અનુસંધાન પામેલા અમે !-કરસનદાસ લુહાર

કંઠમાં કાળી તરસનું ગાન પામેલા અમે,

કંટકોના હારનું સન્માન પામેલા અમે !

.

જન્મના ઝભલાની સાથોસાથ પહેરેલું કફન;

અવતરણ સાથે જ બસ અવસાન પામેલા અમે !

.

પર્ણની મર્મર કે પંખીના ટહુકા માણવા –

સાવ ડઠ્ઠર, પથ્થરોના કાન પામેલા અમે !

.

જિંદગીની જર્જરિત ઝોળીમાં સુખદ શ્વાસનું –

કોઈ કંજૂસની કનેથી દાન પામેલા અમે !

.

કે વસંતી વાયરે છોડી અધૂરી વારતા –

પતઝરી લૂમાં અનુસંધાન પામેલા અમે !

.

( કરસનદાસ લુહાર )

Leave a comment