Tag Archives: આચારસંહિતા

પત્રકારની આચારસંહિતાના ‘દસ ધર્મસૂત્રો’

નેશનલ એન્ડ પેન અમેરિકન કોંગ્રેસના ઉપક્રમે ઈ.સ. ૧૯૪૨માં મેક્સિકોમાં એક ‘પત્રકાર અધિવેશન’ ભરાયું હતું, જેમાં પત્રકારની આચારસંહિતાના દસ ધર્મસૂત્રો’ જાહેર કરવામાં આવ્યાં હતાં. આ ધર્મસૂત્રોમાં પત્રકાર માટે વાંછનીય અને અવાંછનીય કર્તવ્યોનો સ્વર સમાવિષ્ટ છે:

  1. તમારા સમાચારપત્રની પ્રતિષ્ઠાનો ગર્વ કરજો; જોશ સાથે ઉત્સાહ પણ દાખવજો, પણ મિથ્યાભિમાની ન બનશો.
  2. પત્રકારત્વમાં જડતા એ મૃત્યુ સમાન છે, તો પીષ્ટ પેષણ મૃત્યુ છે.
  3. તક ગુમાવશો નહીં, બહુજ્ઞ બનો અને નવીનતાનું પ્રદર્શન કરવાનું ચૂકશો નહીં.
  4. વ્યક્તિથી મોટો છે સમાજ અને સરકારથી મોટો છે દેશ. મનુષ્ય મર્ત્ય છે, પણ સંસ્થા અને સિદ્ધાંત અમર છે.
  5. શત્રુ અને મિત્ર બન્ને બનાવજો. મિત્ર એવો હોય, જેને તમારી પાસેથી આદર મળે. શત્રુ એવો હોય, જેના પ્રત્યે આપ દ્વેષ ન કરો.
  6. આર્થિક અને સાહિત્યિક બન્ને ક્ષેત્રમાં આક્રમણનો જવાબ આક્રમણથી આપજો. શાંતિથી રહેવું હોય તો પોતાના રક્ષણ માટે હંમેશા તૈયાર રહેજો.
  7. તલવાર અને પૈસો બન્ને કલમના શત્રુ છે. જરૂરિયાત ઉપસ્થિત થતાં આત્મગૌરવની રક્ષા ખાતર જીવન અને ધનની કુરબાની આપજો.
  8. દ્રઢ રહેજો, પણ હઠાગ્રહી નહીં. પરિવર્તનશીલ બનજો, પણ નિર્બળ નહીં. ઉદાર બનજો, પણ હાથ બિલકુલ ખુલ્લા ન મૂકી દેશો.
  9. સ્પષ્ટવાદી, સ્વાભિમાની અને સાવધાન તથા ચેતનવંતા રહો તો જ આપનો આદર થશે. નબળાઈ પરલોક માટે સારી છે; બાકી તો એ નરી નપુંસકતા છે.
  10. જે કાંઈ છપાય તેની જવાબદારી લેજો. વ્યર્થ દોષારોપણ પાપ છે. પ્રતિષ્ઠાને હાનિકર્તા વસ્તુઓ ન છાપશો. લાંચ લેવી એ પાપ છે. સહકાર્યકર પત્રકારની જગ્યા મેળવી લેવાની ઈચ્છા રાખવી, ઓછા પગારે કામ સ્વીકારીને સહકાર્યકર પત્રકારને કાઢવો એ પણ પાપ છે અને કોઈની જાહેરાત લેખની જેમ છાપવી એ પણ પાપ છે. રહસ્યનું કાળજીથી જતન કરજો. સમાચારપત્રના સ્વાતંત્ર્યનું કે તેની શક્તિનો વ્યક્તિગત લાભાર્થે ઉપયોગ કદાપિ ન કરશો.

આ દસ ધર્મસૂત્રો એ પત્રકારના વ્યાવસાયિક કર્તવ્યની દીવાદાંડીરૂપ છે.

(ડો. ચંદ્રકાન્ત મહેતાના પુસ્તક- “પત્રકારત્વ : સિદ્ધાંત અને અધ્યન”માંથી)