વાયરામાં મોરપીંછ – મનોહરસિંહ જાડેજા
કે વાયરામાં મોરપીંછ લ્હેરાતાં જાય
દિશા દિશામાં મારી આંખો વેરાય,
અને સપનાંઓ શ્યામનાં ઘેરાતાં જાય.
.
આંખ સામે ઊગે છે કદંબનું ઝાડ
અને આંખો આ યમુના થઈ વ્હેતી,
એક પછી એક ગોપી આવે ને જાય
ને મને કહેવાનું કંઈ નથી કહેતી.
મૌન એવું કે શબ્દો પણ વ્હેરાતા જાય
કે વાયરામાં મોરપીંછ લ્હેરાતાં જાય.
.
વાંસળીના સૂર તો એવા નિરાકાર
પણ તારો આકાર નહીં ઓળખી શકું,
તારાથી હું તો એવી ભોળવાઈ જાઉં
પણ મને પોતાને નહીં ભોળવી શકું.
મધરાતે મોરલા પણ ગહેકતા જાય
કે વાયરામાં મોરપીંછ લ્હેરાતાં જાય.
.
( મનોહરસિંહ જાડેજા ‘રવિપિયુ’ )