આજ સુધી – અજ્ઞાત

આજ સુધી,

લોકો મને મળવા આવે ત્યારે હું કહેતી :

જુઓ, મારું ઘર કેટલું સુંદર છે !

ઘરમાં મેં સંગ્રહેલી વસ્તુઓ કેટલી કલાત્મક છે !

મારાં બાળકો કેવાં હોશિયાર ને તેજસ્વી છે !

 .

મારાં કાર્યોમાં મેં કેટલી બધી સિદ્ધિ મેળવી છે !

લોકોમાં મારી કેટલી પ્રશંસા થાય છે !

સીધી કે આડકતરી રીતે આ બધું હું કહેતી

અને મારી આ આવડતો પર હું ફુલાતી.

 .

અથવા, હું કહેતી કે :

જુઓ, મારા શરીરમાં કેટલી વ્યાધિઓ છે !

મારાં સ્વજનો કેટલાં સ્વાર્થી છે !

લોકો કેટલાં કૃતઘ્ન છે !

મેં આખી જિંદગી પામાણિકતાથી કામ કર્યું

અને બીજાઓને માટે જાત ઘસી નાખી

પણ મને ક્યારેય એનો બદલો મળ્યો નહિ.

 .

હું આમ કહેતી અને આ બધી બાબતો માટે

લોકોનો, કે નસીબનો, કે ભગવાન, તમારો વાંક કાઢતી.

 .

પછી એક સ્નિગ્ધ પ્રભાતે ઝળહળ કરતો સૂરજ ઊગ્યો,

અને સુક્કાં તરણાં સોનાવરણાં થઈ ગયાં.

 .

હવે મને કોઈ કાંઈ પૂછે તો હું ચુપ રહું છું

દુનિયાની બજારમાં મને શું મળ્યું ને શું નહિ,

એ વાત હવે મને અડતી નથી.

 .

હવે મારું મન આખોયે વખત

તમારા દિવ્ય પ્રેમમાં નાહેલું, મૃદુ ને સભર રહ્યા કરે છે.

 .

અંતરતમ આનંદની વાત કોને કરી શકાય ?

પણ તમે જાણો છો, પ્રભુ !

અને એટલું પૂરતું છે.

 .

( અજ્ઞાત )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.