મારું અંત:કરણ અસંખ્ય વખત આમ બોલ્યા જ કરે કે, ‘મારે તારો ખપ છે, હે મારા નાથ ! મારે તારો-અને માત્ર તારો જ ખપ છે !’
.
જે જે ઈચ્છાઓ મને આડે માર્ગે લઈ જાય છે, તે તમામ ખોટી છે, રોમરોમમાં મિથ્યા છે !
.
મને ખાતરી છે કે જેમ રાત્રિનો અંધકાર પ્રભાતનાં કિરણની પ્રાર્થના, પોતાના અંતરમાં ભરી રાખે છે, તેમ મારા હ્રદયના અંધકારભર્યા ખૂણામાં કોઈક એવી મૂર્છિત ચેતના જાગે છે, જે વારંવાર આર્તનાદ કરે કે ‘મારે તારો ખપ છે ! હે મારા નાથ ! મારે તારો ખપ છે !’
.
તોફાનનો મહાસાગર જેમ છેવટે શાંત પળોને ઝંખે છે, પછી ભલેને એની શાંતિને થોડો વખત ભયંકર ઝંઝાવાતે હચમચાવી મૂકી હોય. તેમ જ મારાં માનસ-તોફાનોએ, તારા પ્રેમની સામે ભલે ગમે તેટલો બળવો પોકાર્યો હોય, એમની પણ છેવટની પ્રાર્થના આ જ છે –
.
‘હે મારા નાથ ! મારે ખપ તારો છે !’
.
( રવીન્દ્રનાથ ટાગોર )