Tag Archives: પહલગામ

યુધ્ધ એ જ કલ્યાણ-એષા દાદાવાળા

પૂછયું કલમો પઢતા આવડે છે?

અઝાન બોલતા આવડે છે?

ને પછી પારકી બંદૂકોમાંથી ગોળીઓ વરસાવી…

મોતે પ્રવાસીઓ પાસેથી જિંદગીનો

જઝિયા વેરો ઉઘરાવ્યો…..

હવે તો એક જ ધર્મ,

વીરધર્મ….

યુધ્ધ એ જ ધર્મ…..

નજર સામે હિંદુ પતિને મરતો જોનારી

સુહાગનનો ધર્મ….

આંખો સામે પિતા નામના આકાશને

લોહીલુહાણ થતા જોનારા પુત્રનો ધર્મ…

સૈનિકનો ધર્મ,

નાગરિકનો ધર્મ,

મારો ધર્મ,

તમારો ધર્મ,

એક જ ધર્મ!

મંદિરનો ધર્મ,

મસ્જિદનો ધર્મ,

ગુરુદ્વારાનો ધર્મ,

ચર્ચનો ધર્મ,

એક જ ધર્મ,

વિક્રમ બત્રા, સોમનાથ શર્મા,

અબ્દુલ હમીદ, આલ્બર્ટ એક્કા,

અરદેશીર તારાપોર ને બાનાસિંઘ સરીખા

પરમવીરોનો ધર્મ,

આ દેશનો ધર્મ,

યુધ્ધ એ જ ધર્મ!

ભારતમાતાના લલાટે રકત રેડ્યું

સુહાગનોનાં લલાટેથી સિંદુર ભૂસ્યું,

ફરવા આવેલાને ગોળીએ દીધા

વડાપ્રધાનને સંદેશા દીધા….

મિસાઈલોને પડકાર ફેંક્યા,

વિમાનોને નોતરાં આપ્યા

શક્તિશાળી ગરૂડોને કહો પાંખો ફેલાવે,

હવે આકાશમાંથી સળગતું મોત વરસાવે….

હે દેશવાસીઓ….

વીરહાક પડી છે,

મીણની બત્તીઓને કબાટોમાં પૂરી રાખજો,

શાંતિના પૂતળાંઓને ઘરમાં ખોડી રાખજો,

કહેજો કબૂતરોને કપરો કાળ ભમે છે,

સફેદ હવે આપણા ધ્વજ નહીં

એમના કફનો હશે…

માતાઓ ભારતની હવે રાહ જુએ છે

ભારત માત્ર આદેશની રાહ જુએ છે

હવે ગજવો ઘોર ત્રિકાળ,

મહાભારતના કરો મંડાણ,

અખંડ ભારતનો કરો શંખનાદ,

ભારતમાતાની છે આણ,

“પાર્થ”ને કહો ચડાવે બાણ,

હવે તો,

યુધ્ધ એ જ કલ્યાણ…!!!!

.

( એષા દાદાવાળા )