ગગનભણી શું? બ્રહ્માંડોની પાર નીરખને !
નિરાકાર જે સદા, તું એ આકાર નીરખને !
સઘળી તારી સીમાઓને તું ફેંકી દે;
અનહદ ઊછળે સંમુખ પારાવાર, નીરખને !
પળ પળ પૃથ્વી પર જેનું પ્રાગટ્ય થાય છે;
ઈશ્વરરૂપે મનુષ્યનો અવતાર નીરખને !
અંગત દુષ્કાળોની નાહક છોડ પળોજણ;
વરસે છે ચોમેર એ અનરાધાર નીરખને !
તું જે બોલે-લખે-સાંભળે તેનાથી શું?
શબ્દબ્રહ્મ થઈ ઝળહળતો ૐકાર નીરખને !
મારી કવિતા અર્થઘટનથી અળગી ચાલે;
શિશુમુખના પરપોટા શા ઉદગાર નીરખને !
ક્રોંચ વીંધાયું; શ્લોકનું ગર્ભાધાન થયું કે?
વૃક્ષડાળનો લોહીઝાણ ચિત્કાર નીરખને !
( ભગવતીકુમાર શર્મા )
બહુ સરસ ગઝલ.
બહુ સરસ ગઝલ.