મિત્રાચારી-નર્મદ
સુખદુ:ખોની વાતો બને, નહિ છાનું કંઈ કોની કને;
કોઈનું દિલ જહાં ના કહોવાય, મિત્રાચારી તહાં કહેવાય.
જાત રંગથી જે જે ભેદ, તેથી નહિ કો કોને ખેદ;
જીવ એક ને જૂજવી કાય, મિત્રાચારી તહાં કહેવાય.
સ્વાર્થ ન બીજો પ્રીતિ વના, પ્રીતિ વણ છે સહુ અનમનાં;
રાત્ર દિવસ પ્રીતિ જ જમાય, મિત્રાચારી તહાં કહેવાય.
સુખમાં દૂર પણ દુ:ખમાં પાસ, એકબીજાની પૂરે આશ;
તનમનધનથી મદદો થાય, મિત્રાચારી તહાં કહેવાય.
એક વિચારે થાયે કામ, મન વળગેલાં આઠે જામ;
વાયેક જહાં નહિ ઉથાપાય, મિત્રાચારી તહાં કહેવાય.
કર્યુઁ એકનું સહુને ગમે, કોના નહિ ભમાવ્યાં ભમે;
મિત્રનું ભૂંડું ના સંખાય, મિત્રાચારી તહાં કહેવાય.
ચડતો સહુ વાતે ભરપૂર, પડતાને ના મૂકે દૂર;
દેખેથી શમી જાયે લાય, મિત્રાચારી તહાં કહેવાય.
લાલચમાં લપટયે નહિ, જીવ જતે ના જુદા સહી;
અડીવેળાએ પ્રાણ અપાય, મિત્રાચારી તહાં કહેવાય.
દુશ્મન દોડે ચારે પાસ, ના તોડે પ્રીતિનો પાશ;
પ્રેમરસે પણ નીતિ રખાય, મિત્રાચારી તહાં કહેવાય.
જે મોઢે ચાવેલાં પાન, કાળાં થાય ન જાતે જાન;
મરણ સુધી સાચા સોહાય, મિત્રાચારી તહાં કહેવાય.
નર્મદ કહે છે સાચેસાચ, સાચી પ્રીતિ નહિ આંચ;
સાચે ભાવે ઈશ ભજાય, મિત્રાચારી તહાં કહેવાય.
( નર્મદ )
maraN sudhi saacha sohaay meetrachari taha kahevaau
“saach bhave iish bhajaay,meetra chari tahaa kahevay
Ch@ndr@
maraN sudhi saacha sohaay meetrachari taha kahevaau
“saach bhave iish bhajaay,meetra chari tahaa kahevay
Ch@ndr@
જૂનો ખજાનો……
જૂનો ખજાનો……