કવિતા ઉપરાંત નાટકના લેખન, દિગ્દર્શન અને અભિનયક્ષેત્રે અજવાળું પાથરનાર સૌમ્ય જોશી માત્ર ગુજરાતમાં જ નહિ, ભારતભરમાં જાણીતા છે. તેમને કવિતા માટે 1996ના વર્ષનું બળવંતરાય ઠાકોર પારિતોષિક પ્રાપ્ત થયેલું છે. તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ ‘ગ્રીન રૂમમાં’ (2008) અત્યંત લોકપ્રિય થયો છે. ‘દોસ્ત ચોક્કસ અહીં એક નગર વસતું હતું’ એ નાટકે સૌમ્ય જોશીને ભારતના મહત્વના નાટ્યકારોમાં સ્થાન અપાવ્યું. સૌમ્ય જોશીનો જન્મ 3 જુલાઈ 1973ના રોજ અમદાવાદમાં થયો હતો. (પિતા: જયંત જોશી, માતા: નીલા જોશી). તેમણે પોતાનો પ્રાથમિક અભ્યાસ વિજયનગર હાઈસ્કૂલ, અમદાવાદ ખાતેથી પૂર્ણ કર્યો. ધો. 10 અને ધો. 12નો અભ્યાસ વિદ્યાનગર હાઈસ્કુલ, અમદાવાદ ખાતેથી 1990માં પૂર્ણ કર્યો. 1993માં તેમણે અમદાવાદની હ. કા આર્ટસ્ કોલેજમાંથી બી.એ (અંગ્રેજી સાહિત્ય)ની ડિગ્રી મેળવી. ત્યારબાદ, સ્કુલ ઑવ લેંગ્વેજ, ગુજરાત યુનિવર્સિટિમાંથી તેમણે એમ.એની ડિગ્રી 1995મા મેળવી. અને તે જ વર્ષે તેઓ હ. કા આર્ટસ્ કૉલેજમા અંગ્રેજીના પ્યાધ્યાપક તરીકે જોડાયા. 2010માં તેમણે પ્રાધ્યાપક તરીકેની નોકરીનો ત્યાગ કર્યો અને નાટ્યક્ષેત્રે વ્યસ્ત.
4 વર્ષની ઉંમરે તેમણે જીવનની પહેલી કવિતા લખેલી પરંતુ કવિતાને સમજીને ગંભીરતાથી કાવ્યલેખનનો પ્રારંભ 1991માં કર્યો. તેમની પહેલી કવિતા ગુજરાતી કવિતાના રુતુપત્ર ‘કવિલોક’માં છપાઈ અને ત્યારબાદ અન્ય ગુજરાતી સામાયિકોમાં સ્થાન પામી. તેમનુ પહેલુ નાટક ‘રમી લો ને યાર’ હતુ અને ત્યારબાદ અનેક પ્રખ્યાત નાટકો જેવા કે ‘વેલકમ જિંદગી’ અને ‘102 નૉટ આઉટ’ ગુજરાતી નાટ્યજગતને આપ્યા છે. કવિતા માટે તેમણે બ.ક ઠાકોર પારિતોષિક (1996), રાવજી પટેલ એવોર્ડ (ગુજરાત સમાચાર અને સમન્વય દ્વારા) અને ગુજરાત સરકાર દ્વારા યુવા ગૌરવ એવોર્ડ (2007) પ્રાપ્ત થયેલ છે. નાટક માટે તેમને ચંદ્રવદન મહેતા એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.