નમસ્તસ્યૈ નમો નમ:(૫)

.

હે, મા ! જન્મ પછી મૃત્યુ અને ફરી જન્મની ઘટમાળ ન જાણે ક્યાં સુધી ફર્યા કરશે અને જીવને એમાં ફેરવ્યા કરશે. મા, અમે મુક્તિની આશાએ જન્મ મેળવ્યો અને હવે આશા અને એષણાઓમાં એવાં અટવાયાં છીએ કે મુક્તિનો માર્ગ અમે વિસરી ગયાં છીએ ભટકી ગયાં છીએ.

.

હા, અમારું જીવન કુદરત સાથે કરાર કરી શક્યું નથી અને મન કૃત્રિમતા તરફ વધુ આકર્ષાય છે એ હકીકત છે.

.

જાણવા કે સમજવા લાયક અનેક વસ્તુઓ તરફ અમારું ધ્યાન પણ જતું નથી. દરેક ઘટનાઓને અમે અમારા ત્રાજવે તોલવા મથીએ છીએ જેથી ઘણી વખત તારી કરામતો અમને દુ:ખદ પણ લાગે છે. આવું કરનાર તું કુદરત કેમ હોઈ શકે એની મુંઝવણમાં અને ખોટી ગણતરીમાં અનેકવાર ગુંગળાવાથી ઘેરાઈ જઈએ છીએ.

.

મા ! નગારાનો અવાજ સાંભળી ફૂલેકું જોવા નીકળેલા કોઈ નાદાન જેવી અમારી સ્થિતિ છે કેમ કે ડોલીમાં બેઠેલી નવોઢાના આંસુ હર્ષનાં છે કે દુ:ખના એ તરફ અમારું ધ્યાન પણ જતું નથી. કહોને અમે બેધ્યાન જ બની જઈએ છીએ.

.

કોઈના સારાં કાર્યોને જીરવી ન શકનાર અને ખરાબ કાર્યોનો વિરોધ કરવાની શક્તિ ગુમાવી બેસનાર અમે જ છીએ. એટલે જ અમારી સ્વાર્થ વૃત્તિ કહો કે અજ્ઞાનતા – સંકટ સમયે તારા સિવાય કોનું સ્મરણ કરવું ? નાક બંધ હોય કે દમનું દર્દ થયું હોય ત્યારે જ જેમ શ્વાસમાં જતી હવાનું મૂલ્ય સમજાય છે તેમ સારાં કે ખરાબ કાર્યોમાં તાટસ્થ્ય વૃત્તિ ન કેળવવાને લીધે ભોગવવાં પડતાં પરિણામો વખતે તારું સ્મરણ અમોઘ ઉપાય બની રહે છે.

.

દેવતાઓ પણ તારું સ્મરણ કરતાં બોલે છે:

.

अतिसौम्यातिरौद्रायै नतास्तस्यै नमो नम:

नमो जगत्प्रतिष्ठायै देव्यै कृत्यै नमो नम:

.

અત્યંત સૌમ્ય તથા અત્યંત રૌદ્રરૂપા દેવીને અમે નમસ્કાર કરીએ છીએ. જગતની આધારભૂતા કૃતિ દેવીને – ક્રિયાશક્તિને વારંવાર નમસ્કાર છે.

.

મા ! અમારા પણ હ્રદયપૂર્વકના આ નમસ્કારને સ્વીકારી તારા સૌમ્ય તથા રૌદ્ર સ્વરૂપને ઓળખી શકવાની અમને શક્તિ બક્ષજે કે જેથી સુખની વર્ષા વખતે છલકાઈ ન જઈએ અને દુ:ખના વાવાઝોડા વખતે હિંમત હારી ન જઈએ.

.

મા ! જગતના જીવોનું કલ્યાણ કરજે. સૌનું દુ:ખ હરજે અને અમને તારાં કાર્યો કરવા માટે નિમિત્ત બનવાની શક્તિ અર્પજે.

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.