ગાંઠ ખૂલવા નિમિત્તે-તુષાર શુક્લ

ગાંઠ ખૂલવા નિમિત્તે યાદ કર્યા ગુરુને.
ગુરુ શબ્દનો ગૌરવલોપ થયો છે.
ગુરુ શબ્દનો અર્થહ્રાસ જોવા મળે છે.
હળવીથી માંડીને હલકી વાતોમાં ‘ગુરુ’ શબ્દ !
અયોગ્ય ચાતુરીના અર્થમાં ઉપયોગમાં લેવાય છે.
ગુરુના માનભંગ માટે ગુરુ અને શિષ્ય બંને જવાબદાર.
ગુરુનો સંકીર્ણ અર્થ ગાઈડમાં ફેરવાયો છે.

ગાઈડ અને ગુરુ વચ્ચે ફેર છે.
ગાઈડ દિશા દર્શાવતો નથી, સાથે ફરીને સઘળું બતાવી દે છે.
ગાઈડ કુતૂહલનો શત્રુ છે, ગાઈડ વિસ્મયનો વિરોધી છે.
ગુરુ માત્ર દિશા દર્શન કરાવે છે.
આંગળી ચીંધે છે-જોવાની દ્રષ્ટિ આપે છે.
પછી, આપણી જવાબદારી શરૂ થાય છે.

આપણે સજ્જતા કેળવવાની છે.
હૈયા ઉકલત પ્રમાણે સમજાતું જાય છે.
ગુરુ ઉંબર પર ઊભા રહી જાય છે.
ઓરડે ઓરડે ફરતા-ફેરવતા નથી,
ગુરુએ ઉકેલી ગાંઠ ફરી પડતી નથી !

( તુષાર શુક્લ )

Leave a comment