હોળી-દિવ્યા સોની “દિવ્યતા”

IMG-20160323-WA0022
*
જ્યારથી આંખો એમની વખોડી ગઈ;
ત્યારથી હૈયે વિયોગની હોળી થઇ !
*
જયારે કર્મોના હિસાબ આપતી, ખાલી ઈશ્વરની ઝોળી થશે;
ક્યાંક રંગોની ધૂળેટી તો કેટલાક હૈયે ત્યારે ઉની હોળી થશે !
*
જેટલી માનવીના મનમાં આંચ છે;
એટલે હોળીમાં પણ ક્યાં દાઝ છે ?
*
કૃષ્ણ બનવું સહેલું છે, રાધારાણી બનવા કરતા કદાચ;
રાધાએ હૈયાની કરી હોળી પણ ના બાંધ્યા ત્રિભુવન નાથ !
*
પ્રિયતમાના ચહેરે શોભેશે મેઘધનુષી રંગો;
હોળી તો બસ નિમિત્ત છે, હૈયું રંગો કે અંગો !
*
શું કરું સતરંગી હું વાત ? મારી આંખે તો અંધારા આવી જાય છે;
જયારે પેટની હોળી ઠારવા, કોઈ બાળક મજુરી કરવા જાય છે.

( દિવ્યા સોની “દિવ્યતા” )

ઉદ્ધવ ગીત-વીરુ પુરોહિત

શી રીતે સૂરજ કે જલ વીણ વૃક્ષ બાપડું ફળે ?
ઉદ્ધવજી ! જો કૃષ્ણ નથી, તો જીવવું શાનાં બળે ?

શા કારણથી કલબતાં ખગ, પૂરવ દીસતાં ભાણ ?
શાથી જલમાં પ્રગટે અગ્નિ ! ઉદ્ધવ ! કહો સુજાણ !
વાદળ વરસે ધોધમાર; કોઈ પીએ, ઝીલે કે ન્હાય;
ધરતીમાંથી તૃણ પ્રગટે, હૃદયે એવું શું થાય ?!

પ્રેમ પદારથ વિરલ જગે, જ્યાં જ્યાં ગોકુળ ત્યાં ગળે !
ઉદ્ધવજી ! જો કૃષ્ણ નથી, તો જીવવું શાનાં બળે ?

કુશળ ગવૈયા વ્રજે ઘણા, જે ગાઈ દીપ પ્રગટાવે;
માધવ વીણ તો કોણ ભીતરી અંધારું અળપાવે ?
રોષ કરે, વલવલે, પવનની સાથે ઝગડી પડે;
અણસમજુ, રેતીનો કૂબો તૂટ્યાથી પણ રડે !

ઝૂરો જનમભર, પણ માધવને મળવું હોય તો મળે !

શી રીતે સૂરજ કે જલ વીણ વૃક્ષ બાપડું ફળે ?
ઉદ્ધવજી ! જો કૃષ્ણ નથી, તો જીવવું શાનાં બળે ?

( વીરુ પુરોહિત )

ઉદ્ધવ ગીત-વીરુ પુરોહિત

ગોકુળની છે બધી ગોપીઓ હજુ સુધી અણજાણ !
શ્યામ ગયા, તે શ્યામ ગયા ? કે ગયા અમારા પ્રાણ ?

પગદંડી આ રઘવાઈ જે જઈ રહી મધુવનમાં;
એને છેડે ગોકુળ આખ્ખું પહોંચી જાતું ક્ષણમાં !
રાત આખીયે બધી ગોપીઓ જમુનાકાંઠે ગાળે;
શું, ઉદ્ધવજી ! માધવ કદીયે ગોકુળ સામું ભાળે ?

મથુરાની ગત મથુરા જાણે;
અમે જાણીએ, અહીં પ્રેમનું મચી જતું રમખાણ !
શ્યામ ગયા, તે શ્યામ ગયા ? કે ગયા અમારા પ્રાણ ?

દૈવ અમારું ગયું રૂઠી, ના કશો કીધો અપરાધ;
તમે મેળવ્યું મધુ, અમારે હિસ્સે છે મધમાખ !
જીવતર લાગે હવે દોહ્યલું, આયુષ લ્યો વાઠીને;
ઉદ્ધવજી ! લઈ જાઓ, દઈએ સહુના જીવ કાઢીને !

તરશું કેવી રીતે, ઉદ્ધવ ?
ડૂબી ગયાં છે દરિયા વચ્ચે સહુનાં સઘળાં વ્હાણ !

ગોકુળની છે બધી ગોપીઓ હજુ સુધી અણજાણ !
શ્યામ ગયા, તે શ્યામ ગયા ? કે ગયા અમારા પ્રાણ ?

( વીરુ પુરોહિત )

ઉદ્ધવ ગીત-વીરુ પુરોહિત

વિનિપાત નોતરવા, કરવાં પડે જ વિપરીત કાર્યો !
ઉદ્ધવ ! શ્યામે ગોકુળ છોડી, પગે કુહાડો માર્યો !

આમ્રકુંજમાં કૂજે કોકિલ, ટહુકો લાગે મીઠો;
થોર ઉપર શું કોઈ કાગડો પણ બેસેલો દીઠો ?
સહન કરત જો શિર પર ઢોળી દેત સૂરજની હાંડી;
વિરહ થકીયે વસમું છે, જે શ્યામ ગયા છે છાંડી !

રહ્યાં અ-સાવધ અમે, રમ્યો એ દાવ કપટનો ધાર્યો !
ઉદ્ધવ ! શ્યામે ગોકુળ છોડી, પગે કુહાડો માર્યો !

વસ્ત્ર વિના તો દાખવશે શી રીતે કલા રંગારો ?
ઘાસ નથી તો આપોઆપ જ ઠરી જશે અંગારો !
એક વૃક્ષ પણ હોય નહીં એવાં રણમાં આથડશે;
વનરાવન, ગોકુળ માધવને ક્ષણે ક્ષણે સાંભરશે !

થાય કદી પસ્તાવો, કહેજો : આવે થાક્યો – હાર્યો !

વિનિપાત નોતરવા, કરવાં પડે જ વિપરીત કાર્યો !
ઉદ્ધવ ! શ્યામે ગોકુળ છોડી, પગે કુહાડો માર્યો !

( વીરુ પુરોહિત )

ફરી એક વાર..-કુમાર જૈમિનિ શાસ્ત્રી

૧.
આજે ફરી એક વાર
મનના ગોકુળિયામાં
બાલકૃષ્ણની બંસી બજી ઊઠી છે
એક કાચ્ચી-કુંવારી છોકરી
ભર ઊંઘમાંથી
આળસ મરડીને
જાગી ઊઠી છે…

૨.
યુગોયુગોથી સુષપ્ત નસોમાં
ઉન્માદના હરણાં ને સસલાં
કૂદાકૂદ કરી
મર્યાદા-બંધોને તોડીફોડીને
તહસ-નહસ કરી રહ્યાં છે
આ દુર્ઘટનાને ટાળવા માટે
ક્યારેક
નિખાલસતાપૂર્વક
મેં તેને પ્રપોઝ કરી હતી.


આજે ફરીથી
એ ઘડીનું
અનાયાસ સ્મરણ થઈ આવે છે
ફરીથી
એ છોકરીની અબોટ કુંવારપ
એક innocent છોકરાને
ઉન્માદની છોળો વચ્ચે
નોધારો મૂકીને ચાલી જાય છે

૪.
છોકરો
કૈંક વર્ષોથી
લગ્ને લગ્ને
કુંવારો રહી જાય છે
કારણ કે-
નિયતિ
આવા પ્રત્યેક કિસ્સામાં
દર વર્ષે
એક નવી જ છોકરીને
લાવીને ગોઠવી દે છે…..
ફરી
એક
વાર…..

( કુમાર જૈમિનિ શાસ્ત્રી )

કેસૂડાનાં કામણ-હર્ષદ ચંદારાણા

રુંવે રુંવે રણઝણ છે, આ કેસૂડાનાં કામણ છે,
ફૂલ-ફટાયો ફાગણ છે, આ કેસૂડાનાં કામણ છે.

ઘરમાં રંગો ઘૂઘવે છે, ફળિયે મોજાં ઉછળે છે,
એમાં ન્હાવાની ક્ષણ છે, આ કેસૂડાનાં કામણ છે.

છતથી રંગો વરસે છે, ભીની ભીની ભીંતો છે,
વરણાગી નિમંત્રણ છે, આ કેસૂડાનાં કામણ છે.

કમરો વિહવળ ધબકે છે, ઉંબર મીઠું ટહુકે છે,
રંગે લથબથ આંગણ છે, આ કેસૂડાનાં કામણ છે.

ફૂલો એનું વળગણ છે, રંગો એનું પહેરણ છે,
રંગ-રસીલો સાજણ છે, આ કેસૂડાનાં કામણ છે.

નહીં ઓળખે, ડૂબ્યો છું, આખો યે ખોવાયો છું,
રંગોના આ સગપણ છે, આ કેસૂડાનાં કામણ છે.

( હર્ષદ ચંદારાણા )

ક્રોધ : કારણ – નિવારણ (૨) – ઓશો

૧.
શાંતિ કંઈ ક્રોધની વિપરીત
દશા નથી, જેને તમે સાધી લો.

હા, એ વાત સાચી છે કે
જ્યાં શાંતિ છે ત્યાં ક્રોધ નથી.
શાંતિ છે ક્રોધનો અભાવ,
તેનાથી વિપરીત નહિ.

લોકો એમ માને છે કે
શાંતિ, ક્રોધથી વિપરીત દશા છે;
માટે ક્રોધને દૂર કરશું
તો શાંતિ પ્રાપ્ત થશે.

નહિ, ક્રોધને દૂર કરવાથી
શાંતિ પ્રાપ્ત નહિ થાય;
તેમ કરવામાં તો તમે
વધુ અશાંત થઈ જશો.

આ પ્રયત્નથી તો એટલું જ બને
કે તમે શાંતિનું એક આવરણ ઓઢી લો
એક અંચળો ઓઢી લો…

અને અંદર તો બધું દબાયેલું રહે-
ઝેરની જેમ, પરુની જેમ;
જે ગમે ત્યારે ફૂટી શકે.

૨.
તમે જ્યારે કહો છો કે-
‘હું ક્રોધી છું, મારે અક્રોધી બનવું છે’
ત્યારે તે વાતનો અર્થ તમે સમજ્યા ?

તમે ક્રોધને કારણે
અત્યંત અસહિષ્ણુ થઈ ગયા છો.
તમે ક્રોધને
ધૈર્યપૂર્વક સ્વીકાર નથી કરી શકતા.

તમે મનમાં કહો છો-
‘ક્રોધ અને તે પણ મારામાં ?
મારા જેવો સજ્જન કંઈ ક્રોધ કરે ?
નહિ, આ વાત તમને ગમતી નથી.

અને તમે વિચારવા લાગો છો-
‘મને ક્રોધથી છુટકારો જોઈએ છે.
મારે ક્રોધથી મુક્ત થવું છે.
હું તે માટે પ્રયત્ન કરીશ-
યમ-નિયમ સાધીશ,
આસન કરીશ, ધ્યાન-ધારણા કરીશ…
મારે તેનાથી મુક્ત થવું જ છે.’

તમે આ અધીરતાથી જણાવી દીધું કે-
જે છે તેનાથી તમે રાજી નથી,
જે છે તે સાથે તમે સહમત નથી.
તમે કંઈક બીજું ઈચ્છું છો.

અને બસ, તે ક્ષણથી તમે અશાંત થવા લાગ્યા.

( ઓશો )

સાચવી તો લે જ-કૃષ્ણ દવે

ભટકું કદાચ તો પણ એ સાચવી લે જ,
અટકું કદાચ તો પણ એ સાચવી લે જ.

હદથી વધુ સમસ્યા પીવાની ટેવ છે ને,
લથડું કદાચ તો પણ એ સાચવી લે જ.

ધગ ધગ થતા સમયને હું બાથ ભરી લઉં કે,
પકડું કદાચ તો પણ એ સાચવી લે જ.

જોવામાં એટલો હું તલ્લીન હોઉં ત્યારે,
સળગું કદાચ તો પણ એ સાચવી લે જ.

ખેંચાણ હર તરફથી વચ્ચે હું સ્થિર છતાંયે,
છટકું કદાચ તો પણ એ સાચવી લે જ.

હું શું કરું આ સઘળા દુ:ખને ગમું ને દુ:ખથી,
બટકું કદાચ તો પણ એ સાચવી લે જ.

માટે જ ત્યાં ઉગું છું જાણું છું મૂળમાંથી-
ઉખડું કદાચ તો પણ એ સાચવી લે જ.

તળ હો કે ટોચ કાયમ હું મોજથી રમું ને-
ગબડું કદાચ તો પણ એ સાચવી લે જ.

સહેલું નથી ગઝલની સામેય પણ ફરકવું,
અડકું કદાચ તો પણ એ સાચવી લે જ.

( કૃષ્ણ દવે )

કાંઈ નહીં-કૃષ્ણ દવે

ઝાકળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં,
ઝળહળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં.

સૂતેલા ઝરણાંઓને ઢંઢોળી વહેતા કરી મૂકે ને પોતે પાછો-
ખળખળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં.

લેવાતા બે શ્વાસ વચાળે સતત રેણ કરવાનું એનું કામ એટલે,
પળપળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં.

અડાબીડ એકલતામાં યે ઘટાટોપ દરબાર ભરી એ-
બાવળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં.

હાંફી, થાકી, ફસડતા પ્રત્યેક સમયનો વીરડો થઈ એ-
મૃગજળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં.

આરંભેલી એક ગઝલના મહાનૃત્યમાં શબ્દોનું દિગ્દર્શન કરવા
કાગળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં.

( કૃષ્ણ દવે )

એ કોણ છે ?-નીતિન વડગામા

રોજ ઝીણું ઝરમરે, એ કોણ છે ?
આંગણું ભીનું કરે, એ કોણ છે ?

હરપળે આ શ્વાસના મંદિર ઉપર,
થઈ ધજા જે ફરફરે, એ કોણ છે ?

કોણ ગોવર્ધન ઉપાડે છે હજી ?
આંગળી ટચલી ધરે, એ કોણ છે ?

શાંત જળમાં, આભમાં, અવકાશમાં,
શિલ્પ ઝીણાં કોતરે, એ કોણ છે ?

પાંદડું પીળું કરીને ખેરવે,
ને પછીથી પાંગરે એ કોણ છે ?

સાવ ખાલી થઈ જતા આ પાત્રને,
જે સ્વયં આવી ભરે એ કોણ છે ?

ઊંઘ ઉડાડીને અક્ષર પાડવા,
હાથમાં કાગળ ધરે એ કોણ છે ?

( નીતિન વડગામા )