જે સફળતા સાંપડી છે – શૈલા પંડિત

૧૧.

હે ઈશ્વર,

મને જે સફળતા સાંપડી છે

તે બદલ હું તારું ઋણ સ્વીકારું છું.

 .

-ને એક સત્ય

હું સારી પેઠે સમજ્યો છું.

હું સફળ થાઉં

એનો અર્થ એ નથી થતો કે

મારી બધી સમસ્યાઓનો ત્યાં અંત આવી જાય છે.

હકીકતમાં તો,

સફળતાને સથવારે

વધારે ઉગ્ર અને તીવ્ર સમસ્યાઓ આવતી રહે છે…..

ને તે મારે હલ કરવાની છે.

 .

ને મારે એનાથી હતાશ થવાનું હોય નહિ.

ખરેખર તો,

તેં મને જે શક્તિઓ બક્ષી છે

તેને વધુ પડકારરૂપ ને યશસ્વી રીતે

ઉપયોગ કરી શકું

તે માટે તું ભૂમિકા રચી આપે છે.

જેથી,

ભાવિ જીવનના અને સફળતાના વધુ પડકારને

પહોંચી વળવાની મને શ્રદ્ધા સાંપડતી રહે.

 .

૧૨.

હે ઈશ્વર,

મારાં કામ સો ટકા પરિપૂર્ણ કરવાની ઘેલછામાં

હું કશું જ ન કરું તે કરતાં,

મારી શ્રેષ્ઠતમ શક્તિ વાપર્યા બાદ

અપરિપૂર્ણરૂપે પણ સિદ્ધ કરી શકું

એ વધુ બહેતર છે.

 .

હું સમજું છું કે

આ સૃષ્ટિમાં જો કોઈ પરિપૂર્ણ હોય તો તે

એકમાત્ર ઈશ્વર જ છે,

ને દરેક માણસ

કોઈક ને કોઈક રીતે અપૂર્ણ છે.

ને જે અપૂર્ણ હોય

તેનાં કામ પરિપૂર્ણ નીવડતાં રહે

એવી અપેક્ષા એક ભ્રમણા છે.

 .

મારાં કામ પરિપૂર્ણ ન નીવડે તો ભલે.

પણ મારી શક્તિને અનુરૂપ

ઉત્કૃષ્ટપણે નીવડતાં રહે તો

તેથી મને સંતોષ છે.

ને તે માટેની મારી નિષ્ઠાનો સથવારો

ક્યાંય વેગળો ન પડે

તેટલી જ મારી માગણી છે.

.

( શૈલા પંડિત )

6 thoughts on “જે સફળતા સાંપડી છે – શૈલા પંડિત

Leave a reply to અશોકકુમાર -'દાદીમા ની પોટલી ' Cancel reply