર ધાત્રી મહાપ્રજાપતિ ગૌતમીને સંસાર ત્યાગીને ભીખ્ખુ સંઘમાં ભળવું હતું. એણે ત્રણ વાર વિનંતી કરી અને બુદ્ધે ત્રણ વાર ના પાડી.

એ સિવાયના કેટલાક ધર્મોમાં સ્ત્રીઓને દીક્ષા આપવાનો કે દર્શનનો નિષેધ છે. આ કેમ છે, શા માટે છે એ વિશેનો સવાલ દરેક વખતે, દરેક યુગમાં, દરેક સ્ત્રીએ પૂછ્યો છે.

રાજ્યસભાની વચ્ચે જે દ્વૌપદીએ કુરુવંશના અનેક વડિલો અને દુર્યોધનને સવાલ પૂછ્યો હતો કે, “મારા પતિ પહેલા મને હાર્યા કે પોતાની જાતને ?” ત્યારે એનું અપમાન કરવામાં આવ્યું હતું. એ જ દ્વૌપદીએ વર્ષો સુધી એક પણ સવાલ પૂછ્યા વિના સતત એ જ પાંચ પતિઓની સેવા કરી હતી એ વિશે કોઈએ ઉલ્લેખ સુદ્ધાં કર્યો નહીં.

એક સ્ત્રીએ જ – એની સાસુ કુંતીએ જ એને પાંચ પુરુષો વચ્ચે વહેંચાવાનો આદેશ આપ્યો હતો, તેમ છતાં એણે અનૌરસ કર્ણના મોઢે ‘વેશ્યા’ શબ્દ સાંભળવો પડ્યો ત્યારે કોઈએ ઊભા થઈને એનો પક્ષ ન લીધો !

સમાજની આ આખીયે વ્યવસ્થા સ્ત્રી વિરોધી શા માટે છે એ સવાલ હવે ખરેખર મહત્વનો બનતો જાય છે. કારણ કે સ્ત્રી સમાજવ્યવસ્થાના પાયામાં છે. દરેક વખતે કોઈ પણ સમાજ જ્યારે હચમચી ઊઠે ત્યારે એના પાયા – એના પાયામાં રહેલી સ્ત્રી હચમચી ઊઠી છે એમ ચોક્કસ માની લેવું.

સ્ત્રી બદલાતા સમાજની સાક્ષી અને સાધન બંને છે, કારણ કે નવા સમાજને પોતાના શરીરમાંથી અને પોતાના મનમાંથી એણે જ જન્મ આપ્યો છે. સ્ત્રી જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી જ સમાજવ્યવસ્થાને આધીન રહે છે. સમાજવ્યવસ્થા તોડી નાખવાનું સ્ત્રી માટે અત્યંત સરળ છે, કારણ કે સ્ત્રીના ચારિત્ર્ય પર આ સમાજવ્યવસ્થાના પાયા ગોઠવાયેલા છે. કોઈ પણ સમાજ જ્યારે પણ સ્ત્રીને અવગણીને આગળ વધે છે ત્યારે એ સમાજ બહુ પ્રગતિ સાધી શકતો નથી.

જેમને વેદો-પુરાણોમાં શુદ્ર તરીકે ઓળખાવાય છે તેવા લોકોના સમાજ બહુ પ્રગતિ સાધી શકતા નથી, કારણ કે ત્યાં સ્ત્રી સન્માનની પ્રથા નથી. સ્ત્રીની નિરક્ષરતા આખાય સમાજની નિરક્ષરતા છે કારણ કે નિરક્ષર માતા ભાગ્યે જ સાક્ષર કે વિદ્વાન બાળક ઉછેરી શકે છે.

સ્ત્રીનો સ્વભાવ એક જ પુરુષ સાથે બંધાઈને રહેવાનો અને સલામતી ઝંખવાનો છે, પરંતુ એ સહી શકે એનાથી વધારે અત્યાચાર એના ઉપર ગુજારવામાં આવે ત્યારે એમાંથી જન્મેલો વિદ્રોહ સર્વનાશ સર્જે છે. સ્ત્રીનો વિદ્રોહ સમાજને બદલે છે – બદલવાની ફરજ પાડે છે.

બહુ શાંતિથી વિચારીએ તો સમજાશે કે પુરુષ ભાગ્યે જ બદલાયો છે. આજથી ૨૦ વર્ષ પહેલાંના પુરુષમાં અને આજના પુરુષમાં ઝાઝો ફરક નથી પડ્યો. એની જરૂરિયાત, માનસિકતા અને માન્યતા આજે પણ એ જ છે જે આજ થી ૨૦ વર્ષ પહેલાં હતાં. મા-બહેન-પત્ની કે દીકરીને અમુક રીતે સુરક્ષિત રાખવી અને બહારની સ્ત્રીને ઉપભોગની દ્રષ્ટિએ જોવી એ પુરુષની માનસિકતા ત્યારે પણ હતી અને આજે પણ છે. એને માટે ત્યારે પણ સ્ત્રી મનોરંજન અને ઉપભોગનું, સવલતનું અને સેવાનું સાધન હતી આજે પણ છે. એને માટે ત્યારે એની પત્નીએ એનું કહ્યું માનવું જરૂરી હતું આજે પણ છે…

ખરું પૂછો તો છેક પુરાણોના કાળથી પુરુષના મન અને વિચારોમાં બહુ ઝાઝો ફેર પડ્યો નથી પરંતુ સ્ત્રી પ્રત્યેક યુગે બદલાઈ છે. એણે પોતાનો વિકાસ જાતે સાધ્યો છે અને એનું કારણ એની પીડા છે. ફિનિક્સ પંખી પોતાની જ રાખમાંથી ઊભું થાય છે. એવી રીતે સ્ત્રી દરેક વખતે પોતાના જ વિનાશમાંથી નવું સર્જન કરે છે.

જેમ બીજને ઊગવા માટે ધરતીમાં દબાવવું પડે છે એમ દબાયેલી, કચડાયેલી સ્ત્રી ફણગો ફોડીને વિકસે છે અને વિશાળ વૃક્ષ બની જાય છે. જ્યારે પુરુષ માટીની જેમ ત્યાંનો ત્યાં જ રહી જાય છે. ભર્તૃહરિએ પોતાના એક શ્લોકમાં આ વાત કહી છે.

મનુસ્મૃતિમાં મનુએ પતિ-પત્નીને એમનો ધર્મ સમજાવવાની સાથે જ પતિને પત્નીનો આદરસત્કાર કરવાનો આદેશ અપ્યો છે. મનુએ પત્નીનું માનસન્માન શા માટે કરવું જોઈએ એ વર્ણવવા ત્રીજા અધ્યાયમાં કેટલાક શ્લોકો રચ્યા છે.

-“જ્યાં સ્ત્રીનો આદરસત્કાર થાય છે ત્યાં દેવીદેવતાઓ પ્રસન્ન થાય છે પણ જ્યાં એમનો સત્કાર થતો નથી ત્યાં યજ્ઞયાજ્ઞાદિ સર્વ ધર્મક્રિયાઓ વિફળ નીવડે છે.”

-જ્યાં પત્ની, ભગિની, પુત્રી, દેરાણી, જેઠાણી, સાસુ, વહુ, નણંદ વગેરે સ્ત્રીઓ શોક કરે છે તે કુળ તત્કાળ નાશ પામે છે પણ જ્યાં તેઓ શોક કરતી નથી તે કુળ હંમેશાં વૃદ્ધિ પામે છે.

-‘આદરસત્કાર નહીં પામેલી પત્ની, બહેન વગેરે સ્ત્રીઓ જે ઘરને શાપ આપે છે તે ઘરો જાણે કૃત્યાથી હણાયાં હોય તેમ ચારેબાજુથી નાશ પામે છે.’

-‘ઐશ્વર્યેચ્છુ પુરુષોએ સત્કારના પ્રસંગોમાં તથા ઉત્સવોમાં દાગીના, વસ્ત્રો અને ખાનપાનોથી સ્ત્રીઓનો નિત્ય સત્કાર કરવો.’

સ્ત્રીઓ વિશેના પરસ્પર વિરોધી આટઆટલાં મંતવ્ય છતાં આ જગત સ્ત્રી વિના ચાલી શકે તેમ નથી એ સત્ય છે. કોઈ નવલકથા, વ્યાખ્યાન, કવિતા કે સિનેમા પણ સ્ત્રીની હાજરી વિના રસહીન-અર્થહીન બની જાય છે.

સ્ત્રીઓની કથાઓ અત્યંત પ્રચલિત છે. મહાભારત, રામાયણથી શરૂ કરીને આપણી વાર્તાઓમાં સ્ત્રીઓનાં જુદાં જુદાં પાત્રો જોવા મળે છે. આમાંનાં કેટલાંક પાત્રોનો માત્ર નામોલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ કરીને મહાભારત અને રામાયણમાં આવાં પાત્રો ઘણાં મહત્વનાં હોવા છતાં એમના વિશે ખાસ કશું લખાયું નથી.

એમની પીડા, એમની મનોવ્યથા, એમના સુખ કે એમની સમજદારીની કથા મેં એમના જ મુખે લખવાનું નક્કી કર્યું છે.

‘હું’ – ફર્સ્ટ પર્સન સિંગ્યુલરમાં લખાતી આ કથા સ્ત્રીની પોતાની કથા છે.

આ કોઈ ઇતિહાસ, સંશોધન કે બીજા સંદર્ભ ગ્રંથો પર આધારિત દાખલા-દલીલો ટાંકીને કરવામાં આવતો શાસ્ત્રાર્થ નથી જ. આ કથા છે, એવી સ્ત્રીની, જેમને કંઈ કહેવું છે…એમની પોતાની કથા તમે જાણો, સાંભળો એવું કદાચ આ સ્ત્રી પણ ઇચ્છતી હશે.

એવાં સંવેદનો, જેને તમે પોતીકાં માન્યાં હશે એવી લાગણીઓ, જેમાં ક્યાંક તમે તમારું પ્રતિબિંબ જોઈ શક્યા હશો.

સ્ત્રી હોય કે પુરુષ – સંવેદનોની તીવ્રતા ભિન્ન હોઈ શકે સંવેદનાઓ ક્યારેય ભિન્ન નથી હોતી.

આ કથા કહેવાનું એકમાત્ર કારણ એ છે કે જેને ક્યારેય મહત્વ નથી આપવામાં આવ્યું અથવા જેમના શબ્દ આપણા સુધી નથી પહોંચી શક્યા એવી સ્ત્રીને પુરાણોનાં પાનાંઓમાંથી જગાડીને સદીઓથી એની આંખો પર છવાઈ ગયેલાં ઊંઘનાં આવરણ હટાવીને મારે કશુંક એવું કહેવું છે, જેમાં એ સ્ત્રી તો છે જ – સાથે સાથે થોડીક હું છું, થોડાક તમે છો અને થોડીક આપણી સહભાગે વહેંચાતી સમસંવેદનાઓ છે.

આ દ્વૌપદી ‘આજની’ છે…હજી જીવે છે ક્યાંક, તમારામાં અને મારામાં પણ !

( કાજલ ઓઝા વૈદ્ય )

દ્વૌપદી – કાજલ ઓઝા વૈદ્ય

પ્રકાશક : આર. આર. શેઠની કંપની પ્રા. લિ.

પૃષ્ઠ : ૨૫૫

કિંમત : રૂ. ૧૯૫/-

આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?- ઇડલી, ઓર્કિડ અને મનોબળ –વિઠ્ઠલ વ્યંકટેશ કામત

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

.

.

‘ઇડલી, ઓર્કિડ અને હું’ની પ્રથમ આવૃત્તિ ૨૦૦૫માં ગુજરાતીમાં પ્રગટ થઈ હતી. ત્યારે પુસ્તક હાથમાં આવ્યું હતું પણ પુસ્તક વિશે કોઈ માહિતી ન્હોતી એટલે ખરીદ્યું ન્હોતું. તે પછી એ વિશે જાણવા મળ્યું પણ પછી પુસ્તક મળ્યું ન્હોતું. ૨૦૧૦માં ‘ઇડલી, ઓર્કિડ અને હું’ની જ્ગ્યાએ ‘ઇડલી, ઓર્કિડ અને મનોબળ’ના નામે બીજી આવૃત્તિ પ્રગટ થઈ. જે આખરે મેં હમણાં થોડો સમય પહેલા ખરીદી લીધી.

 .

વિઠ્ઠલ કામતની સંઘર્ષકથા જે કઠોર પરિશ્રમના ફળ સ્વરૂપે સફળતામાં પરિણમી એ મને તો વાંચવાની બહુ જ મજા આવી. વધારે હું કંઈ એ વિશે કહું એના કરતાં આ પુસ્તકના શબ્દોને જ બોલવા દઈએ. મને ગમતી વાતો આ પુસ્તકમાંથી મૂકું છું.

 .

  • હું ઊભો થયો ને ‘ઓર્કિડ’ની અગાશી પર આવેલી રેસ્તરાંમાં ગયો. અહીંથી એરપોર્ટનું વિહંગમ દ્રશ્ય દેખાય છે. મિનિટે મિનિટે આકાશમાં ઉડાન ભરતું વિમાન, મને થઈ આવ્યું માણસે પણ આવું જ હોવું જોઈએ. પાંખ ફેલાવીને આકાશને બાથમાં લેવાની વૃત્તિ અને ધગશ જો હોય તો તમે કાંઈ પણ કરી શકો છો. હા હા, કાંઈ પણ !
  • આપણી પાસે બુદ્ધિ છે, શિક્ષણ છે, મહેનત કરવાની તૈયારી પણ છે. તો પછી આપણે બિઝનેસના ક્ષેત્રમાં વધુ ને વધુ યશ મેળવવો જોઈએ.
  • આટલાં વર્ષોના અનુભવો પરથી હું તમને સફળ થવાની એક ગુરુચાવી ચોક્કસ આપી શકું. ડિટરમેશન, ડેડિકેશન અને ડિસિપ્લીન. આ ત્રણ ‘ડી’ને જો ડેસ્ટિનીનો સાથ મળી જાય તો તો પછી કોઈ જ વાત અશક્ય નથી.
  • આપણા સહુમાં એક હીરો છુપાયેલો જ છે. પણ એને પાસા પાડવાની જવાબદારી આપણી રહે છે.
  • ગણેશાપ્રાસાદમાં આખું વરસ નિત-નવા કાર્યક્રમો થતા રહેતા. હું એ બધામાં હોંશભેર ભાગ લેતો. જોકે નાચવા-ગાવા કે મહાલવા પૂરતો જ નહીં, કપ-રકાબી વીછળવાથી માંડીને પડદા ખેંચવા સુધીનું કોઈપણ કામ કરવાની મારી તૈયારી હોય. એમાંથી એક જ સામજિક સજાગતા ઊભી થતી ગઈ. કોઈ પણ કામ કરવામાં નાનમ નથી એ વાત મારા મનમાં ઊંડે સુધી ઊતરી ગઈ અને ખાસ તો એ કે જવાબદારી ઉપાડવાની એક સારી આદત મને ત્યાંથી જ પડી.
  • મને લાગે છે કે મારા બાપુજી વ્યંકટેશ કામત ઘણું ખરું જાપાની હોવા જોઈએ. કારણ કે એમનો તો હંમેશનો એક જ તકિયા કલામ ‘નામ કામત છે, તો કામ કર !’ આ વાક્ય એમણે પોતાને જ ગાઈ વગાડીને કહી રાખ્યું હોય તેમ તેઓ પોતે જિંદગીભર એ રીતે જ વર્તયા. કામ, કામ, સતત કામ. પરોઢિયે ઊઠી જવાથી માંડીને રાત્રે મોડેથી પથારીમાં લંબાવે ત્યાં સુધી એ કામ જ કરતા રહેતા. એનું કારણ એવું હતું કે એમણે પોતાની અટકને શબ્દશ: અર્થ સાથે ગંભીરતાથી આવકારી હતી. આથી જ એ તરી ગયા, જીવી ગયા ને ઊંચેરા બની ગયા.
  • ઘણી જગ્યાએ છેતરપીંડી થતી પણ બાપુજી એમાંથી એટલું જ શીખતા ગયા કે, ‘આપણે ક્યારેય કોઈનેય છેતરવું નહીં.’
  • નાનું બાળક ભૂલ કરતું હોય તો એને મારવું એ જ એક ઉપાય નથી તેમ એને છાવરીને બચાવવું એ પણ સત્યથી દૂર ભાગવા જેવું છે.
  • બાપુજી અમને સંબોધીને હંમેશાં એક વાક્ય તો અચૂક બોલે જ : ‘તમારાથી જિંદગીમાં કાંઈ થવાનું નથી.’ છે ને ! કોઈ માણસમાં વિરોધાભાસ કેટલી હદે ભરાયેલો હોઈ શકે ! અમે ભણી-ગણીને મોટા થઈએ, કાંઈ કરીએ એવી આશા રાખનારા, વખત આવ્યે કઠોર થનારા અમારા બાપુજીના મોઢેથી આવો નિરાશાનો સૂર કોણ જાણે કેમ નીકળતો હશે ? એમનું આ વાક્ય એકસરખું કાન પર વાગ્યા કરવાથી મને ચાટી જતી અને હું મનમાં જ બોલી ઊઠતો, ‘હું તમને કાંઈ કરી બતાવીશ!’
  • મારાં મા-બાપુજી બન્ને આપનારાં હતાં. એમના સદ્દકાર્યોએ મારી સામે એક આદર્શ ખડો કર્યો હતો.
  • સારું વાવશો તો સારું લણશો.
  • સામાન્ય રીતે આપણે અવું માનતા હોઈએ છીએ કે ધંધો ને ઈમાનદારી એ બેઉ એકસાથે ન ચાલે. પણ મારા બાપુજીએ ધંધામાંથી ઈમાનદારી ક્યારેય બાદ કરી નહીં. અને તોય સારામાં સારી રીતે ધંધો કરી બતાવ્યો.
  • તમારા પેટમાં ભૂખ હોય, તમારા મનમાં કોઈ જાતનાં શરમ-સંકોચ ન હોય અને તમારા કાંડામાં જોર હોય તો તમે કોઈપણ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢી શકો છો; હા, કોઈ પણ પરિસ્થિતિમાંથી.
  • હું મારી જાતને ‘બિઝનેસમેન’નથી કહેતો. પણ હું છું એન્ટરપ્રિન્યોર (ફ્રેંચ-આંત્રપ્રીનર). જેનો અર્થ શબ્દકોશમાં જોખમ ખેડીને ધંધો કરનારો એવો થાય છે. એ જન્મીને આવતો નથી, એને ઘડવો પડે છે. એવી રીતે મેં પણ મારી જાતને પ્રયત્ન કરી કરીને ઘડી છે, કેળવી છે. એન્ટરપ્રિન્યોરને ફક્ત પૈસાના ખણખણાટમાં રસ નથી હોતો, એના માટે એથીય મહત્વની છે અફલાતૂનને ચમકતી કલ્પનાઓ. આ કલ્પનાઓને વ્યવહારમાં ઉતારવા માટે એ આકાશાપાતાળ એક કરી મૂકે છે. અને છેવટે જ્યારે એની કલ્પના એના આકાર પ્રમાણે વ્યવહારમાં ઊતરે છે ત્યારે પોતે કેટલા પૈસા કમાયો ને કેટલા ગુમાવ્યા એના કરતાં એનું સપનું સાચું પડ્યાનો આનંદ જ એન્ટરપ્રિન્યોરને વિશેષ હોય છે.
  • એન્ટરપ્રિન્યોર થવા માટે સાત બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. કાંઈ જુદું જ કરી બતાવવાની જબરજસ્ત ઈચ્છા, ચમકતી કલ્પનાઓ, નવીનતા પ્રત્યેનો ગમો, કોઈનું પીઠબળ ક્યાં તો ગુરુ, ધ્યેય, આત્મવિશ્વાસ અને આવતી કાલને પારખવાની નજર.
  • તમારી કલ્પના ફક્ત નવીનતાભરી છે એટલું જ બસ નથી, એ માટે વ્યવહારનું ગણિત સરખું બેસાડવું જોઈએ.
  • આજે ધંધામાં લોકોની દાનત એવી હોય છે કે બને ત્યાં સુધી તો કોઈને પૈસા ચૂકવવા જ નહીં અને જો ચૂકવવા જ છે તો થાય તેટલી મુદત લંબાવ્યે રાખવી. એ રીતે જોતાં હોટેલનો ધંધો કરનારા બાપુજીનું વર્તન બીજા કોઈને સાવ મૂર્ખામીભર્યું લાગે પણ એક વાત ચોક્કસ કે બાપુજીએ પોતાના આવા વર્તનને લીધે લોકોનાં માન અને શુભેચ્છા બહોળા પ્રમાણમાં મેળવ્યાં.
  • આજ્ઞાંકિતપણું અને બળવાખોરી આ બન્ને બાબત જેમ એકબીજાની સાથે હળીમળીને રહે છે તેવી જ રીતે જૂના હઠાગ્રહો દૂર થતાં એ જ જૂના થડને ફરીથી નવી ડાળીઓ-કુંપળો ફૂટી નીકળે છે એ વાત તો સો ટકા સાચ્ચી !
  • ધંધાની રીતે કોઈ માને કે ન માને પણ ધંધો ચલાવવા માટે જેમ બુદ્ધિની જરૂર પડે છે તેમ હૈયાની પણ પડે છે. લાગણીઓની બાબતમાં શું ને કેમ એવા વિચારો ઊભા થતા નથી ! ‘બસ ! મન લાગતું નથી.’ એનાથી વધીને કહેવાની કાંઈ જરૂર રહેતી નથી.
  • જેને ચોક્કસ સફળ થવું છે તેના માટે એક જાદૂઈ મંત્ર પણ ચોક્કસ હોય છે. હા, થોડો વખત એ મંત્ર ગુલબકાવલીના પેલા ફૂલની જેમ તમને ભૂલમાં નાંખી દે છે. પણ તેથી કાંઈ નિરાશ થવાની જરૂર નથી. એ મંત્રની શોધખોળ તો ચાલુ જ રાખવાની છે. ને પછી ક્યારે ને ક્યારેક તો તમને મંત્ર ચોક્કસ જડી જાય છે.
  • મારા જેવો એક સીધો-સાદો રેસ્ટૉરન્ટવાળો ‘ઓર્કિડ’ જેવું ફાઈવસ્ટાર-ડીલક્સ-ઈકોટેલ ઊભું કરી શકે એવું તો હું પોતેય જાણતો નહોતો. પણ તે શક્ય છે. ‘એ માટે જિંદગીને ચોક્ક્સ રીતે આકારવી પડે છે અને સતત ધ્યેય પર નજર માંડીને એ જ દિશામાં પ્રવાસ કરતા રહેવું પડે છે.’ એ પ્રવાસમાં ગમે તેટલાંય સંકટો આવે તોય નાસીપાસ થઈને ભાગી છૂટવાની જરૂર નથી. સફળ થવા માટે પહેલી વાત તો એ કરવાની કે આજ પછી તમારી પત્ની, તમારી પ્રિયતમા, તમારું સર્વસ્વ એ બધું જ કાંઈ તમારું કામકાજ છે, એ જ તમારો ધંધો છે.
  • મારા બાપુજી કહેતા, ‘માણસનાં લગ્ન બે વાર થાય છે. એક વાર જીવનસંગિની પત્ની સાથે અને બીજી વાર ધંધા સાથે.’ તો હું એવું કહેતો રહ્યો, ‘હોટેલનો વ્યવસાય મારી ગર્લફેન્ડ છે.’ તેથી જ વ્યવસાય કરવામાં, હંમેશાં નવા નવા પડકારો ઝીલવામાં સફળ થવામાં એક જાતનો રોમાન્સ રહેલો હોય છે.
  • અમે બધા જ રાતદિવસ કામ, કામ ને કામ જ કરતા રહેતા. સફળ થવું હોય તો કામનો નશો ચઢવા લાગે છે. મને એ સમજાયું હતું. એને માટે મારે કોઈ ફરિયાદ પણ નહોતી.
  • તમને જે કલ્પના કે વિચાર સૂઝે તે બીજા કરતાં જુદો હોવો જોઈએ. ‘મી ટુ’ – ‘હું પણ’  એવી કલ્પના બહુ સફળ થતી નથી. બિઝનેસમાં હું કાંઈ આગવું, મારી રીતે કરી બતાવું એવી ખંત હોય તો સફળ થવાની ખાતરી ખરી.
  • સફળ થનારાઓએ પોતાના કામકાજમાં સતત પરિવર્તન લાવવાનો આગ્રહ રાખવો.
  • સફળતા તરફ લઈ જનારા જાદૂઈ મંત્રનું છેલ્લું પગથિયું એટલે યોગ્ય ગુરુ મળવા !
  • પૂર્વતૈયારીઓનું મહત્વ મને આજે નહીં, ઘણાં વરસો પહેલાં સમજાયું હતું. અમારી હોટેલ ઈન્ડસ્ટ્રીનો બધો યશ આ પૂર્વતૈઅયરી પર જ આધારિત હોય છે. ઘરાક ઓર્ડર આપે એની દસ મિનિટમાં તો એની સામે ગરમાગરમ વાનગી રજૂ થાય છે. એનું રહસ્ય શું ? વાટેલી, સમારેલી, બાફેલી બધી જ ચીજ તૈયાર હોવી જોઈએ…તો જ દ્રૌપદીની થાળીની જેમ અસંખ્ય લોકોની ક્ષુધાશાંતિ કરવાનો યશ મળી શકે.
  • ….દરેકના સંસારમાં એકબીજાને સમજી લેવું, એકબીજાની પડખે ઊભા રહેવું એ બધું મહત્વનું હોય છે. પણ મારા જેવા બિઝનેસ-વાળા માટે તો અતિ મહત્વનું બની રહે છે. વેપારધંધામાં અનેક વા-વંટોળ આવતા રહે છે. આવે વખતે તમારા જીવનસાથીનો મજબૂત ટેકો તમને ન મળે તો સમજો સત્યાનાશ; સંસારનો અને તમારોય ! આ બાબતમાં હું ભારે ભાગ્યશાળી છું. મારાં મા-બાપુજીએ અને વિદ્યાએ મને વખતોવખત સંભાળી લીધો છે; મને સહાયરૂપ થયાં છે. કોઈ પણ વૃક્ષને જેમ અનુકૂળ હવામાન અને ખાતરપાણીની જરૂર રહે છે તેવું જ એન્ટરપ્રિન્યોરનું પણ. કારણ કે એન્ટરપ્રિન્યોર એટલે ચીલો ચાતરીને સપનાં જોનારો.
  • ભલાઈ એ આપવાથી ઘટતી નથી, ઊલટાની વધે છે. જિંદગીમાં એ તમને ક્યાં ને ક્યારે ઉપયોગી થઈ પડે એ કાંઈ કહેવાય નહીં. પણ ધ્યાનમાં રાખવાની વાત એક જ કે ભલાઈ કરવી, પરોપકાર કરો પણ નિરપેક્ષવૃત્તિથી, સાચા મનથી કરવો ! ફળની અપેક્ષા રાખ્યા વિના કામ કરો તો એનાં ફળ સારાં જ મળે છે.
  • જિંદગીના મહત્વના નિર્ણયો ક્યારેય પણ લાગણીના કે હૈયાના જોરે લેવા નહીં, દિમાગના જોરે લેવા.
  • ‘ઓર્કિડ’માં જ્યારે જ્યારે પણ ‘પૈસા બચાવો’ની ઝૂંબેશ ઉપાડી છે ત્યારે મેં મેનેજમેન્ટના સભ્યો સાથે સ્ટાફનેય વિશ્વાસમાં લીધો છે. એના લીધે એક તો સામૂહિક ભાવના પેદા થતી હતી. અને સાથોસાથ એવી એક ધગશ પણ ઊભી થતી કે આપણે બધાએ ભેગા થઈને જ આ સમસ્યાનો નિકાલ લાવવાનો છે.
  • ફાઈવસ્ટાર હોટેલ ચલાવવા માટે ફાઈવસ્ટાર સંસ્કૃતિની જરૂર નથી હોતી. એમાં આવશ્યકતા હોય છે આતિથ્ય-ભાવનાની જે મારાં બા-બાપુજીએ મારામાં પોષી છે. આજે હું ગર્વથી કહી શકું છું, મારું ‘બલ્ડ-ગ્રૂપ’ છે ‘એચ’. ‘એચ’ ફોર હોસ્પિટેલિટી.
  • ‘ઓર્કિડ’સોએ સો ટકા ઈકોટેલ (પર્યાવરણયુક્ત) છે. એનું બાંધકામ, એની સજાવટ, એની સર્વિસને લગતી દરેક બાબતમાં વાતાવરણની સમતુલા જાળવવામાં આવી છે. ‘ઓર્કિડ’માં જે ‘પદ્ધતિ’ વાપરવામાં આવી છે તે છે-
    • Reduce, Reuse, Recycle !’

એનો અર્થ એવો કે એકેય ચીજવસ્તુ વેડફશો નહીં, બને ત્યાં સુધી એને ફરી વપરાશમાં લો અને ફરી પ્રક્રિયા કરીને એ જ વસ્તુ પૂરેપૂરી ઉપયોગમાં લઈ શકાય એવી ચીવટ રાખો. એવી રીતે ‘ઓર્કિડ’ના મંત્રો નીચે મુજબ છે :

  • ‘Delux need not disturb.’

એટલે કે એશાઆરામ માટે થઈને પર્યાવરણની સમતુલા બગાડવાની જરૂર નથી.

  • ‘Comfort need not compromise’

એટલે કે સુખસગવડ મેળવવા માટે પર્યાવરણનાં તત્વો સાથે બાંધછોડ કરશો નહીં.

  • ‘Entertainment need not insensitive.’

એટલે કે મનોરંજન માટે લાગણીહીન થઈને કુદરતનો ભોગ લેશો નહીં.

  • મારી એક નકામી આદત એટલે આગળ-પાછળનો વિચાર કર્યા વગર પડકાર ઝીલી લેવો. કોઈ કહે કે ‘આ કામ તારાથી નહીં થાય’ તો હું ફટાક દઈને કહેતો ‘ના શું થાય?’ અને પછી કાંઈ લેવા-દેવા વગર હું એ કામ કરી બતાવવા માટે તનતોડ પ્રયત્નો કરતો.
  • ધંધાદારીઓ માટે બે જોખમકારક બાબત રહેલી છે. એક તો લાગણીથી દોરાવું ને ગમે તેના પર ભરોસો કરવો. મારામાં આ બન્ને દુર્ગુણો પુષ્કળ પ્રમાણમાં છે. એની સાથેસાથ બે-હિસાબીપણું, બે-ફિકરાઈ અને બે-શિસ્ત પણ એટલાં જ ! આ બધાંને લીધે ક્યારેક ક્યારેક તો એવા ફટકા પડે ને, કે પછી જ આંખ ઊઘડે. આવા વખતે મારા પોતાના જ કાન પકડીને હું મારી જાતને કહી રાખું છું, ’જો હવે ફરી આવું નથી કરવાનું.’
  • મારા વ્યક્તિત્વનું એક સબળ પાસું એટલે હું આજન્મ વિદ્યાર્થી છું. શિક્ષણ કાંઈ શાળા-કોલેજોમાંજ મળે છે એવું નથી. જીવનનો પ્રત્યેક અનુભવ તમને કાંઈ ને કાંઈ શિખવાડતો જાય છે.
  • સફળ માણસો માટે બધાને કુતૂહલ હોય છે, એમના માટે અહોભાવ હોય છે. પણ એ સફળતા સુધી પહોંચનારી સીડી કાંઈ એક જ દિવસમાં ચઢી જવાતી નથી. જેને સફળ થવું છે તેમણે આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. મોટે ભાગે તો સફળ થનારો માણસ એક પછી એક પગથિયાં ચઢીને સીડીએ પહોંચ્યો છે અથવા તો પર્વતની ટોચે ઊભો છે એવું ચિત્ર દોરવામાં આવે છે. પણ ખરી રીતે જુઓ તો સફળ થવા માટે પહેલાં એક નાનો ત્રિકોણ, પછી એની ભૂજા લંબાવીને થયેલો મોટો ત્રિકોણ, પછી એવી જ રીતે વધુ ને વધુ ઊંચો થતો જતો ત્રિકોણ એવી વૃદ્ધિ થવી જોઈએ. જેથી પાયો મજબૂત રહે અને ઊંચાઈ વધતી જાય.
  • આ પદ્ધતિને કહે છે ‘સકસેસ ટ્રાયેંગલ’. મને આ પદ્ધતિ પર પૂરો વિશ્વાસ છે. અથવા જો શિખર આંબવું હોય તો પહેલાં નાની ટેકરીનું શિખર, પછી એકાદા ડુંગરાનું શિખર, પછી પર્વતનું શિખર એમ પ્રવાસ થતો રહેવો જોઈએ. સફળ થવાના રસ્તે આવતાં ખીણ-ખાડા-ખૈયા-વાંકાચૂકા વળાંકો ઓળંગવાનાં હોય છે…તો જ શિખર સર કર્યાનો સંતોષ થાય છે. ગ્રાહકને ઉપયોગી થનારી ચમકતી કલ્પનાઓ એટલે જ ધંધાની સફળતાની ગુરુચાવી. આ કલ્પના જેટલી અફલાતૂન, જેટલી નવી તેટલો જ તેનો વિરોધ થવાનો છે એટલું ધારીને જ ચાલવાનું છે. આવા વિરોધને ન ગણકારતાં હાડનો એન્ટરપ્રિન્યોર પોતાની કલ્પના આકારે છે, સાકારે છે, એને સફળ કરી બતાવે છે અને એવી રીતે જ દુનિયાનો ક્રમશ: વિકાસ થતો હોય છે.
  • કોઈ પણ ઓર્ગેનાઈઝેશનમાં જો એ સંસ્થાનો અને ત્યાંના લોકોનો વિકાસ કરવોહોય તો શિખર પર બેઠેલો માણસ જ માખણ ખાધે રાખે ને એના હાથ નીચેના માણસો ભૂખ્યા રહે એ બરાબર નથી. બધાને જ ફાયદો થવો જોઈએ. બધાનો જ વિકાસ થવો જોઈએ. હું જો ગાડી ચલાવતો હોઉં તો મારા હાથ નીચેના લોકોને કાંઈ નહીં તો છેવટે સ્કુટર તો આપી શકું એવો મારો ભાવ હોવો જોઈએ. હાથ નીચેના માણસો સાઈકલ પણ લઈ શકતા નથી ને બોસ મર્સિડિઝમાં ફરે છે એ વાત મને રુચતી નથી.
  • દિવસમાં જેટલો સમય હું મારા વ્યવસાયને આપું છું તેટલો જ સમય હું ‘નિસર્ગમૈત્રી’ માટે આપું છું. કારણ કે નિસર્ગમૈત્રી એ જ મારું અવિભાજ્ય રૂપ છે અને નિસર્ગ સાથે મૈત્રી એ જ મારી જીવનપદ્ધતિ છે !
  • મને સુખનો મૂળમંત્ર જડ્યો છે. એ મૂળમંત્ર છે : કુદરત સાથે મૈત્રી કરો. હું પ્રકૃતિપ્રેમી તો હતો જ. પણ હવે પ્રકૃતિનું ઋણ ફેડવાનો પ્રયત્ન પૂરી ઈમાનદારીથી કરું છું. ખુશીની વાત એ છે કે મને સાંપડેલો આ મૂળમંત્ર મેં મારા માટે જ મર્યાદિત રાખ્યો નથી. આ મંત્ર મેં બીજાને આપ્યો છે. એમને ય એ ગમ્યો. એમણે હાથ મિલાવ્યા, અમારી ટીમ તૈયાર થઈ. અમારી ટીમના બે અર્થો છે. એક તો એનો સામાન્ય અર્થ એટલે સંઘ(જૂથ). બીજો અર્થ છે ‘Three, Environment And Me!’ (વૃક્ષ, પર્યાવરણ અને હું.) આ બીજો અર્થ તમને અંદરથી સમજાય છે ત્યારે તમને જીવવાનો અર્થ પણ સમજાય છે.

 .

ઇડલી, ઓર્કિડ અને મનોબળ –વિઠ્ઠલ વ્યંકટેશ કામત

અનુવાદ : અરુણા જાડેજા

પ્રકાશક : મીડિયા પબ્લિકેશન

પૃષ્ઠ : ૧૬૦

કિંમત : રૂ. ૧૬૦/-

આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?-આફ્ટરશોક – હરેશ ધોળકિયા

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

કચ્છમાં ૨૦૦૧માં વિનાશક ભૂકંપ આવ્યા બાદ જનજીવન વેરવિખેર થઈ ગયું. પણ બહુ ઓછા સમયમાં કચ્છ ફરી ઊભું થઈ ગયું. ભૂકંપની ટૂંકા ગાળાની જે અસરો થઈ તે ટૂંકા ગાળામાં લગભગ હલ પણ થઈ. પણ ભૂકંપની લાંબા ગાળની જે અસરો થઈ હશે તેની અસર કદાચ ૨૦-૨૫ કે એથી વધારે વર્ષો પછી જ ખબર પડશે.

 .

ભૂકંપ થયા પછીના સમયમાં નજીકની વ્યક્તિ સાથે એક એવી ઘટના બની કે ત્યારે મને લાગ્યું કે ભૂકંપ કરતાં પણ હૃદયકંપ વધારે વિનાશક અને ખતરનાક છે.

 .

આવા અનેક જાતના ભૂકંપો વ્યક્તિના જીવનમાં પણ આવતા રહે છે. અને તે પછી તેના આફટરશોક પણ.

 .

આવા જ એક આફટરશોકની વાત લઈને શ્રી હરેશભાઈએ આ નવલકથા લખી છે. આ અગાઉ તેમણે “ખંડિત અખંડ”, “અંગદનો પગ” અને “બિન્દાસ” નવલકથા લખી છે. હરેશભાઈની શૈલી સરળ છે. પહેલેથી છેલ્લે સુધી વાચકને જકડી રાખવાની જવાબદારી તેમણે સુપેરે નિભાવી છે.

 .

આફ્ટરશોક – હરેશ ધોળકિયા

પ્રકાશક: આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ.

પૃષ્ઠ: ૧૬૦

કિંમત: રૂ. ૧૨૫.૦૦

આ પુસ્તક તમે જોયું? – ધ કાઈટ રનર

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

.

ધ કાઈટ રનર – ખાલીદ હુસેની, અનુ. રીતેશ ક્રિસ્ટી

 .

પુસ્તકોની દુકાનોથી હું મોટેભાગે દૂર રહું છું. અથવા તો વારંવાર જવાનું ટાળું છું. કારણે કે જો પહોંચી ગઈ તો મને કોઈ પુસ્તકો ખરીદતા રોકી શકતું નથી. હમણાં પણ ઘણાં સમયથી મુલાકાત ન્હોતી લીધી. પણ એક સગાને લગ્નપ્રસંગે પુસ્તિકાઓ વહેંચવા માટે જોઈતી હતી તો રવિવારે એ માટે ખાસ દુકાન ઉઘડાવી અને સાથે મારે પણ જવું પડ્યુંતો સ્વાભાવિક રીતે મેં પણ મોટી ખરીદી કરી.

એક પુસ્તક હાથમાં આવ્યું તેના પર લખ્યું હતું “૨૦૦૬,૨૦૦૭ અને ૨૦૦૮માં પેંગ્વિન/ઓરેન્જ રીડર્સગ્રુપ પ્રાઈઝ વિજેતા અને હવે એક ભવ્ય ફિલ્મ પણ બની ચૂકી છે.” તો લાગ્યું કે નવલકથામાં ચોક્કસ કંઈ દમ હશે. અને લઈ લીધું. મકરસંક્રાંતિના દિવસે બહારગામ જવાનું થયું અને મેં સફર દરમ્યાન વાંચવાનું શરૂ કર્યું ”ધ કાઈટ રનર”. નવલકથા વિશે સવિસ્તર કહેવાથી વાચકોનો રસભંગ થવાની શક્યતા છે. માટે એ વિશે વિશેષ કંઈ લખતી નથી. પણ પહેલેથી છેલ્લે સુધી જકડી રાખે તેવી કથા છે. રીતેશ ક્રિસ્ટીએ અનુવાદ ખૂબ જ સરસ કર્યો છે. ક્યાંય પણ એવું લાગતું નથી કે મૂળ નવલકથા કોઈ બીજી ભાષામાં લખાઈ છે. આ પુસ્તક વિશેના ઘણાં અભિપ્રાયોનો પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આપણે તે જોઈએ.

  .      

૧૯૭૦ના દસકાનું અફઘાનિસ્તાન : બાર વર્ષનો આમિર સ્થાનિક પતંગસ્પર્ધામાં જીતવા મરણિયો બન્યો છે અને એનો વફાદાર મિત્ર હસન તેને મદદ કરવાનું વચન આપે છે. પણ બંનેમાંથી એકેય મિત્ર નથી જાણતા કે એ બપોરે હસન સાથે શું બનવાનું છે. એક એવી ઘટના જે તેમનાં જીવનોને છિન્નભિન્ન કરી નાખે છે. રશિયનોના હુમલા પછી આમિરના કુટુંબને અમેરિકા પલાયન થવાની ફરજ પડે છે. અમેરિકામાં આમિરને પ્રતીતિ થાય છે કે એક દિવસ તેણે તાલિબાન સત્તા હેઠળના અફઘાનિસ્તાન પાછા ફરવું પડશે એ જોવા કે નવી દુનિયા તેને એક ચીજ આપી શકે તેમ નથી : મુક્તિ.

.

“હચમચાવી દે તેવી હૃદયદ્રાવક અને નિખાલસ કથા” – ડેઈલી ટેલિગ્રાફ.

 .

“અસામાન્ય ઉદારતા, પ્રમાણીકતા અને અનુકંપાની કથા” – ઈન્ડિપેન્ડન્ટ.

 .

“હુસેની ખરેખર પ્રતિભાસંપન્ન વાર્તાકાર છે…તે તમારા હૃદયના પ્રત્યેક તારને ઝંકૃત કરે છે” – ધ ટાઈમ્સ.

 .

“ઉલ્લેખનીય કથા. અફઘાનિસ્તાનના સંક્ષિપ્ત ઈતિહાસ સાથે મિત્રતા અને સ્નેહને શેક્સપિયરીઅન કથાનું અદ્દભુત સંયોજન… ઉત્કૃષ્ટ’ – ડેઈલી એક્સપ્રેસ.

 .

“આમિર હસન સાથેના સંબંધનું ભાવવાહી નિરૂપણ. આમિરે હસનને કરેલો અંતિમ છેહ આઘાતજનક લાગે છે. હૃદયસ્પર્શીકથા’ – લિટરરી રિવ્યૂ.

 .

“મારી પ્રિય કથા… અદ્દ્ભુત” – જોઆન્ના ટ્રોલોપ, બુક્સ ઓફ ધ યર, ઓબ્ઝર્વર.

 .

“ધ કાઈટ રનર એ સ્વસ્થતા અને ગંભીરતાપૂર્વક કહેવાયેલી કથા છે. પૌર્વાત્ય ચિરકાલિન ગાથાની જેમ જ તે ગર્ભિતજટિલતા અને ડહાપણની કથા છે. તે વ્યક્તિગત અને રાજકીય દુષ્ટતા વર્ણવતા સત્યની હૃદયદ્રાવક રજુઆત કરે છે અને આશાની તાકત સાથે ઊંચે ઊડતા પતંગની જેમ અભિભૂત કરે છે.” – ડેઈલી ટેલિગ્રાફ.

 .

“ઉત્કૃષ્ટ કહી શકાય તેવી લેખકની પહેલી નવલકથા… તે જૂની ઢબની કથા છે જેના પ્રવાહમાં તમે વહી જાવ છો.” – સાન ફ્રાન્સિસ્કો ક્રોનિકલ

 .

“હચમચાવીદે તેવી… યોગ્ય સમયે કહેવયેલી અને ઉચ્ચ સાહિત્યિક ગુણવતા ધરાવતી દુર્લભ કથા.” –  પબ્લેશર્સ વીકલી

 .

“આ રહી વાસ્તવિક શોધ : ધમાકેદાર પ્રવેશ… છળકપટ અને પશ્ચાતાપ… મહામુસીબતે મેળવેલી મુક્તિની દઝાડી દે તેવી હૃદયસ્પર્શી કથા. સાથે સાથે અફઘાન સંસ્કૃતિનું સુંદર વર્ણન : અત્યંત મોહક.” – કિકર્સ રિર્વ્યૂઝ.

 .

“લેખકના આ સર્વપ્રથમ સર્જનમાં દરેક પાના પર ધ્યાનાકર્ષક કહી શકાય એ બાબત માત્ર તેની ભાષા જ નહીં પણ જીવનનો ઝગમગાટ છે. હુસેનીના લેખનમાં આડંબર નહીં પણ જીવનનો નિચોડ છે – પાંગરી રહેલા નવલકથાકારો માટે એક પાઠ છે..હુસેની એકસરખી કુશળતાથી સંવેદના અને ભય સર્જે છે, કેલિફોર્નિયાનું ગુલાબી સ્વપ્ન અને કાબૂલનું દુ:સ્વપ્ન આલેખે છે. સુંદર રીતે ગૂંથાયેલી બોધકથા.” – ગ્લોબ એન્ડ મેઈલ કેનેડા.

 .

“સામાજિક-રાજકીય વિવરણ અને શક્તિશાળી લાગણીશીલ કથાનું અદ્દભુત સંયોજન” – ઈન્ક.

 .

“રાજકીય ઊથલપાથલો વચ્ચે બે ખંડો સુધી વિસ્તરતી શેક્સપિયરીન આરંભથી વિસ્તરતી કથા, જ્યાં સપનાઓ પાંગર્યાં પહેલા જ કરમાઈ જાય છે અને એક બાળકનું રૂપાંતર એક કાયર આદમીમાં થાય છે…સમૃદ્ધ અને આત્મખોજ કરતી કથા… લેખકનું વિશ્વ સુંદર અને ભયંકરનું અદ્દભુતનું ગૂંથણકામ છે…પુસ્તક રગદોળાઈ રહેલા અફગાનિસ્તાનના વતનીઓના આઘાત અને મનોવ્યથાનું અવિસ્મરણિય વર્ણન છે.” – ઓબ્ઝર્વર.

.

“સુંદર નવલકથા… વર્ષની સૌથે સારી લખાયેલી અને વિચારતા કરી મૂકે તેવી કથા… ધ કાઈટ રનર એ નવા છંદમાં ગવાયેલું ગીત છે. હુસેની એક જીવંત અને મૌલિક સર્જક છે. તેમને કટાક્ષ અને સૌમ્ય અને સંવેદનશીલ હૃદયની કુદરતી બક્ષિસ મળી છે. તેમની કથા કદાચ એવા સમયે હોઈ શકે કે જ્યારે અમેરિકનો એ વિશે સમજવાની શરૂઆતકરી રહ્યા હશે પણ તે તેમની કલાનું કાગળના પાના પર અદ્દભુત ચિત્રણ કરે છે જે આત્મીય અને મર્મભેદી લાગે છે.” – ડેન્વર પોસ્ટ

 .

“ જો તમને ગોડ ઓફ સ્મોલ થિંગ્ઝ ગમી હશે તો તમને ધ કાઈટ રનર પણ અવશ્ય ગમશે… અમર્યાદ દુ:સાહસોનું વર્ણન… ચિત્તાકર્ષક.” – ઈમેજ.

 .

“સ્મૃતિ અને ભૂતકાળની સુંદર યાદગીરીઓને ખોવાઈ ગયેલી દુનિયા પાછા મેળવવાની ઝંખનાનું સુંદર સંયોજન… ધ કાઈટ રનર ઉત્તમ કોટિની યુરોપી કથાઓની ઝાંખી કરાવે છે.” – ઈન્ડિપેન્ડન્ટ.

 .

“સ્વસ્થ અને વિરક્ત ભાવે કહેવાયેલી કથા. જેમ જેમ કથા આગળ વધે છે તેમ તેમ ઉદ્વેગની લાગણી વધતી રહે છે અને અંતે એનું શમન થાય છે.” – ટાઈમ્સ લિટરરી સ્પ્લિમેન્ટ.

 .

ધ કાઈટ રનર – ખાલીદ હુસેની, અનુ. રીતેશ ક્રિસ્ટી

 .

પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર

 .

પૃષ્ઠ : ૩૭૮

 .

કિંમત : ૨૫૦

 .

ધ કાઈટ રનર ફિલ્મની સાઈટ : http://www.kiterunnermovie.com/

આ પુસ્તક તમે જોયું?

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

અયોધ્યાથી અરણ્ય (હાઈકુ સંગ્રહ) – ધનસુખલાલ પારેખ

 

પ્રકાશક : રન્નાદે પ્રકાશન

 

પૃષ્ઠ : ૩૦

 

કિંમત : ૨૫

 

હીંચકે ઝૂલે ચકીબાઈ (બાળકાવ્યો) – ધનસુખલાલ પારેખ

 

પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન્સ

 

પૃષ્ઠ : ૩૬

 

કિંમત : ૩૦

સો ટચનાં ૨૦૦ ગુજરાતી પુસ્તકો – ૨

“મીરાં, કબીર, તુલસી, નાનક

પૂછે તારું કયું થાનક,

જ્યાં તું  ટેકવે તારું મસ્તક

ને ભીડ પડ્યે કોને દરવાજે દ્યે તું દસ્તક ?

તો હું ચીધું મારાં પુસ્તકની છાજલી…  “

.

૧૦૧. પ્લેટફોર્મ નંબર ચાર – હિમાંશી શેલત, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૦૨. પિંજરની આરપાર – માધવ રામાનુજ, વોરા એન્ડ કંપની

૧૦૩. પીધો અમીરસ અક્ષરનો – સંપા. ડો. પ્રીતિ શાહ, પાર્શ્વ પબ્લિકેશન

૧૦૪. પ્રકાશનો પડછાયો – દિનકર જોષી, પ્રવીણ પુસ્તક ભંડાર

૧૦૫. પ્રતિનિધિ દલિત વાર્તા – સંપા. હરીશ મંગલમ, કુમકુમ પ્રકાશન

૧૦૬. પ્રતિમાઓ – ઝવેરચંદ મેઘાણી

૧૦૭. પ્રકૃતિનાં લાડકવાયાં પંખીઓ – વિજયગુપ્ત મૌર્ય, સસ્તું સાહિત્ય કાર્યાલય

૧૦૮. પૃથ્વીની એક બારી – રામચન્દ્ર પટેલ, ગુજરાત સાહિત્ય અકાદમી

૧૦૯. ફાધર વાલેસ નિબંધ વૈભવ – ફાધર વાલેસ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૧૦. ફાંસલો (ભાગ ૧-૨)- અશ્વિની ભટ્ટ, નવભારત સાહિત્ય મંદિર

૧૧૧. બકોર પટેલ – હરિપ્રસાદ વ્યાસ, આદર્શ સાહિત્ય સદન

૧૧૨. બદલાતી ક્ષિતિજ – જયંત ગાડિત, લોકપ્રિય પ્રકાશન

૧૧૩.. બનાવટી ફૂલો – નટવરલાલ પ્ર. બૂચ, સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય

૧૧૪. બાળઉછેરની બારાખડી – ડો. રઈશ મનીઆર, ઈમેજ પ્રકાશન

૧૧૫. બંધ નગર (ભાગ ૧-૨) – મોહમ્મદ માંકડ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૧૬. બૌદ્ધિકોની ભૂમિકા અને બીજા લેખો – રમેશ બી. શાહ, ગુજરાતી સાહિત્ય પરિષદ

૧૧૭. ભગવત ગુણભંડાર – રાજેન્દ્ર દવે, પ્રવીણ પુસ્તક ભંડાર

૧૧૮. ભગવાન આ માફ નહિ કરે – પુરુષોત્તમ ગણેશ માવળંકર, સન્નિષ્ઠ પ્રકાશન

૧૧૯. ભદ્રંભદ્ર – રમણલાલ નીલકંઠ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૨૦. ભવની ભવાઈ – ધીરુબેન પટેલ, સમન્વય

૧૨૧. ભાઈકાકાનાં સંસ્મરણો – ભાઈલાલભાઈ પટેલ, સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય

૧૨૨. ભારેલો અગ્નિ – રમણલાલ વ. દેસાઈ, આર. આર. શેઠની કંપની

૧૨૩. ભાવભૂમિ – સંપા. ભારતી ર. દવે અને અન્ય બે, ગુજરાતી સાહિત્ય પરિષદ

૧૨૪. મકરન્દ-મુદ્રા (મકરન્દ દવે-વિશેષ) સંપા. સુરેશ દલાલ, ઈમેજ પ્રકાશન

૧૨૫. મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ – ચુનીલાલ મડિયા, નવભારત સાહિત્ય મંદિર

૧૨૬. મધુ રાયની શ્રેષ્ઠ વાર્તાઓ – સંપા. સુવર્ણા રાય, આદર્શ પ્રકાશન

૧૨૭. મધુપર્ક – સંપા. રજનીકુમાર પંડ્યા, યાસીન દલાલ, ઉત્તમ ગજ્જર ,શબ્દલોક પ્રકાશન

૧૨૮. મનપસંદ નિબંધો – સંપા. વિજયરાય ક. વૈદ્ય, સાહિત્ય અકાદમી વતી વોરા એન્ડ કંપની

૧૨૯. મરક મરક – રતિલાલ બોરીસાગર, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૩૦. મલક – દલપત ચૌહાણ, રંગદ્વાર પ્રકાશન

૧૩૧. મહાજાતિ ગુજરાતી – ચંદ્રકાંત બક્ષી, નવભારત સાહિત્ય મંદિર

૧૩૨. મળવા જેવો માણસ – અશોક દવે, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૩૩. મળેલા જીવ – પન્નાલાલ પટેલ, સાધના પ્રકાશન

૧૩૪. માધવ ક્યાંય નથી – હરીન્દ્ર દવે, પ્રવીણ પુસ્તક ભંડાર

૧૩૫. માનવીની ભવાઈ – પન્નાલાલ પટેલ, સાધના પ્રકાશન

૧૩૬. મારા અનુભવો – સ્વામી સચ્ચિદાનંદ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૩૭. મારા અસત્યના પ્રયોગો – ડો. જયંતિ પટેલ, પ્રયોગ

૧૩૮. મારા પિતા – સંપા. પુરુષોત્તમ ગણેશ માવળંક,ર સન્નિષ્ઠ પ્રકાશન

૧૩૯. મારી જીવનકથા – મામાસાહેબ ફડકે, નવજીવન પ્રકાશન મંદિર

૧૪૦. મેઘાણીચરિત – કનુભાઈ જાની, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ પ્રકાશન

૧૪૧. મેઘાણીની શ્રેષ્ઠ વાર્તાઓ – ઝવેરચંદ મેઘાણી, આદર્શ પ્રકાશન

૧૪૨. મેથેમેજિક – નગેન્દ્ર વિજય, યૂરેનસ બુક્સ

૧૪૩. મેરા રંગ દે બસન્તી ચોલા –  વિષ્ણુ પંડ્યા, ડો. આરતી પંડ્યા, નવભારત સાહિત્ય મંદિર

૧૪૪. મિયાં ફુસકી (સંપુટ-૩ ભાગ ૧-૫) જીવરામ જોષી, નવભારત સાહિત્ય મંદિર

૧૪૫. મૂળ સોતાં ઊખડેલાં – કમળાબેન પટેલ

૧૪૬. મૃત્યુ મરી ગયું – ઉષા શેઠ, આર. આર. શેઠની કંપની

૧૪૭. યુદ્ધ-૯૧ – નગેન્દ્ર વિજય, પુષ્કર્ણા પબ્લિકેશન્સ

૧૪૮. યુવા હવા – જય વસાવડા, નવભારત સાહિત્ય મંદિર

૧૪૯. રસ સુધા – સુધાબેન મુનશી, વૈભવી મુનશી-દેસાઈ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૫૦. રાખનું પંખી – રમણલાલ સોની, પ્રકાશક: ડો. રેણુકા શ્રીરામ સોની

૧૫૧. રામાયણની અંતરયાત્રા – નગીનદાસ સંઘવી

૧૫૨. રાવજી પટેલ-જીવન અને સર્જન – મોહંમદ ઈશાક શેખ, પાર્શ્વ પ્રકાશન

૧૫૩. રુદ્રવીણાનો ઝંકાર – ભાનુ અધ્વર્યુ, સંપા. ચંદુ મહેરિયા, ગુજરાત ખેત વિકાસ પરિષદ

૧૫૪. રેશમી ઋણાનુબંધ – સુરેશ દલાલ, ઈમેજ પ્રકાશન

૧૫૫. રંગતરંગ (ભાગ ૧-૬) – જ્યોતીન્દ્ર દવે, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૫૬. લિ. હું આવું છું – ઝવેરચંદ મેઘાણીનું પત્રજીવન, સંપા. વિનોદ મેઘાણી અને હિમાંશી શેલત, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૫૭. લોકસાહિત્યના પરિપ્રેક્ષ્યમાં સાબરકાંઠાના ગરો –ડો. મહેશચંદ્ર પંડ્યા, ગુજરાતી સાહિત્ય પરિષદ

૧૫૮. વજુ કોટકનો વૈભવ – સંપા. મધુરી કોટક, પ્રવીણ પુસ્તક ભંડાર

૧૫૯. વનાંચલ – જયંત પાઠક, સાહિત્ય સંગમ

૧૬૦. વાંકદેખાં વિવેચનો – જયંત કોઠારી, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૬૧. વિચારોનાં વૃંદાવનમાં – ગુણવંત શાહ, આર. આર. શેઠની કંપની

૧૬૨. વિદિશા – ભોળાભાઈ પટેલ, આર. આર. શેઠની કંપની

૧૬૩. વિનોદની નજરે – વિનોદ ભટ્ટ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૬૪. વિનોદવિમર્શ – વિનોદ ભટ્ટ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૬૫. વિહોણી (ગ્રામીણ ગુજરાતની વિધવાઓ) – વર્ષા ભગત ગાંગુલી, સેતુ

૧૬૬. વીસમી સદીનું ગુજરાત – સંપા. શિરીષ પંચાલ, બકુલ ટેલર, જયદેવ શુક્લ, સંવાદ પ્રકાશન

૧૬૭. વેવિશાળ – ઝવેરચંદ મેઘાણી, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૬૮. શબ્દકથા – હરિવલ્લભ ભાયાણી, ગુજરાતી સાહિત્ય પરિષદ

૧૬૯. શિવતરંગ – શિવ પંડ્યા, સાધના પ્રકાશન

૧૭૦. શિક્ષણકતહઓ – દિલીપ રાણપુરા, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૭૧. શિક્ષણના સિતારા – ઈશ્વર પરમાર, પ્રવીણ પુસ્તક ભંડાર

૧૭૨. શ્રેષ્ઠ ઉમાશંકર – સંપા. નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ,  ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૭૩. સચરાચરમાં – બકુલ ત્રિપાઠી, આર. આર. શેઠની કંપની

૧૭૪. સત્યકથા – મુકુંદરાય પારશર્ય, લોકમિલાપ ટ્રસ્ટ

૧૭૫. સધરા જેસંગનો સાળો – ચુનીલાલ મડિયા, નવભારત સાહિત્ય મંદિર

૧૭૬. સમયરંગ – ઉમાશંકર જોશી, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૭૭. સમાજ-સુધારાનું રેખાદર્શન – સ્વ. નવલરામ જગન્નાથ ત્રિવેદી, ગુજરાત વિદ્યાસભા

૧૭૮. સમુડી – યોગેશ જોષી, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૭૯. સમુદ્રાન્તિકે – ધ્રુવ ભટ્ટ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૮૦. સાત પગલાં આકાશમાં – કુન્દનિકા કાપડીઆ, નવભારત સાહિત્ય મંદિર

૧૮૧. સદ્ભિ: સંગ: – મનુભાઈ પંચોળી દર્શક, આર. આર. શેઠની કંપની

૧૮૨. સરસ્વતીચંદ્ર (ભાગ ૧-૪) – ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી, એન. એમ. ત્રિપાઠી પ્રાઈવેટ લિમિટેડ

૧૮૩. સર્જકની આંતરકથા – સંપા. ઉમાશંકર જોષી, ગંગોત્રી ટ્રસ્ટ

૧૮૪. સર્જકની શિક્ષણગાથા – સંપા. ઈશ્વર પરમાર, પ્રવીણ પુસ્તક ભંડાર

૧૮૫. સરદાર સાચો માણસ સાચી વાત – ઉર્વીશ કોઠારી, સત્ય મીડિયા

૧૮૬. સંઘર્ષના સથવારે નવસર્જન – માર્ટિન મેકવાન, ગુજરાત ખેતવિકાસ પરિષદ

૧૮૭. સાંબરડાથી સ્વમાનનગર – હર્ષદ દેસાઈ, ચંદુ મહેરિયા, સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ

(સુરત)

૧૮૮. સોક્રેટિસ – મનુભાઈ પંચોળી દર્શક, આર. આર. શેઠની કંપની

૧૮૯. સ્મરણમંજરી – રઘુનાથ બ્રહ્મભટ્ટ, એન. એમ. ત્રિપાઠી પ્રાઈવેટ લિમિટેડ

૧૯૦. સ્મરણરેખ – સંપા. હર્ષદ ત્રિવેદી, ગુજરાતી સાહિત્ય પરિષદ

૧૯૧. સ્મૃતિઓનું શાંતિનિકેતન – અમૃતલાલ વેગડ, આર. આર. શેઠની કંપની

૧૯૨. શબ્દઠઠ્ઠા – રજનીકુમાર પંડ્યા, રન્નાદે પ્રકાશન

૧૯૩. શિયાળાની સવારનો તડકો – વાડીલાલ ડગલી, આર. આર. શેઠની કંપની

૧૯૪. શેરખાન – વિજયગુપ્ત મૌર્ય, યુરેનસ બુક્સ

૧૯૫. હરિજન સંત અને લોકસાહિત્ય (કંઠસ્થથી ગ્રંથસ્થ) – ડો. દલપત શ્રીમાળી

૧૯૬. હવામાં ગોળીબાર – મન્નુ શેખચલ્લી, નવભારત સાહિત્ય મંદિર

૧૯૭. હાથમાં ઝાડુ માથે મેલું – ડો. રમેશચંદ્ર પરમાર, સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ

(સુરત)

૧૯૮. હિંદુત્વ એક અધ્યયન – કાન્તિ શાહ યજ્ઞ, પ્રકાશન

૧૯૯. હિંદુ વર્ણવ્યવસ્થા સમાજ પરિવર્તન અને ગુજરાતના દલિતો – મકરન્દ મહેતા, અમી પબ્લિકેશન

૨૦૦. વ્યથાનાં વીતક – જોસેફ મેકવાન, આર. આર. શેઠની કંપની

સો ટચનાં ૨૦૦ ગુજરાતી પુસ્તકો-ભાગ-૧

આપણી ભાષાના સૌથી સારા ૧૦૦ કે ૨૦૦ પુસ્તકો ક્યા તો તે કહેવું ઘણું મુશ્કેલ છે. અને વ્યક્તિએ વ્યક્તિએ કદાચ આ લીસ્ટ જુદું જુદું બને. કારણ કે દરેક વ્યક્તિની પસંદગી અને રસના ક્ષેત્રો અલગ અલગ હોવાના.

.

આરપાર મેગેઝિનનો ૨૯ ઓગષ્ટ ૨૦૦૫ (વર્ષ-4 અંક ૪૪ સળંગ અંક ૨૦૦)નો અંક સો ટચનાં ૨૦૦ ગુજરાતી પુસ્તકો વિશેષાંકરૂપે પ્રકાશિત થયો હતો. જેમાં ગુજરાતી ભાષાના ૨૦૦ પુસ્તકોના નામ અને તેનો ટૂંકમાં પરિચય આપવામાં આવ્યો છે. આ ૨૦૦ પુસ્તકો આરપારની ટીમની નજરમાં સો ટચના છે. પરંતુ એમાંથી આપણને પણ ઘણાં નવા પુસ્તકોના નામ મળશે.

.

૧. અખેપાતર – બિન્દુ ભટ્ટ, આર. આર. શેઠની કંપની

૨. અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ – નારાયણ દેસાઈ, મહાદેવ દેસાઈ જન્મ શતાબ્દી સમિતિ

૩. અમદાવાદનો ઈતિહાસ – નારાયણ દેસાઈ, ગુજરાત વિદ્યાસભા

૪. અમાસના તારા – કિશનસિંહ ચાવડા, ગૂર્જર પ્રકાશન

૫. અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ (ભાગ-૧-૨-૩)- હરકિસન મહેતા, પ્રવીણ પુસ્તક ભંડાર

૬. અમે બધાં – ધનસુખલાલ મહેતા, જ્યોતીન્દ્ર દવે, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૭. અરધી સદીની વાચનયાત્રા (ભાગ ૧) –સંપા. મહેન્દ્ર મેઘાણી, લોકમિલાપ ટ્રસ્ટ

૮. અલગારી રખડપટ્ટી – રસિક ઝવેરી, સુમન પ્રકાશન

૯. અસૂર્યલોક – ભગવતીકુમાર શર્મા, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૦. આઈન્સ્ટાઈન અને સાપેક્ષવાદ – નગેન્દ્ર વિજય, યૂરેનસ બુક્સ

૧૧. આત્મકથા અથવા સત્યના પ્રયોગો – મોહનદાસ કરમચંદ, ગાંધી નવજીવન ટ્રસ્ટ

૧૨. આપણા કસબીઓ ( ભાગ ૧-૨) – જોરાવરસિંહ જાદવ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૩. આપણા પ્રતિનિધિ સારસ્વતો સંપા. રમેશ મ. શુક્લ, પ્રવીણ પુસ્તક ભંડાર

૧૪. આપણી પ્રસન્નતા આપણા હાથમાં – અવંતિકા ગુણવંત, આર. આર. શેઠની કંપની

૧૫. આપ કી પરછાઈયાં – રજનીકુમાર પંડ્યા, આર. આર. શેઠની કંપની

૧૬. આ પણ ગુજરાત છે દોસ્તો ! – ડો. વિદ્યુત જોષી, સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ (સુરત)

૧૭. આરોગ્યધન – લાભશંકર ઠાકર, રન્નાદે પ્રકાશન

૧૮. આંગળિયાત – જોસેફ મેકવાન, આર. આર. શેઠની કંપની

૧૯. ઈન્હેં ના ભુલાના – હરીશ રઘુવંશી, રન્નાદે પ્રકાશન

૨૦. ઈશ્વરનો ઈન્કાર – નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ, જમનાદાસ કોટેચા-અબ્દુલભાઈ વકાની

૨૧. ઈંગ્લિશ ! ઈંગ્લિશ ! – દિગીશ મહેતા, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૨૨. ઉપરવાસ કથાત્રયી – રઘુવીર ચૌધરી, આર. આર. શેઠની કંપની

૨૩. ઉંઝાજોડણી પણ – રામજીભાઈ પટેલ, સરોજ રા. પટેલ

૨૪. એ લોકો – હિમાંશી શેલત, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૨૫. એકત્રીસ સુવર્ણમુદ્રાઓ – સૌરભ શાહ, પ્રિન્સેસ સ્ટ્રીટ પબ્લિશિંગ હાઉસ

૨૬. એક્શન રિપ્લે (ભાગ ૧-૨) – તારક મહેતા, નવભારત સાહિત્ય મંદિર

૨૭. એન્જોયગ્રાફી – રતિલાલ બોરીસાગર, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૨૮. ઓથાર (ભાગ ૧-૨) – અશ્વિની ભટ્ટ, વોરા એન્ડ કંપની

૨૯. અંતિમ અધ્યાય – મનુભાઈ પંચોળી દર્શક, આર. આર. શેઠની કંપની

૩૦. કર્મ- પ્રિયકાન્ત પરીખ, નવભારત સાહિત્ય મંદિર

૩૧. કવિતાનો સૂર્ય – મહેશ દવે, ઈમેજ પબ્લિકેશન

૩૨. કાળો અંગ્રેજ – ચિનુ મોદી, પાર્શ્વ પ્રકાશન

૩૩. કિમ્બલ રેવન્સવુડ – મધુ રાય, વોરા એન્ડ કંપની

૩૪.કુંતી (ભાગ ૧-૨) – રજનીકુમાર પંડ્યા, આર. આર. શેઠની કંપની

૩૫. કૃષ્ણનું જીવનસંગીત – ગુણવંત શાહ, આર. આર. શેઠની કંપની

૩૬. કેલીડોસ્કોપ (ભાગ ૧-૨) – મોહમ્મદ માંકડ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૩૭. કોસ્મોસ – નગેન્દ્ર વિજય, યુરેનસ બુક્સ

૩૮. ખેલંદો (ભાગ ૧-૨) – મહેશ યાજ્ઞિક, રન્નાદે પ્રકાશન

૩૯. ખીલ્યાં મારાં પગલાં – પ્રીતિ સેનગુપ્તા, આર. આર. શેઠની કંપની

૪૦. ગલબા શિયાળની ૩૨ વાતો – રમણલાલ સોની, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૪૧. ગાતા રહે મેરા દિલ – સલિલ દલાલ, સત્ય મીડિયા

૪૨. ગાંધી આશ્રમ કે ભ્રષ્ટાચારીઓનો અડ્ડો – દલપત શ્રીમાળી, મુક્તાનંદ પ્રકાશન

૪૩. ગાંધીચરિત – ચી. ના. પટેલ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ

૪૪. ગાંધીયુગનું ગદ્ય (ભાગ ૧) – દલપત પઢિયાર, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૪૫. ગુજુભાઈની બાળવાર્તાઓ/દીવાસ્વપ્ન – સંસ્કાર સાહિત્ય મંદિર

૪૬. ગિરાસમાં એક ડુંગરી – મરિયા શ્રેસ મિત્સ્કાબેન, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૪૭. ગીતામંથન – કિશોરલાલ વ. મશરૂવાલા, નવજીવન પ્રકાશન મંદિર

૪૮. ગુજરાત – ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ

૪૯. ગુજરાત પાણીની અને સામુદ્રિક સમસ્યા (સંરક્ષણની દ્રષ્ટિએ) – અધ્યા.(ડો.) કેશવરામ કાશીરામ શાસ્ત્રી (બાંભણિયા),  માહિતી ખાતું ગુજરાત રાજ્ય

૫૦. ગુજરાતના વિકસતા સમુદાયો – ઉર્મિલા પટેલ, મંગળ પ્રભાત

૫૧. ગુજરાતની અસ્મિતા – રજની વ્યાસ, અક્ષરા પ્રકાશન

૫૨. ગુજરાતમાં કલાના પગરવ – રવિશંકર રાવળ, કલારવિ ટ્રસ્ટ અને આર્ચર

૫૩. ગુજરાતમાં દુષ્કાળો (આર્થિક-સામાજિક અસરો) – રોહિત શુક્લ, ગુજરાત સામાજિક સેવા મંડળ

૫૪. ગુજરાતી થિયેટરનો ઈતિહાસ – હસમુખ બારાડી, નેશનલ બુક ટ્રસ્ટ

૫૫. ગુજરાતી નવલકથા – રઘુવીર ચૌધરી, રાધેશ્યામ શર્મા, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ

૫૬. ગુજરાતી પ્ત્રકારિત્વનો ઈતિહાસ – ડો. રતન રુસ્તમજી, માર્શલ ગાંડિવ સાહિત્ય મંદિર

૫૭. ગુજરાતી રંગભૂમિ રિદ્ધિ અને રોનક – સંપા. ડો. મહેશ ચોકસી, ધીરેન્દ્ર સોમાણી

૫૮. ચેતનાની ક્ષણે – કાંતિ ભટ્ટ, નવભારત સાહિત્ય મંદિર

૫૯. ચીનુ મોદીનાં પ્રતિનિધિ એકાંકીઓ – આદર્શ પ્રકાશન

૬૦. ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો – સુમન શાહ, પાર્શ્વ પ્રકાશન

૬૧. ચંદ્રવદન મહેતા સમગ્ર નાટ્યકૃતિઓ દ્વિઅંકી સંપા. ડો. સુરેશ દલાલ, ગુજરાત સાહિત્ય અકાદમી

૬૨. છિન્નપત્ર – સુરેશ હ. જોષી, પાર્શ્વ પ્રકાશન

૬૩. છકો-મકો (ભાગ ૧ થી ૫) – જીવરામ જોષી, નવભારત સાહિત્ય મંદિર

૬૪. જગાડાકુનાં વેરનાં વળામણાં (ભાગ ૧-૨) – હર્કિસન મહેતા, પ્રવિણ પુસ્તક પ્રકાશન

૬૫. જનમટીપ – ઈશ્વર પેટલીકર, આર. આર. શેઠની કંપની

૬૬. જયપ્રકાશની જીવનયાત્રા – કાન્તિ શાહ, યજ્ઞ પ્રકાશન

૬૭. જય સોમનાથ – ક. મા. મુનશી, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૬૮. જ્યોર્જ વોશિંગ્ટન કાર્વર – મૃદુલા મહેતા, હરિ ઓમ આશ્રમ (નડિયાદ)

૬૯. જીવતર નામે અજવાળું – મનસુખ સલ્લા, આર. આર. શેઠની કંપની

૭૦. જીવનનું પરોઢ – પ્રભુલાલ છગનલાલ ગાંધી, નવજીવન પ્રકાશન મંદિર

૭૧. જિંદગી જિંદગી – વિજયગુપ્ત મૌર્ય, પુષ્કરણા પબ્લિકેશન્સ

૭૨. તપસીલ – સંપા. હર્ષદ ત્રિવેદી, ગુજરાત સાહિત્ય અકાદમી

૭૩. તમે કહો છો તે આઝાદી ક્યાં છે – ઈન્દુકુમાર જાની, પીલલ્સ બુક હાઉસ

૭૪. તારક મહેતાનો ટપુડો – તારક મહેતા, નવભારત સાહિત્ય મંદિર

૭૫. થોડા નોખા જીવ – વાડીલાલ ડગલી, આર. આર. શેઠની કંપની

૭૬. દરિયાલાલ ગુણવંતરાય આચાર્ય, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૭૭. દિલીપ રાણપુરા સાહિત્ય વૈભવ – સંપા. યશવંત મહેતા, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૭૮. દિવ્યાત્મા ગાડગે મહારાજ – ગોકુળભાઈ ભટ્ટ, નવજીવન પ્રકાશન મંદિર

૭૯. દિવાળીના દિવસો – પ્રાગજીભાઈ ભામ્ભી, પાર્શ્વ પબ્લિકેશન

૮૦. દીકરી વહાલનો દરિયો – સંપા. વિનોદ પંડ્યા, કાંતિ પટેલ, સમભાવ મિડિયા લિમિટેડ

૮૧. દ્રશ્યાવલોકન – અભિજિત વ્યાસ, રન્નાદે પ્રકાશન

૮૨. દ્વિરેફ વાર્તાવૈભવ – રા. વિ. પાઠક દ્વિરેફ, સંપા. ચિમનલાલ ત્રિવેદી, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૮૩. ધરતીની આરતી – સ્વામી આનંદ, સંપા. મૂળશંકર મો. ભટ્ટ, લોકમિલાપ ટ્રસ્ટ

૮૪. ધરતીના ચિત્રકાર ખોડીદાસ પરમારનાં સંસ્મરણો – લોકકલા ફાઉન્ડેશન

૮૫. ધૂમકેતુ વાર્તાવૈભવ – ધૂમકેતુ, સંપા. ચિમનલાલ ત્રિવેદી, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૮૬. નકલંક – મોહન પરમાર, લોકપ્રિય પ્રકાશન

૮૭. નવલ ગ્રંથાવલિ તારણ કાઢનાર : નરહરિ દ્વારકાદાસ પરીખ, ગૂજરાત વિદ્યાપીઠ

૮૮. નવસંધાન – સંપા. પ્રેમનાથ મહેતા, પીપલ્સ બુક હાઉસ

૮૯. નામરુપ – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, આર. આર. શેઠની કંપની

૯૦. નાયિકા-પ્રવેશ સંપા. હિમાંશી શેલત, અદિતિ દેસાઈ, સમર્થ ટ્રસ્ટ

૯૧. નીરખ નિરંજન – નિરંજન ત્રિવેદી, રૂપાલી પ્રકાશન

૯૨. નેપથ્યેથી પ્રકાશવર્તુળમાં –  સંપા. રમણ સોની

૯૩. નોખા ચીલે નવસર્જન – ઉર્વીશ કોઠારી, પૂર્વી ગજ્જર, નવસર્જન ટ્રસ્ટ

૯૪. પશ્ય ન્તી – સુરેશ જોષી, સાહચર્ય પ્રકાશન

૯૫. પાટણની પ્રભુતા-ગુજરાતનો નાથ-રાજાધિરાજ – કનૈયાલાલ મુનશી, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૯૬. પીળું ગુલાબ અને હું – લાભશંકર ઠાકર, રન્નાદે પ્રકાશન

૯૭. પેડલ પર પૃથ્વી પરકમ્મા – મહેન્દ્ર દેસાઈ, પ્રવીણ પુસ્તક ભંડાર

૯૮. પેરેલિસિસ – ચંદ્રકાંત બક્ષી, નવભારત સાહિત્ય મંદિર

૯૯. પંચાજીરી – રમણલાલ છોટાલાલ મહેતા, પુન:પ્રકાશન – અમિત ર. મહેતા

૧૦૦. પંચામૃત – ભૂપત વડોદરિયા, નવભારત સાહિત્ય મંદિર

The Lost Scraps Of Love – Nipun Ranjan

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

.

ચેતન ભગતની નવલકથાઓ યુવા વર્ગમાં લોકપ્રિય થઈ પછી એવા બીજા પણ ઘણાં નવા લેખકો મળ્યા જેઓ IIT કે Engineeringના વિદ્યાર્થી હોય. જેમાં તુષાર રાહેજા અને નિપુણ રંજનનું નામ લઈ શકાય.

નિપુણ રંજનની પહેલી નવલકથા “The Lost Scraps Of Love” ૨૦૧૦માં આવી.

નવલકથા શરૂ કરતાં પહેલા લેખક વાચકને ત્રણ પ્રશ્ન પૂછે છે…

.

1.    How much do you love your love ?

a.    More  than life

b.    Love them yes, but less than my self-dignity

c.    Love them alright, but less than my friends

2.    How much do you love your friends ?

a.    More  than life

b.    Love them yes, but less than my self-dignity

c.    Love them yes, but less than my girlfiend and personal matters

.

3.    What if your lover leaves you forever ? What would you do ?

a.    Keep trying for her/him hoping they will come back.

b.    Love her/him silently but don’t do anything, maybe wait for her forever.

c.    Forget her/him and continue with life, maybe with someone else who would be more loving.

.

ખોવાયેલા પ્રેમને મેળવવા લેખક કેવા કેવા પ્રયત્નો કરે છે એના પર આખી નવલકથા લખાઈ છે. ખૂબ જ સરળ અંગ્રેજીમાં રસપ્રદ રીતે આલેખન થયું છે જે વાચકને છેલ્લે સુધી જકડી રાખે છે. ટૂંકમાં વાંચવી ગમે એવી આ નવલકથા છે.

.

The Lost Scraps Of Love – Nipun Ranjan

.

Publishers & Distributors : Srishti

.

Pages : 213

.

Price : Rs. 100

મીરાં યાજ્ઞિકની ડાયરી – બિન્દુ ભટ્ટ

.

કેટલીક વાતો લોકોના માનસને ઝંઝોડી નાંખનારી હોય છે અને છતાં ચૂપચાપ આવીને પસાર થઈ જાય છે. એના આવનજાવનથી કોઈનું વિશેષ ધ્યાન ખેંચાતું નથી. જાણે કંઈ બન્યું જ નથી એમ લોકો વર્તે છે. પત્રકારત્વના ક્ષેત્રમાં એક વાક્ય બહુ પ્રચલિત છે…”કૂતરું માણસને કરડે એમાં ‘સમાચાર’ જેવું કશું ન કહેવાય, પણ માણસ કૂતરાને બચકું ભરે તો એ અવશ્ય ‘સમાચાર’ છે”. આમ કંઈક ‘અસામાન્ય કરીને’ અથવા તો ‘અસામન્ય છે’ તેવો આક્ષેપ મૂકીને સતત જાહેર માધ્યમોમાં છવાયેલા રહેવાની ઘણાંને આદત છે. કોઈપણ વાતનો વિરોધ કરો, તેમાં વિવાદ ઉભો કરો એટલે તેના તરફ લોકોનું ધ્યાન આપોઆપ ખેંચાવાનું.

.

૧૯૪૪માં ઈસ્મત ચુગતાઈની ઉર્દૂ વાર્તા ‘લિહાફ’ (ચાદર)થી ખલબલી મચી ગઈ હતી. આજે દીપા મહેતાની ‘ફાયર’ ફિલ્મથી પણ એવી જ ખલબલી મચી છે. આ બંને કહાનીમાં સજાતીય (Lesbian) સંબંધો ધરાવતી બે સ્ત્રીની વાત છે. શું આટલા વર્ષો પછી પણ સમાજમાં વૈચારિક પરિવર્તનનું વાવાઝોડું નથી ફૂંકાયું ?

.

એક મહિલા કોર્પોરેટરને તેના જ ઘરમાં ધોળે દિવસે નિર્મમતાથી રહેંસી નાંખવામાં આવી. માસૂમ કૂમળી કળી જેવી બે છોકરીઓનું પ્રથમ અપહરણ, પછી બળાત્કાર અને પછી તે બંનેને મારી નાંખવામાં આવી તોય સમાજ ચૂપ છે. દહેજના ખપ્પરમાં કેટલીયે અરમાનભરી કન્યાઓ હોમાતી રહે છે, કેટલીયે દીકરીઓ યૌવનમાં પગ મૂકે તે પહેલાં દેહભૂખ્યા દલાલોના હાથે વેચાઈ જતી હોય છે અને ત્યારે પણ સમાજ તો ચૂપ જ રહે છે. સમાજને ખરેખર સ્પર્શતી આવી ઘણીબધી બાબતો પ્રત્યે સમાજે ઉદાસીનતા દર્શાવી છે. અને ‘ફાયર’ પ્રદર્શિત થવાથી તેની સામે મોરચાઓ કાઢવામાં, ભાષણો કરવામાં, તોડફોડ કરવામાં સમાજ હવે વ્યસ્ત છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા એ દરેક વ્યક્તિનો અધિકાર છે. શું Lesbian સંબંધોને બદલે Gay સંબંધો ધરાવતા બે પુરુષોની વાત હોત તો ફિલ્મનો આટલો વિરોધ થાત ? આ વિરોધની પાછળ શું મૂળભૂત સ્ત્રીનો વિરોધ તો નથી ને ? સ્ત્રી કરે તે ખરાબ જ એવી માન્યતા તો નથી ને ? અથવા તો કદાચ આવા સંબંધો વધવાથી પુરુષો સાથેના સ્ત્રીના સંબંધમાં ફરક પડશે એવો ભય તો નથી ને ? પ્રશ્નો અને તેના ઉત્તરો હું સુજ્ઞ વાચકો પર છોડું છું. કારણ કે મારે બીજી વાત કરવી છે.

.

આવો જ વિષય લઈને ૧૯૯૨માં ગુજરાતીમાં બિન્દુ ભટ્ટની “મીરાં યાજ્ઞિકની ડાયરી” પ્રકાશિત થઈ હતી. આ લઘુનવલ ડાયરી સ્વરૂપે લખાયેલી છે. બિન્દુ ભટ્ટ એક અખબાર સાથેની તેમની મુલાકાતમાં જણાવે છે કે “આ પુસ્તકમાં એક અસુંદર સ્ત્રી દ્વારા સૌન્દર્યને પામવાની વાત કરી છે. પ્રેમની જરૂરિયાત અંગત છે. સમાજને અહિત થાય તેવા કોઈ સંબંધો ચલાવાય નહીં. પણ સમાજ ક્યારેક નોર્મલ સંબંધો વિશે પણ ઉગ્રતાથી પ્રતિભાવ આપતો હોય છે. દરેક પોતાની રીતે જીવન જીવે ત્યાં સુધી વાંધો લેવો ન જોઈએ. છતાં સ્વતંત્રતા બીજાને ઠેસ પહોંચાડે તેવી ન હોવી જોઈએ”.

.

કથાની નાયિકા મીરાં યાજ્ઞિકના આખા શરીરે કોઢ છે. તે પોતે આ બાબત પ્રત્યે ખૂબ જ સભાન છે. એક પ્રશ્ન મીરાંને સતત સતાવે છે કે “આ કાબરચીતરા સ્પર્શને ઓળંગીને કોણ પહોંચશે એના સુધી ?” પોતાની દુનિયામાં મસ્ત-વ્યસ્ત રહેતી મીરાંને એક જ મૈત્રી છે….એને ‘કાબરી’ કહીને સંબોધતી વૃંદા સાથે. વૃંદા એને ભલે આવું સંબોધન કરે છે પણ એ મીરાંના કોઢને મહત્વ નથી આપતી. એ તો માને છે કે “સૌન્દર્યને પામતાં પહેલાં સૌન્દર્ય બનવું પડે”. વૃંદાનો આવો વ્યવહાર મીરાં માટે આત્મવિશ્વાસની ધરી છે. અને એની આવી લાગણીથી મીરાં તેને પોતાના જીવનમાં સ્થાન આપે છે અને એ સંબંધ ઘનિષ્ઠ બને છે.

.

પરણિત પ્રિન્સિપાલ કામાણી સાહેબ (કે.એમ.) અને વૃંદા એકબીજાના પ્રેમમાં છે. પણ વૃંદા એક સ્ત્રીના અધિકારને ઝૂંટવીને લગ્ન કરવા નથી માંગતી. અને એમ આ સંબંધ મંઝિલ સુધી પહોંચી શકતો નથી. કે.એમ. સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને લંડન ચાલ્યા જાય છે. વૃંદા ઉદાસ છે. નિરાશ છે. એકાકી છે.

.

પ્રેમ એ જીવવાનું કારણ છે. અને તેથી દરેક નોર્મલ વ્યક્તિને પ્રેમની ખોજ રહેતી હોય છે. પ્રેમ એટલે પ્રેમ….તે ગમે તેની વચ્ચે હોઈ શકે. વૃંદા સાથે એક જ રૂમમાં રહેવાથી મીરાંને સાથ સંગાથ મળે છે. વૃંદાની ગેરહાજરી તેને ઉદાસી અને એકલતાનો એહસાસ કરાવે છે. બંને ઉદાસ અને એકાકી મિત્રોને સંજોગો એકબીજાની નિકટ લાવે છે જે છેવટે શારીરિક સંબંધમાં પરિણમે છે. Love is finding yourself in another’s heart. શરીરના માધ્યમ દ્વારા અન્યમાં પ્રેમ શોધવાની મીરાં કોશિશ કરે છે પણ એને એ વાતનો ખ્યાલ તો છે જ કે વૃંદા માટે એ કે.એમ.ની અવેજી માત્ર છે. બંનેને પ્રિય એવું શિરીષ ફૂલ પોતાના જીવનમાં ક્યારે ખીલશે એનો મીરાંને ઈન્તઝાર છે. વૃંદા એને પ્રેમ નહીં પણ એનો ઉપયોગ જ કરતી હતી તે વાત સાબિત થાય છે જ્યારે વૃંદા મીરાંને અસ્પષ્ટતામાં રાખીને ડો. અજિત સાથે લગ્ન કરી લે છે.

.

અપમાન, અસ્વીકાર, અવહેલનાનો ડંખ મીરાંને મૂંઝારો અને માનસિક તનાવ બક્ષે છે. તે દરમ્યાન જ એ માર્કસવાદી કવિ ઉજાસ અગત્સના પરિચયમાં આવે છે. ક્રાન્તિકારી ઉજાસની કવિતામાં આક્રોશ છે. વિધુર અને એક પુત્રીનો પિતા એવો ઉજાસ “હમ તો બે-ઘર હૈ ! I don’t have a home !“ કહે છે ત્યારે મીરાંને એના પ્રત્યે સહાનુભૂતિ થાય છે. ઉજાસનું સાન્નિધ્ય મેળવીને મીરાં એના તરફ ઢળે છે. એ ઉજાસના પ્રેમમાં છે તેવો તેને અહેસાસ થાય છે. અને એનો એ એકરાર પણ કરે છે. Love makes life more meaningful and complete. પોતે બધાથી કંઈક અલગ છે, ઊણી છે તેવું મહેસૂસ કરતી મીરાં ઉજાસના સહવાસમાં પોતે ‘નરી સ્ત્રી’ છે તેવું અનુભવે છે.

.

ઉજાસ વાત તો આત્માના સૌન્દર્યની કરે છે પણ એય છેવટે એક સામાન્ય માનવી જ નીકળે છે. જો પ્રેમ હોય તો લગ્ન સિવાયના સેક્સને પણ ખરાબ ન માનતી મીરાં ઉજાસ સમક્ષ શારીરિક સમર્પિત થાય છે. પણ ઉજાસ જ્યારે એના પર આક્રમકતાથી તૂટી પડે છે ત્યારે મીરાં હેબતાઈ જાય છે. એને ખૂબ આઘાત લાગે છે. જ્યારે ઉજાસ સમાજ સમક્ષ એને એક મિત્ર તરીકે સ્વીકારવાની પણ હિંમત નથી બતાવી શકતો ત્યારે એને વધુ દુ:ખ થાય છે. Silent પ્રેમને માણવા માંગતી મીરાં ઉજાસના Violent attitudeને સહન નથી કરી શકતી. ઉજાસના આવા વર્તન માટે પણ એ છેવટે પોતાના કાબરચીતરા શરીરને દોષીત માને છે. આ સંબંધથી પણ એ કશું જ પામી શકતી નથી. સિવાય કે જીવન પ્રત્યે નિરસતા.

.

વૃંદા અને ઉજાસ….એમ નદીના બે કિનારાઓની વચ્ચેથી પ્રેમની શોધ કરતાં કરતાં મીરાંના હાથમાં છલના સિવાય કંઈ જ આવતું નથી. સ્ત્રી અને પુરુષ એમ બબ્બે અનુભવો ભ્રમ પૂરવાર થાય છે. એને કોઈમાં રસ નથી રહેતો, એને કંઈ કરવું ગમતું નથી. પ્રેમની અપૂર્ણ શોધની મથામણ પછી મીરાં ફરી એકાકી રહી જાય છે. અને વેદના વ્યક્ત કરે છે……..

.

“સતત ગૂંગળાઉં છું. હવે તો જાણે દિશાઓએ પણ મારાથી મોં ફેરવી લીધું છે”.

.

અને આમ એક વર્ષના સમયપ્રવાહમાં વિસ્તરેલી “મીરાં યાજ્ઞિકની ડાયરી” પૂર્ણ થાય છે.

.

મીરાં યાજ્ઞિકની ડાયરી – બિન્દુ ભટ્ટ

પ્રકાશક : પાર્શ્વ પ્રકાશન

પૃષ્ઠ : ૧૮૮

કિંમત : રૂ. ૬૦.૦૦

.

[ આ પુસ્તક પરિચય માર્ચ ૧૯૯૮ના “પારિજાત”માં પ્રકાશિત થયો હતો.]

.