પ્રાર્થના – સુરેશ દલાલ

રાતરાણીની મહેકથી હું ચીતરું તારો ચહેરો મારા કાગળ પર. મારા કાગળ પર તારો ચહેરો આપોઆપ ઊપસતો આવે છે. કારણ કે મારો કાગળ કોરો છે. રાતની નીરવ શાંતિ તારા ચહેરા પર છવાયેલી છે. તારા ચહેરાની શાંત મુદ્રા મને રહીરહીને સ્પર્શે છે અને મારામાં રહેલા સંવાદને ઝંકૃત કરે છે. તારી શાંત ઝંકૃતિમાં મારી આંખ ક્યારે મીંચાઈ જય છે એની પણ મને ખબર નથી.

 .

સવારે જાગું છું અને જોઉં છું તો પંખીના ટહુકામાં તારું અજવાળું મને સંભળાયા કરે છે. તું અઅમ ને આમ જ અઅકાર અને નિરાકારની લીલા રમ્યા કરે છે. મારો આકાર તારી લગોલગ પહોંચવા ઝંખ્યા કરે છે અને તું પ્રતીતિ આપે છે કે તું અમારાથી અલગ નથી.

 .

*

એક ગલીમાંથી બીજી ગલીમાં, બીજી ગલીમંથી ત્રીજી ગલીમાં જઈએ છીએ એવું ઘણીય વાર વિચારોનું પણ હોય છે. વિચાર પાસે પૂર્ણવિરામ મૂકતાં આવડવું જોઈએ. વિચારના વા-વંટોળિયા બધું ખેદાનમેદાન કરી મૂકે છે. વિચારો શાંત મનને ડહોળી નાખે છે. વિચારોની ભીસમાં ભીંસાવાને બદલે વિચારમાંથી નિર્વિચાર તરફ જવું એ જ યાત્રા, એ જ સાચી પ્રાર્થના. પ્રાર્થના અનેક રીતે થતી હોય છે. કર્મની એકાગ્રતા એ પ્રાર્થના. ધ્યાનના મંદિરમાં પ્રવેશ કરવો એ પ્રાર્થના છે. કોઈનાં આંસુ લૂછવાં એ પ્રાર્થના છે. કોઈકના ઉદાસ હોઠ પર સ્મિતની ધજા ફરકાવવી એ પ્રાર્થના છે. મુક્ત મને હસવું એ પણ પ્રાર્થનાનો જ પ્રકાર. પ્રાર્થનાની એક જ પૂર્વશરત : એ સહજ હોય. જીવનમાં જે કંઈ સહજ હોય એ પ્રાર્થના.

( સુરેશ દલાલ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.