મૃત્યુ – ખલિલ જિબ્રાન

.
ત્યાર પછી મિત્રા બોલી, હવે અમે આપને મૃત્યુ વિશે પૂછીએ છીએ.
.
ત્યારે તેમણે કહ્યું :
.
તમારે મૃત્યુનું રહસ્ય જાણવું છે.
.
પણ તમે તેને કેવી રીતે જાણશો, જો તમે તેને જીવનના મધ્યમાં જ ન ખોળો તો ?
.
દિવસ પ્રત્યે આંધળું થયેલું નિશાચર ઘુવડ તેજેનું રહસ્ય ઉકેલી શકે નહીં.
.
જો તમે સાચે જ મૃત્યુના આત્માને જોવા ઈચ્છતા હો, તો તમારા હૃદયને જીવનના શરીર સામે ખુલ્લું મૂકી દો.
.
કેમ કે જીવન અને મૃત્યુ એક જ છે, – જેમ નદી અને સમુદ્ર એક જ છે તેમ.
.
તમારી આશાઓ અને ઈચ્છાઓના મૂળમાં જ તમારું મૃત્યુ પાર વિશેનું જ્ઞાન છુપાઈને રહ્યું છે;
.
અને બરફની નીચે ઢંકાઈ રહેલા બીજની જેમ તમારું હૃદય વસંતના સ્વપ્ન જુએ છે.
.
એ સ્વપ્નોમાં શ્રદ્ધા રાખો, કારણ કે તેમાં જ અમરતાનો દરવાજો છુપાયેલો છે.
.
તમારો મરણનો ભય પેલા ભરવાડની બીક જેવો છે : જે, રાજા એને સ્વહસ્તે માન આપનાર છે એમ જાણતાં છતાં, એની સામે ઊભો થતાં ધ્રુજે છે.
.
પણ એની ધ્રુજારીની નીચે – રાજાનો અનુગ્રહ થવાનો છે એનો હર્ષ જ રહેલો નથી કે ?
.
છતાં પોતાની ધ્રુજારીને જ વધારે મહત્વ નથી આપતો કે ?
.
કારણ, મરવું એટલે પવનમાં ખુલ્લાં પડવું અને સૂર્યના તાપમાં ઓગળવું એ સિવાય બીજું શું ?
.
અને શ્વાસ લેતાં અટકવું એટલે પ્રાણને સતત ચડઊતર થવાના કર્મમાંથી મુક્ત કરીને નિરુપાધિકપણે ઈશ્વર શોધવા માટે ઊંચે ચડવા અને ફેલાવા દેવો એ સિવાય બીજું શું ?
.
મૌનની નદીનાં જળ પીને જ તમે ગાવાની શક્તિ મેળવી શકો.
.
અને પર્વતને શિખરે પહોંચ્યા બાદ જ તમે ચડવા માંડી શકો.
.
અને જ્યારે પૃથ્વી તમારા અવયવો પોતાનામાં સમાવી દેશે, ત્યારે જ તમે સાચું નૃત્ય નાચી શકશો.
.
( ખલિલ જિબ્રાન, અનુ. કિશોરલાલ મશરૂવાળા )
.
આ પોસ્ટ અંગ્રેજીમાં વાંચવા અહીં ક્લિક કરો.
્જય શ્રી કૃષ્ણ..
્જય શ્રી કૃષ્ણ..
Permalink
Permalink