શક્યતાનાં દ્વાર સાંકળ બનીશું ક્યાં સુધી ?
ખુદ દિશાઓને સમેટી વિસ્તારીશું ક્યાં સુધી ?
.
આ હથેળીના અજાણ્યા, અટપટા માર્ગો ઉપર,
ક્યાં જઈ ખોવાઈશું ? કોને મળીશું ? ક્યાં સુધી ?
.
આમ તો મૃગજળ સમું ક્ષિતિજોને મળવા દોડવું;
તોય ઉંબરને અડી પાછા ફરીશું ક્યાં સુધી ?
.
અસ્તિત્વના ચગડોળ પર બે પળ ખુશી તો શક્ય છે,
પણ ધરીની વેદના ભૂલી શકીશું ક્યાં સુધી ?
.
રોજ સૂરજ તો ફસાવે છે કિરણની જાળમાં,
રોજ ઝાકળ થૈ સવારે અવતરીશું ક્યાં સુધી ?
.
જ્યાં પિલાવાનું સતત ઘડિયાળનાં ચક્રો વચે,
’ક્યાં સુધી’નો પ્રશ્ન પણ પૂછ્યા કરીશું ક્યાં સુધી ?
.
( ઘનશ્યામ ઠક્કર )