નમસ્તસ્યૈ નમો નમ: (૨)

.

હે, મા ! જીવનમાં ન યાદ રાખવાનું અમે યાદ રાખીએ છીએ અને તારા અનેક ઉપકારોને ભૂલી જઈએ છીએ. ઘણી વખત સત્ય અસત્ય લાગે છે તો અસત્ય સત્ય ભાસે છે. ભ્રમિત થયેલાં અમે ઘણી વખત તારો અપરાધ પણ કરી બેસીએ છીએ. છતાં પણ તું ક્યારેય અમારા પર અપકાર કરતી નથી.

.

તારો ક્રોધ પણ માટી ખાતા અબુધ બાળકને વઢવા જેવો હોય છે. શા માટે તું અમને આટલું બધું હેત કરે છે એ અમારી સમજમાં આવતું નથી. અમે તો તારા માટે કંઈ જ કર્યું નથી. છતાંય ડગલેને પગલે તું અમારી સાથે જ હોય છે. તું જ અમારી પ્રેરણામૂર્તિ છે. છતાંય અમે કેવાં સ્વાર્થી છીએ ? સારું થાય તો એનો જશ અમે અમારી જાતને આપીએ છીએ અને ખરાબ કે ન ધાર્યું થાય તો એમાં તને નિમિત્ત બનાવીએ છીએ.

.

મોટા ફાયદા માટે તને નાની લાલચ આપીને તારી પાસેથી કામ કઢાવવા મથીએ છીએ. ત્યારે તને અમારી સ્વાર્થવૃત્તિ ઉપર હસવું આવતું હશે.

.

મા ! શ્રદ્ધા અને અંધશ્રદ્ધાના ભેદને અમે જાણતાં નથી. તારા તરફની અતૂટ ભક્તિને લીધે જો અમારા જીવનમાં કોઈ ચમત્કારો સર્જાતા હોય તો એને અંધશ્રદ્ધા માની અવગણવા કે શ્રદ્ધાનું પરિણામ સમજી આવકારવા એ જ અમને સમજાતું નથી. અંધશ્રદ્ધા વિશે તો ઘણા કહે છે. પણ તેઓ શ્રદ્ધાની સાચી સમજ આપી શકતા નથી.

.

એક કુટુંબમાં પણ અમે કંકાશ કર્યા વિના રહી શકતાં નથી. કોઈ અમારો વિશ્વાસ કરે તેમ નથી. અમે એ પણ જાણીએ છીએ કે જો સ્વાર્થ ન હોય તો કોઈ અમારી સાથે સંબંધ રાખી શકે તેમ નથી. છતાંય તું અમને તારા ચરણોમાં સ્થાન આપે છે. એનાથી બીજું મોટું અહોભાગ્ય અમારા માટે શું હોઈ શકે ?

.

જેનો ગુનો કરીએ એ જ અમને માફ કરે એ તો મા, આ જગતમાં તારા સિવાય કોઈ ન હોઈ શકે.

.

દેવતાઓ તારું સ્મરણ કરતાં બોલે છે :

रौद्रायै नमो नित्यायै गौर्यै धात्र्यै नमो नम:

ज्योत्स्नायै चेन्दुरुपिण्यै सुखायै सततं नम:

.

રૌદ્રાને નમસ્કાર, નિત્યા, ગૌરી અને ધાત્રીને વારંવાર નમસ્કાર છે. જ્યોત્સ્નામયી, ચંદ્રરૂપિણી અને સુખસ્વરૂપા દેવીને સતત પ્રણામ છે.

.

મા ! અમારા પણ હ્રદયપૂર્વકના આ નમસ્કારને સ્વીકારી તારા તરફની અમારી શ્રદ્ધાને દ્રઢ બનાવજે કે જેથી અંધશ્રદ્ધાથી દૂર રહેવાની અમારી સમ્યક દ્રષ્ટિ ખીલે.

.

મા ! જગતના જીવોનું કલ્યાણ કરજે. સૌનું દુ:ખ હરજે અને અમને તારાં કાર્યો કરવા માટે નિમિત્ત બનવાની શક્તિ અર્પજે.

.

( મન્નીમા )

નમસ્તસ્યૈ નમો નમ: (૧)

આજથી શરુ થતી નવરાત્રિ “મા”ની આરાધના, ભક્તિ અને અનુષ્ઠાન કરવાના દિવસો છે. તંત્રોક્ત દેવીસુક્તના ઘણાં શ્લોકો પર “મન્નીમા”એ પોતાના સહજ ભાવોદ્દગારને વાણીના પુષ્પોમાં ગૂંથીને એક એક શ્લોકસુમનને જગતજનની મા અંબાના ચરણોમાં અર્પણ કર્યા છે. જે “નમસ્તસ્યૈ નમો નમ:” નામના પુસ્તક રૂપે પ્રકાશિત થયા હતા. આ પુસ્તકના પ્રથમ નવ લેખો નવરાત્રિના નવ દિવસ દરમ્યાન માણીશું. આ લેખોને મારી સાઈટ પર મૂકવાની સંમતિ આપવા બદલ હું “મન્નીમા”નો આભાર માનું છું.

(૧)

.

હે, મા ! જાણવાના ભ્રમમાં જીવતાં અમે કંઈ જ જાણતાં નથી. સ્વાર્થ અને મોહમાં સપડાયેલાં અમે અનેકવાર ન કરવાનું કરી બેસીએ છીએ. અનેકવાર તારો અપરાધ થઈ જાય છે. છતાં પણ જ્યારે મુશ્કેલી પડે છે ત્યારે તારા સિવાય અન્ય કોઈનું શરણ સાંભરતું નથી.

.

સંસારી સંબંધીઓના સહયોગના મૂળમાં રહેલા સ્વાર્થે અમે ખૂબ નિરાશ થયાં છીએ. એમના પ્રેમને પીછાણી લીધો છે. એમના હેતને ઓળખી લીધું છે. કોઈનામાં વિશ્વાસ બેસતો નથી. સંસારના સંબંધો તરફની અમારી દોટ આંધળી છે તેથી સમગ્ર વિશ્વમાં ભટકીને આખરે તારી પાસે જ ક્ષમાની ઝોળી ફેલાવતાં ઊભા છીએ.

.

તું અમારી ભૂલોને ક્ષમા કર. અમને સદ્દબુદ્ધિ આપ અને સન્માર્ગે ચાલવાની શક્તિ આપ. તારી ભક્તિના રંગમાં રંગાવાની અમારી તીવ્ર ઈચ્છા છે. જીવનની ક્ષણેક્ષણ તારા નામ અને કામમાં વ્યતિત થાય એવી અમને તારા તરફથી પ્રેરણા મળી રહે તો જ અમારું જીવવું સાર્થક બને અન્યથા કૂવામાંના દેડકાંની જેમ ફૂલાઈને ફરનાર અમે માત્ર ભ્રમમાં જ જીવ્યા કરીશું.

.

અમે બોલીને તને શું કહીએ ? છતાં લાગણીવશ કેટલુંક બોલવા જેવું અને ન બોલવા જેવું પણ બોલાઈ જાય છે. એને તારી સ્તુતિ સમજીને સ્વીકારજે. ક્ષણેક્ષણ તું રક્ષા કરજે. દુ:ખ અને સુખની વ્યાખ્યા તું મને સમજાવજે.

.

કદાચ અમારા વર્તનથી કોઈને દુ:ખ થતું હોય તો અમને એટલી શક્તિ આપ કે ક્યારેય અમે કોઈનું દિલ ન દુભાવીએ. અમારા હ્રદયનું એવું પરિવર્તન કર કે જેમાં તારો નિવાસ થાય અને અમને ક્ષણેક્ષણના વર્તનમાં સતત જાગૃતિ રહ્યા કરે. તું જ અમને આ બધું શીખવ અને સમજ તેમજ શક્તિ પૂરાં પાડ.

.

કોઈ વાતની તું કસોટી કરે તો એમાંથી પાર ઊતરવાની પણ શક્તિ આપજે.

.

દેવતાઓ પણ તારું સ્મરણ કરતાં બોલે છે:

.

नमो देव्यै महादेव्यै शिवायै सततं नम:

नम: प्रकृत्यै भद्रायै नियता: प्रणता: स्म ताम

.

દેવીને નમસ્કાર છે. મહાદેવી શિવાને સર્વદા નમસ્કાર છે. જગત જનની જગતકારણ એટલે કે પ્રકૃતિ અને મંગળ સ્વરૂપ ભદ્રાને નમસ્કાર છે. અમે તે જગદંબાને નિયમપૂર્વક નમસ્કાર કરીએ છીએ.

.

મા ! અમારા હ્રદયપૂર્વકના આ નમસ્કારને સ્વીકારી તારા ચરણોમાં સ્થાન આપજે કે જેથી અહંકારથી અમે ફૂલાઈ ન જઈએ અને અજ્ઞાનથી, ભૂલથી અને બુદ્ધિ ભ્રાન્ત થવાના લીધે તારી ભક્તિમાં ઓટ ન આવે.

.

મા ! જગતના જીવોનું કલ્યાણ કરજે. સૌનું દુ:ખ હરજે અને અમને તારાં કાર્યો કરવા માટે નિમિત્ત બનવાની શક્તિ અર્પજે.

( મન્નીમા )

(

એકાંતની ઈજ્જત કરે એ મિત્ર

Happy Friendship Day

એકાંતની ઈજ્જત કરે એ મિત્ર

.

મૈત્રી એ મનુષ્યની મોટામાં મોટી મિરાત છે. પૃથ્વી પર જન્મેલો કોઈ પણ માણસ આખાય આયુષ્યમાં જો મિત્ર વિનાનો રહે તો હું એને એની વ્યક્તિ તરીકેની મોટામાં મોટી નિષ્ફળતા કહું. મૈત્રીનું પંચાંગ નથી હોતું. મૈત્રી સહજપણે થાય છે. કોઈ પણ પ્રકારના સંબંધમાં સહજતા એ મોટામાં મોટી વસ્તુ છે. આ સહજતાની સાથે સાથે નિખાલસતા પણ હોવી જોઈએ. બે માણસ મળે અને ખુલ્લે દિલે વાત ન કરી શકે અથવા વાત કરતાં એવો ભય હોય કે ‘આમ બોલીશ તો શું લાગશે?’ તો એ સંબંધ કાચનો કહેવાય, સાચનો ન કહેવાય. મૈત્રીએ પણ અનેક અવસ્થામાંથી પસાર થવાનું હોય છે. કોઈ પણ સંબંધની કસોટી કાળ છે. સંબંધ શબ્દ બોલીએ એટલે જ એમાં જાણે અજાણે બંને પક્ષે નાની મોટી અપેક્ષાઓ હોય છે. આના કોઈ કોલ-કરાર નથી હોતા. પણ છૂપા, સૂક્ષ્મ આગ્રહો હોય છે. શબ્દો વિના એકમેકના મનોભાવને પામી જવા એ કદાચ મૈત્રીની પરાકાષ્ઠા છે. વફાદારીનો પણ એક ઋગવેદ હોય છે. આ ઋગવેદ હૃદયની લિપિમાં લખાયેલો હોય છે. હ્રદયની લિપિ ઉકેલી શકે તે મિત્ર. પતિ-પત્નીના સંબંધમાં પણ બે વ્યક્તિ એકમેકના માલિક ન થાય પણ મિત્ર થાય તો તે આદર્શ સંબંધ કહેવાય.

.

મૈત્રી એટલે સંવાદ. સંવાદ એટલે ડાયલોગ પણ ખરો ને હાર્મની પણ ખરી. મૈત્રીને કારણે માણસની એકલતાનું એકાંતમાં રૂપાંતર થાય છે. Loneliness અને Solitude વચ્ચે ભેદ છે. સાચા મિત્રો એકમેકના એકાંતની ઈજ્જત કરતા હોય છે.

.

શાળામાં ભણતા હોઈએ ત્યારે નસીબદારને મિત્રો મળે છે. એવા મિત્રો કે બંનેના અભ્યાસો જુદી વાટે ફંટાયા હોય, બંનેના વ્યવસાયો પણ જુદા જુદા હોય અને છતાંય એ મૈત્રીનાં મૂળિયાં કદીય ઊખડતાં નથી. નવા નવા મિત્રો થતા જાય છે પણ જૂના મિત્રો ડાળ પરનાં પાંદડાંની જેમ ખરતા નથી. એક કવિએ કહ્યું’તું કે મોટેભાગે ઓફિસ ફ્રેન્ડશીપ ૧૧ થી ૫ ની હોય છે અને છતાંય ઓફિસમાં પણ એવી મૈત્રી બંધાતી હોય છે કે ૧૧ થી ૫ ને ઓળંગીને ક્યાંક શાશ્વતી મુદ્રા પામે છે. આપણે ત્યાં મૈત્રીના ક્યારેક સંકુચિત અર્થ હોય છે. બે પુરુષ કે બે સ્ત્રી વચ્ચે જ મૈત્રી હોય એવો સંકુચિત અર્થ કરવાની જરૂર નથી. એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચે પણ શરીરને ઓળંગીને નર્યો અને નકરો મૈત્રીસંબંધ હોઈ શકે એવું કોઈ વિચારી શકતા નથી અને આવા સંબંધોમાં ક્યાંક ને ક્યાંક વિઘ્નસંતોષીઓ, હવનમાં હાડકાં નાખનારાઓ શરીરની બારાખડી ગોઠવી દે છે. અને માની લો કે ક્યાંક શરીરની બારખડી ગોઠવાઈ પણ હોય તો એ બંનેની સંમતિનું પરિણામ છે. એના પર ચોકીપહેરો ભરવાનો, ટીકાટિપ્પણ કરવાનો આપણને કોઈ અધિકાર નથી. હું તો કોઈ પણ બે વ્યક્તિઓના સંબંધના સૌંદર્યને કમળ જેમ ઊઘડતું જોઉં છું ત્યારે જલકમલવત થઈ એ સૌંદર્ય માણવાનું વધુ પસંદ કરું છું. મૈત્રીની મોટામાં મોટી કરૂણતા એ છે કે બે વ્યક્તિઓ પ્રેમને નામે એકમેક પર ચોકીપહેરો ભરે. જેવી સંબંધમાં માલિકીની ભાવના પ્રવેશી એટલે વ્યક્તિ વસ્તુ થઈ ગઈ.

.

મને તો ઘણીવાર આખું જગત મૈત્રીમય લાગે છે. પ્રકૃતિમાં પણ ઘણીવાર મૈત્રીના જ દર્શન થાય છે. ફૂલ અને ઝાકળની મૈત્રી, ફૂલ અને પતંગિયાની મૈત્રી, જળ અને સૂર્યકિરણની મૈત્રી, સામસામી શરણાઈઓ વાગતી હોય એવી પંખીઓની મૈત્રી…..આખું આયુષ્ય જાણે આંબાવાડિયું ન હોય !

.

મૈત્રીની વાતો જેટલી ચાલે છે એટલી મૈત્રી વાસ્તવિકતામાં હોય છે ? મૈત્રીમાં હાથતાળી અને સંતાકૂકડી ન હોવી જોઈએ. મૈત્રીમાં સાપસીડીની રમત ન રમાય. કોઈકની ઉન્નતિ જોઈને આનંદ થવો જોઈએ અને મુશ્કેલી જોઈને દુ:ખ. વિશ્વજન તો થવાય ત્યારે થવાય. પણ મૈત્રી પૂરતા વૈષ્ણવજન રહી શકીએ તોય ઘણું. કેટલીક મૈત્રી પૂરતા વૈષ્ણવજન રહી શકીએ તોય ઘણું. કેટલીક મૈત્રી દેવદારના વૃક્ષો જેવી હોય છે. દેવદારના વૃક્ષો અમુક ઊંચાઈ પર જ ઊગતાં હોય છે. એવો મિત્ર હોવો જોઈએ કે જે આપણા એકાંતને અદ્રશ્ય ઈશ્વરની જેમ સમૃદ્ધ કરતો રહે.

.

મૈત્રી વિશે આટલી વાત કર્યા પછી પણ વૈયક્તિક કે સામૂહિક અનુભવોને કારણે હોય કે અન્ય કોઈ કારણે હોય છેવટે તો એટલું જ કહેવાનું રહે છે કે માણસે પોતે જ પોતાના મિત્ર થવું જોઈએ. એ મૈત્રી પરમ આત્મા સાથેની એટલે કે પરમાત્મા સાથેની.

.

સુરેશ દલાલ

અલૂણાં વ્રત અને ખાયણાં

અમે નાના હતા ત્યારે દર વર્ષે અલૂણા વ્રત કરતા. એ ચાર-પાંચ દિવસો દરમ્યાન પૂરેપૂરા વ્રતમય બની જતાં. સ્કુલમાં પણ એ દિવસો દરમ્યાન રંગબેરંગી વસ્ત્રો પહેરીને જવાનું હોય. હાથમાં મહેંદી મૂકવામાં આવતી. આખો દિવસ મીઠા વગરની જાતજાતની વાનગીઓ ખાવાની મળતી. સીંગદાણાની અને રાજગરાની ચીક્કી, સૂકોમેવો, ફળો વગેરે ખાવા મળતું. રોજ સવાર-સાંજ ગોરમહારાજના ઘરે હાથીની પૂજા કરવા જતાં. વ્રતના છેલ્લા દિવસે પૂજા કરી નવાં નવાં કપડાં પહેરીને ફરવા જતાં અને ફોટોગ્રાફર પાસે ફોટો પડાવતાં. વળી અલૂણા નિમિત્તે સ્કુલમાં અને જ્ઞાતિમાં વિશેષ સ્પર્ધાઓ રાખવામાં આવતી. જેમાં અલુણાની રાણી, મહેંદી હરીફાઈ અને ખાયણાં હરીફાઈ ખાસ રહેતી. આખા ગુજરાતમાં અલૂણાં દરમ્યાન ખાયણાં ગાવાનું પ્રચલિત છે કે નહીં તેનો મને ખ્યાલ નથી. પણ અમારા અહીં (દક્ષિણ ગુજરાતમાં) અલૂણાં દરમ્યાન ખાસ ખાયણાં ગાવામાં આવતા. ખાયણાં એટલે આમતો કવિતાની એક પંક્તિ સમાન. પણ તે વિશેષ રાગમાં ગાવામાં આવે છે. વળી એ પંક્તિ જેને લાગતીવળગતી હોય તેનું નામ તેમાં લેવામાં આવે. ખાયણાં અને હિંચકો એ બન્ને અભિન્ન અંગ જેવા. અલૂણા દરમ્યાન બપોરના સમયે હિંચકા પર બેસીને અમે ખાયણાંઓ ગાઈને સમય પસાર કરતા. અમે કરેલા તમામ અલૂણાવ્રત અમારા સૌના માસી કોકિલામાસીની રાહબરી હેઠળ અમે કરતાં. અમને ખાયણાં શીખવવાનું, મહેંદી મૂકવાનું, જવારા વાવવાનું, સૌને તૈયાર કરવાનું, ફોટોગ્રાફ પડાવવા લઈ જવાનું વગેરે બધું કામ કોકિલામાસી જ કરતાં. હાલ જ્યારે અલૂણાવ્રત ચાલી રહ્યા છે ત્યારે મને મારું બાળપણ ફરી યાદ આવ્યું અને ખાયણાં પણ. મારા કહેવાથી કોકિલામાસીએ તરત જ ઘણાં બધાં ખાયણાં આજે લખી આપ્યા જે હું અહીં રજૂ કરું છું.

ખાયણાં ગાઉં ને હિંચકે રે ઝૂલૂં

રમત સઘળી ભૂલું રૂડાં મારા ખાયણાં

*

નિશાળ જાય મારા બંસરીબેન સલૂણા

વ્રત કરે અલૂણા કે અષાઢ માસના

*

પાછલી રાતે શેકું ધાણીને દાળિયા

દેવર્શભાઈ નિશાળિયા ને ગજવે ઘાલવા

*

ઓ પેલી ઓ પેલી ધરમપૂરની ધજા

દીકરી પરણાવવાની મજા તો વલસાડ શહેરમાં

*

ઓ પેલી ઓ પેલી રામજી મંદિરની ધજા

ભણવા ગણવાની મજા જમનાબાઈ સ્કુલમાં

*

તાંબાનું તરભાણું મહીં જડેલા હીરા

સંધ્યા કરશે વીરા તો ચાંદનીબેનના

*

મારા તે બાપને હું ઓ દીકરી દીવો

જાજમ તકિયા સીવો જમાઈને બેસવા

*

મારા તે બાપને હું એ દીકરી લાડકી

કન્યાદાનમાં આપી સોનાની વાડકી

*

જૂના તે ઘરમાં સામાસામી ખીંટી

સવા બે લાખની વીંટી વીરાજીના હાથમાં

*

આકાશે આપ્યા ને ધરતી માએ ઝીલ્યા

મા-બાપે ઉછેર્યા કે પરને સોંપવા

*

કઈ બેનને લીલુ ને કઈ બેનને પીળુ

કઈ બેનને ગુલાબી સાળુ શોભશે

*

સીમાબેનને લીલુ ને વર્ષાબેનને પીળુ

ગીતાબેનને ગુલાબી સાળુ શોભશે

*

પ્રીતિબેન રાંધે ને દીપ્તિબેને પીરસે

દીપ્તિબેનને છાંટો મૂકવાની ટેવ છે

*

ભાઈ તો જમે ને ભોજાઈ ડોકાવે

રખે જો નણંદી આવે રે મારા બારણે

*

નહીં આવું નહીં આવું ભાભી તારે બારણે

તારા પુત્રને કોણ ઝુલાવશે પારણે

*

સરોવરને પાળે માને દીકરી મળ્યા

ધ્રુસકે ધ્રુસકે રડ્યા કે સરોવર ભરાઈ ગયા

*

આવો ને સહિયર ઝીણાં મોતી પોઈએ

વાંકળીયા વર જોઈએ કે અમીબેનના

*

સરોવરને પાળે મહાદેવજીનું દેરું

દર્શન કરવાનું તેડું ભાઈ ભોજાઈને

*

અમિતભાઈના હાથમાં ઓફિસની છે ફાઈલ

નવો છે મોબાઈલ નમ્રતાવહુના હાથમાં

*

ચાંદનીબેન પરણેને મોર પૂતળીના માંડવા

અખંડ ઉજાગરા એના મા-બાપને

*

મારા તે બાપે પરદેશ દીકરી દીધી

ફરી ખબર ના લીધી મૂઈ કે જીવતી

*

મારા તે બાપે વ્હાણે ચઢી વર જોયા

ચતુર વરને મોહ્યા કે ચોપડો વાંચતા

*

હોડીવાળા હોડીવાળા તારી હોડીમાં આરસી

આવતાં લીલીબેન પારસી ને પેલે પાર ઉતારજો

*

હોડીવાળા હોડીવાળા તારી હોડીમાં રેતી

આવતાં મંજુબેન મ્હેતીને પેલે પાર ઉતારજો

*

આજે તે રાંધુ લાપસી લચકાતી

અનીતાવહુ મચકાતીને જમવાનું નોતરું

*

આજે તે રાંધુ તાંદલિયાની ભાજી

ટીશા તારી આજીને જમવાનું નોતરું

*

આજે તો રાંધુ તળેલા તે પાત્રા

હેમાબેન કરે જાત્રા બદ્રીકેદારની

*

ભણો ગણો પણ ઘરધંધો તો શીખો

એ વિણ સંસાર સુનો ભણતર શા કામના

*

કાચની કોયલ આંબલિયામાં રમતી

મામા ભેગી જમતી ટીશાબેન લાડકી

*

ફ્રોક પહેરુંને કેસરી પટ્ટો બંધાવું

વિદ્યાર્થીની કહેવડાવું કે જમનાબાઈની

*

મહાદેવના મંદિરમાં થાળ ભરી પરસાદ

વહેલો આવ્યો વરસાદ કે વલસાડ શહેરમાં

*

ભણું ગણું ને શાળાએ જઈ આવું

આશિષ તો લઈ આવું સરસ્વતી માતના

*

અલૂણા કરું હું નવમા ધોરણની બાળા

જમનાબાઈ છે શાળા મારી રળિયામણી

*

દેવને વ્હાલા ઘીના દીવાના કોડિયાં

મુજને વ્હાલા ગુરુજી મારી નિશાળના

*

ભર્યા સરોવરમાં તરતો કમળનો ગોટો

સોને મઢાવું ફોટો રાધાવલ્લભલાલનો

*

આવોને માલણ ફૂલ ચમેલીના લાવો

અંબોડો ગૂંથાવો તે તુલસીબેનનો

*

સાંજ પડે ને આથમતા રવિનું તેજ

માડી કેરું હેત મને કેમ વિસરે

*

સાસુજી આવ્યાને ખાયણાં ગાતાં અટકી

કહે વહુ આજ ફટકી કે રાગડા તાણતી

*

સરોવરને પાળે હારો હાર આંબા

દેસાઈ સરખા મામા મોસાળુ લાવશે

*

આજે તે રાંધુ સેવ એ સુંવાળી

ચાંદનીબેન કુંવારીને જમવાનું નોતરું

*

લીલી દરોઈ નખે કરીને ચૂંટું

જોષીને લગન પૂછું પ્રણવભાઈના

*

દીકરી પરણેને માને આવે આંસુ

સારી રીતે રાખે સાસુ રે એને સાસરે

*

શ્રાવણ વરસે ને ભાદરવાની હેલી

માડી તારી વાણી રે નિત્ય સાંભરે

*

મારે તે બારણે ફૂલ ચમેલીના કૂંડા

સૌના કરતાં રૂડાં પ્રીતિબેનના સાસરા

*

મોટરમાં બેસીને આવો મોટા ફુઈ

પાંચમના જનોઈ કે પાર્થભાઈના

*

આ રે દુનિયામાં એક મોટી ખોડ

સરખે સરખી જોડ રે શોધી નવ મળે

*

ચાંદીના પ્યાલામાં દેવર્શભાઈ પીએ મીલ્ક

નમ્રતાવહુ પહેરે સીલ્ક કે વલસાડ શહેરમાં

*

પ્રણામી સ્ટ્રીટમાં રાધાકૃષ્ણનો વાસ

રમવા જઈએ રાસ આસોની રાતના

*

સાંકડી શેરીમાં રાધાકૃષ્ણ મળ્યા

માખણ લૂંટી લીધા રાધા રીસાઈ ગયા

*

વણ બોલાવ્યા પર ઘર તો નવ જઈએ

ઉછાંછળા નવ થઈએ કે રહીએ માનમાં

*

ખાયણાં ખાયણાં બોલ્યા સામા સામી

ગમ્મત આજે આવી કે રૂડાં ખાયણાં

*

રિદ્ધિ સિદ્ધિના દાતા ગણપતિ દાદા

ગીત એના ગાતા કે પૂરા થયા ખાયણાં.

पहचान लें

प्रिय विजय मूर्ति,

प्रेम.

मैं यात्रा करुं या न करुं-बोलूं या न बोलूं

ईससे कोई भी भेद नहीं पडेगा, उनके लिए जो कि

मेरे साथ चलने को तैयार है.

उनके लिये रुके हुए भी मेरी यात्रा जारी रहेगी

और मौन में भी मैं बोलता रहूंगा.

शरीर भी मेरा निराकार में खो जाये, तो भी

मेरे हाथों का सहारा उन्हें मिलता रहेगा.

और, आज ही नहीं-कभी भी काल के अनंत

प्रवाह में मैं उन्हें मार्ग दूंगा.

क्योंकि, अब मैं नहीं हूं-वरन स्वयं प्रभु ही मेरी

बांसुरी से गीत गा रहा है.

जिनके पास आंखे हों-वे देख लें.

जिनके पास कान हों-वे सुन ले.

और जिनके पास प्रज्ञा हो-वे पहचान लें.

ओशो