તારા ઉદાસ મનમાં મને આવવા તો દે
ઈચ્છાનાં નવાં બીજ મને વાવવા તો દે
આ સ્થિર નદીને થશે રોમાંચનો અનુભવ
તારો રૂમાલ ત્યાં મને ફરકાવવા તો દે
છે યજ્ઞ પ્રણયનો અને માગે છે આહુતિ
ખોટા અહમના કાષ્ઠને પધરાવવા તો દે
મસ્જિદથી મિનારા સુધી ઝળહળ થશે બધું
મીણબત્તી ઈબાદત તણી પ્રગટાવવા તો દે
રણ ને હરણ-ઉભયની પછી લાજ રહી જશે
ખોબો ભરીને મૃગજળો ઉઘરાવવા તો દે
હું તરબતર નમાઝમાં થઈ જાઉં, એ પહેલા
’રાહી’ના અકળ મનને કશુંક પામવા તો દે
( એસ. એસ. રાહી )