મા, મારા જીવતદાન માટે
ઠાકોરજીને ક્યાં સુધી ધર્યા કરીશ
આંસુઓના થાળ?
તને ખબર તો છે જ કે
બહેરી થઈ ગયેલી મારી કરોડરજ્જુમાં
ક્યારેય લીમડાની કૂંપળો ફૂટી શકી નથી
છતાંય તું બ્રાહ્મણોને મૃત્યુંજયના જપ
કરવાનું શા માટે કહે છે?
હવે તો ટેબલેટ્સ ગળવાથી પણ
જ્ઞાનતંતુમાં થીજેલા પતંગિયાઓ
ઊડી શકે તેમ નથી
ને ઊલટાના આવે છે મૃત્યુના વિચારો.
એટલે તો કહું છું કે
શીશીમાં રહી-સહી દવા ઢોળી નાખ
મને મારા લોહીના બળવાની વાસ આવે છે.
હવે બની શકે તો-
આ પલંગ પર ખેતરની માટી પાથરી દે,
માથા પરથી છત ઉડાડી દે,
આકાશને કહે-અહીં આવે
આ દીવાલોને ખસેડીને લઈ જા,
વૃક્ષોના હસતા ચહેરાઓને બોલાવી લાવ
(પ્લીઝ, ડોકટરને નહીં)
મારી પીઠ પર લગાડેલી
આ સ્ટ્રીપ્સ ઉખેડી લે,
પંખીઓને કહે-અહીં આવી બેસે,
કપાળ પરથી હઠાવી કે મીઠાનાં ભીનાં પોતાં,
શિશુઓ જેવાં વાદળોને બોલાવી લાવ-
મારા વાળમાં ભીની હથેળીઓ ફેરવે…
અને ફરી વાર કહું છું
આ ટેબલ પરની શીશીઓમાંથી-
દવા ઢોળી નાખ
ને તારાં સ્તનોનું
પહેલાંનું તાજું દૂધ પા
-કદાચ હું જીવી જઈશ!
( મહેન્દ્ર જોશી )