
.
(૧)
મારાં બાળકો !
યાદ રાખજો કે ડરપોક અને નિર્બળ માણસો
જ પાપ કરે છે અને અસત્ય બોલે છે.
બહાદુર માણસો હંમેશા નીતિમાન હોય છે.
નીતિમાન બનો.
બહાદુર અને સહૃદયી બનો.
.
(૨)
મારા મિત્રો !
તમારા એક સગાભાઈ તરીકે:
જીવન અને મૃત્યુમાં તમારા સાથી તરીકે;
હું તમને કહેવા માંગુ છું કે આપણે જોઈએ છે
સામર્થ્ય, સામર્થ્ય;
અને હર સમયે સામર્થ્ય.
.
(૩)
ખડા થાઓ
અને મર્દ બનો.
મર્દ બનાવનારા ધર્મની આપણને જરૂર છે;
મર્દ બનાવનારા સિદ્ધાંતોની આપણને જરૂર છે.
ચોમેર મર્દ બનાવનાર
શિક્ષણની આપણને જરૂર છે.
.
(૪)
ગરીબ લોકો માટે જેનું હૃદય દ્રવે તેને
હું ‘મહાત્મા’ કહું છું, નહિ તો એ ‘દુરાત્મા’ છે.
હે મહાન આત્માઓ !
ઊઠો, જાગો !
આ દુનિયા દુ:ખના દાવાનળમાં ભડકે બળે છે
ત્યારે તમે સૂઈ શકો ખરા ?
.
(૫)
વીર યુવકો !
શ્રદ્ધા રાખો કે તમારા સહુનો જન્મ
મહાન કાર્યો કરવા માટે થયો છે.
કુરકુરિયાંના ભસવાથી ડરી જશો નહિ;
અરે, આકાશના વજ્રપ્રહારથી પણ ભયભીત
થશો નહિ. પણ ઊભા થાઓ અને કામે લાગો !
.
(૬)
પવિત્રતા, ધૈર્ય અને ખંત બધાં વિધ્નોને જીતી લે છે.
નિરંતર પવિત્ર વિચારો કર્યે રાખો.
ખરાબ સંસ્કારોને દબાવવાનો
એક માત્ર ઉપાય એ જ છે.
પવિત્રતા એ સૌથી મોટી શક્તિ છે;
તમામ વસ્તુઓ એનાથી ડરે છે…
.
(૭)
પ્રાચીન ધર્મો ઈશ્વરમાં ન માનવાને નાસ્તિકતા
કહેતા ; નવો ધર્મ કહે છે કે
જેને પોતાનામાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે.
શ્રદ્ધાવાન બનો; બીજું સર્વ આપોઆપ પાછળથી
આવવાનું જ છે. કોઈપણ વસ્તુથી ડરો નહી,
તમે અદ્દભુત કાર્ય કરી શકશો.
.
(૮)
જે કાંઈ નિર્બળ હોય તેનાથી દૂર રહો ! તેમાં મોત છે.
જે કાંઈ બળ હોય તેને નર્કમાં જઈને પણ પકડો.
નીતિમાન થજો,
શૂરવીર બનજો.
ઉદાર હૃદયના થજો.
જાનને જોખમે પણ વીર, ચારિત્રવાન બનો.
.
(૯)
પૈસાથી કંઈ વળતું નથી, નામથી પણ નહિ,
યશથી પણ નહિ, વિદ્યાથી પણ નહિ
માત્ર પ્રેમથી લાભ થાય છે;
માત્ર ચારિત્ર્ય જ
મુશ્કેલીઓની વજ્ર જેવી દિવાલો
તોડીને તેમાંથી માર્ગ કાઢે છે.
.
(૧૦)
કાર્ય કરવું એ ઘણું સારું છે.
પરંતુ તે વિચારમાંથી આવે છે.
એટલે મસ્તકને ઉન્નત વિચારોથી,
સર્વોચ્ચ આદર્શથી ભરી દો;
તેમને દિનરાત તમારી દ્રષ્ટિ તરફ રાખશો તો
તેમાંથી મહાન કાર્યોનો જન્મ થશે.
.
(૧૧)
બહાદુર, હિંમતવાન માણસો
કે જેના લોહીમાં જોમ,
જ્ઞાનતંતુઓમાં તાકાત,
લોખંડી માંસપેશીઓ અને
પોલાદી સ્નાયુઓ હોય તેવાની જરૂર છે;
નરમ અને પોચી ભાવનાઓ નહીં
.
(૧૨)
જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય
તો તમારી પાસે પ્રચંડ ખંત
અને દ્રઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ.
ખંતીલો માણસ કહે છે :
‘હું સાગરને પી જઈશ, મારી ઈચ્છા થતાં વેંત
પર્વતો કડડભૂસ થઈને તૂટી પડશે.’
.
(૧૩)
સખત પરિશ્રમ કરો.
પવિત્ર અને શુદ્ધ બનો
એટલે ઉત્સાહ આવશે જ.
આપણાં જીવન
સારાં અને પવિત્ર હોય તો જ દુનિયા
સારી અને પવિત્ર થઈ શકે.
.
(૧૪)
ઈચ્છાશક્તિનું મૂળ છે ઈશ્વર, સ્વયં પરમાત્મા…
સમુદ્ર તરવો હોય તો
તમારામાં લોખંડી ઈચ્છાશક્તિ જોઈશે;
પહાડો વીંધી નાખવા જેટલું બળ જોઈશે;
તમે કમર કસીને તૈયાર રહો…
કશાની પણ ચિંતા ન કરશો !
.
(૧૫)
વીરતાભર્યા વચનો અને
એથીયે વધુ વીરતાભર્યા કાર્યોની જ
આપણને જરૂર છે.
.
( સ્વામી વિવેકાનંદ )