પ્રતીક્ષા-પ્રીતિ સેનગુપ્તા

ચોકમાં ચણ નાખીને બેસી રહું છું

મારા બોલાવ્યાથી જ

પંખી આવી નથી જતું.

એ આવે છે એની જ મરજીથી.

ફૂલો મધુના ભારથી લચી પડે તો શું?

મન થશે ત્યારે જ

ફરફરતું

પતંગિયું આવશે.

રસ્તામાંનાં

ખાબોચિયામાં

છબછબિયાં કરવાનું

મન નથી થતું હવે.

ભેજના શેવાળથી

છવાયેલા કાચ પર

નામ લખી દેવાનું

તોફાન નથી સૂઝતું હવે.

અવરજવર તો રહી,

ને ધૂળિયાં પગલાંયે ઘણાં પડ્યાં,

પણ કોઈનાયે પદક્ષેપથી

શલ્યાનો ઉધ્ધાર નથી થયો હજી.

જાણું છું

જે પંખી ના આવે તેને માટે

ચણ નાખીને બેસી રહેવું

જે પતંગિયું ભમ્યા કેરે તેને માટે

ફૂલોએ સાજ સજવા,

જેનો સ્પશૅ થવાનો નથી

તે સુવર્ણમણિની આશામાં તપોમગ્ન

રહેવું

તે તો છે

અપાત્રને કરેલું પ્રેમનું દાન.

( પ્રીતિ સેનગુપ્તા )

Leave a comment