કશું નકામું નથી – રઈશ મનીઆર

.

અરણ્ય, પંથ કે નડતર કશું નકામું નથી

રતન કે ધૂળ કે કંકર કશું નકામું નથી

 .

પડાવ, થાક, ત્રિભેટો, ભુલામણી ઠોકર

સફરના અંશ છે, આખર કશું નકામું નથી

 .

એ બેઉ વિશ્વોની લીલાને મનભરી માણો

અહીં બહાર કે અંદર, કશું નકામું નથી

 .

કોઈનું થાય છે ઘડતર, કોઈ રહે પડતર

અહીંના શિલ્પ કે પથ્થર, કશું નકામું નથી

 .

ફરજ જુઓ ન ગૂંથાવા અને ચૂંથાવામાં

સ્વીકારો પુષ્પ કે અત્તર, કશું નકામું નથી

 .

કદીક મન થશે અણનમ સરોને ઝુકવાનું

આ પથ્થરો અને ઈશ્વર, કશું નકામું નથી

 .

ભલે ને હમણાં કશું વ્યર્થ લાગતું હો તને

એ ધરશે અર્થ નિરંતર, કશું નકામું નથી

.

( રઈશ મનીઆર )

4 thoughts on “કશું નકામું નથી – રઈશ મનીઆર

  1. રઈશભાઈની ખૂબ સુંદર રચના! ખરેખર, કશું જ નકામું નથી. ઘાયલ સાહેબનો એક શેર યાદ આવી જાય છે.

    તને પીતાં નથી આવડતું મૂર્ખ મન મારા
    પદાર્થ એવો કયો છે કે જે શરાબ નથી

    Like

  2. રઈશભાઈની ખૂબ સુંદર રચના! ખરેખર, કશું જ નકામું નથી. ઘાયલ સાહેબનો એક શેર યાદ આવી જાય છે.

    તને પીતાં નથી આવડતું મૂર્ખ મન મારા
    પદાર્થ એવો કયો છે કે જે શરાબ નથી

    Like

Leave a comment