
.
હે પરમાત્મા,
.
અમારા વિચારો, લાગણીઓ, કાર્યોનો દોર
તમે તમારા હાથમાં લો
અને અમને સંપૂર્ણપણે દોરો.
.
અમારાં સઘળાં કાર્યો
અમારી બુદ્ધિ, અમારી ઈચ્છા, અમારા અહંકાર વડે નહિ
પણ તમારી ઈચ્છા વડે પ્રેરિત થાઓ.
.
કોઈ પણ કાર્યની સફળતા કે નિષ્ફળતા
તમારી યોજના મુજબ જ બની આવે છે
એ સમજવા ને સ્વીકારવા જેટલી
નિર્મળતા ને નમ્રતા અમને આપો.
.
અમે કશાને માટે ઝાંવા ન મારીએ
કશાને માટે વ્યાકુળ ન થઈએ
તમે જે સ્થિતિમાં અમને રાખો, તેમાં
ફરિયાદ કર્યા વિના, આનંદપૂર્વક રહી શકીએ
એવી સ્થિર શ્રદ્ધા ને સમર્પણબુદ્ધિ આપો.
.
અંતે તો તમને પામવા એ જ અમારું લક્ષ્ય છે.
.
એ માર્ગે દિવસરાત અમારી યાત્રા આગળ વધતી રહે
તમારી ચૈતન્યધારામાં, અમારી જડિમાની રજ
રોજેરોજ ધોવાતી રહે, એવા અમને આશીર્વાદ આપો, પ્રભુ !
.
( પરમ સમીપે-કુન્દનિકા કાપડિયા, ઉદ્દગાર : અંકિત ત્રિવેદી )