ગાંઠ બાંધનારા-તુષાર શુક્લ

ગાંઠ બાંધનારા જાણે છે કે ગાંઠના પ્રકાર હોય છે.
એમાં એક ગાંઠ ‘સરકણી ગાંઠ’ કહેવાય છે
એનો ગાળિયો છૂટવાની મથામણમાં વધુ ને વધુ રૂંધાતો જાય છે.
ફાંસીગરનો ગાળિયો, જીવન હરી લે છે.
કેટલીક ગાંઠમાં બંને છેડા એવા છૂટા રખાય છે
કે સહેલાઈથી છૂટી જવાય. સરકી જવાય.

જ્યાં કશુંક તૂટતું હોય અને એને સાચવવું જરૂરી હોય
જ્યાં કશુંક છૂટતું હોય અને એને જાળવી લેવું જરૂરી હોય
ત્યાં ગાંઠ આવકાર્ય છે.

અલબત્ત, ગાંઠ ગાંઠ જ છે.
એને ભૂલો નહિ તો
ગમે તેટલી ઝીણી ગાંઠ પણ ખટક્યા કરે છે.

પતંગરસિકો જાણે છે દોરીમાં જો આવી ગાંઠ આવે તો દોરી
સરકતી અટકે છે ને પેચ કપાય છે.
પવન અનુકૂળ હોય છતાં ય પતંગ કપાવાની પાછળ દોરીમાંની આ ગાંઠ છે.

વર્ષોની ગાંઠે જો વ્યક્તિ બંધાય તો એની ગતિ રૂંધાય
અને જીવન ગંધાય !

( તુષાર શુક્લ )

Leave a comment