હું સમજું છું કે – શૈલા પંડિત

૧૫.

હે ઈશ્વર,

હું સમજું છું કે

મારે અવનવા ને નવનવા પ્રયોગો કરવા હોય

તો અનેક અખતરામાંથી પસાર થવાનું જ છે.

 .

મારી પ્રત્યેક ભૂલ

એ મારી કેળવણીનું એક પગથિયું છે,

તો મને મારી ભૂલોનો સ્વીકાર કરવાનું,

તેમાંથી નવું નવું શીખતાં રહેવાનું,

બાદ,

નવું નવું ડગલું ભરતાં રહેવાનું બળ આપ.

 .

મારી ગફલતોને કારણે

હું નીચે પડતો આખડતો રહીશ

એ હું જાણું છું.

તેમ છતાં,

મને ફરી ને ફરી ઊભા થવાનું,

અને આગળ ડગલાં માંડતાં રહેવાનું કૌવત આપ.

જેથી કરીને

 .

તેં મને બક્ષેલી મારી શક્તિઓનો

પૂરેપૂરો ઉપયોગ કરી શકું.

 .

૧૬.

હે ઈશ્વર,

આજનો દિવસ મને

ઉત્તમપણે જીવવાનું બળ આપ.

 .

મારી માગણી

સારાયે જીવન માટે નથી

આવતા મહિના માટે નથી

આવતા અઠવાડિયા માટે નથી

પણ

માત્ર આજના દિવસ પૂરતી જ છે.

તો

આજે મારા મનને

ગુણાત્મક વિચારોથી છલકાવી દેજે.

એવા એવા વિચારો કે જે

-મને સાચી દિશા તરફ વાળે.

-મને સાચા ડગ ભરવામાં સહાય થાય.

-મને સાચા નિર્ણયો કરવા પ્રેરે.

 .

બસ,

આજનો દહાડો.

આજનો જ દહાડો.

તેં મને બક્ષેલી

શક્તિનો,

બુદ્ધિનો,

પ્રાવીણ્યનો,

કુશળતાનો

ઉત્તમોત્તમ ઉપયોગ કરી શકું

એટલું મને બળ આપ.

.

( શૈલા પંડિત )

મારા દિલમાં – શૈલા પંડિત

૧૩.

હે ઈશ્વર,

અત્યારે મારા દિલમાં

એક પ્રવાહ વહી રહ્યો છે.

મેં જે નિર્ણય કર્યો છે

તે શ્રેષ્ઠ જ છે

એમ મારું અંત:કરણ કહે છે.

અને, એ સંદેશમાં મને ઈતબાર છે.

કારણ કે,

મારું અંત:કરણ આ ક્ષણે

સ્વચ્છ ને નિર્મળ છે

એ હું સમજી શકું છું.

 .

સમસ્યાઓ જેમ જેમ આવતી રહે

તેમ હું તેનો ઉકેલ કરી શકીશ

એવી મને શ્રદ્ધા છે.

જે પડકારો આવતા રહે

તેમને સ્વસ્થ ચિત્તે ઝીલતો રહીશ

એવો મને વિશ્વાસ છે.

મારે કોઈ બાબતનો ડર રાખવાનો હોય નહિ,

કારણ કે,

મને તારો સથવારો છે.

એ અંગે મને કોઈ શંકા નથી.

‘જ્યારે ઈશ્વર મારે પડખે છે ત્યારે

મારી વિરુદ્ધ શું નીવડી શકે?’

-એવી ઊંડી ઊંડી લાગણી સાથે

હું આગળ વધતો રહું

એ સિવાય મારે તારી પાસે કોઈ અપેક્ષા નથી.

 .

૧૪.

હે ઈશ્વર,

મેં તને હંમેશ મારો સધ્યારો માન્યો છે.

કારણ કે,

તું મારા માટે એવો પ્રકાશ છે કે

જે કદી વિલાતો નથી !

 .

તું મારે માટે એવા કર્ણ છે કે

જે કદી દેવાતાં નથી !

 .

તું મારે માટે એવાં ચક્ષુ છે કે

જે કદી બિડાતાં નથી !

 .

તું મારા માટે એવું મન છે કે

જે કદી નિરાશ થતું નથી !

 .

તું મારે માટે એવું હૈયું છે કે

જે કદી હતાશ કરતું નથી !

 .

તું મારે માટે એવો હાથ છે કે

જેની આંગળી ઝાલવા ઈચ્છા કરી હોય

ને એ હાથ કદી લંબાયો ન હોય !

.

( શૈલા પંડિત )

જે સફળતા સાંપડી છે – શૈલા પંડિત

૧૧.

હે ઈશ્વર,

મને જે સફળતા સાંપડી છે

તે બદલ હું તારું ઋણ સ્વીકારું છું.

 .

-ને એક સત્ય

હું સારી પેઠે સમજ્યો છું.

હું સફળ થાઉં

એનો અર્થ એ નથી થતો કે

મારી બધી સમસ્યાઓનો ત્યાં અંત આવી જાય છે.

હકીકતમાં તો,

સફળતાને સથવારે

વધારે ઉગ્ર અને તીવ્ર સમસ્યાઓ આવતી રહે છે…..

ને તે મારે હલ કરવાની છે.

 .

ને મારે એનાથી હતાશ થવાનું હોય નહિ.

ખરેખર તો,

તેં મને જે શક્તિઓ બક્ષી છે

તેને વધુ પડકારરૂપ ને યશસ્વી રીતે

ઉપયોગ કરી શકું

તે માટે તું ભૂમિકા રચી આપે છે.

જેથી,

ભાવિ જીવનના અને સફળતાના વધુ પડકારને

પહોંચી વળવાની મને શ્રદ્ધા સાંપડતી રહે.

 .

૧૨.

હે ઈશ્વર,

મારાં કામ સો ટકા પરિપૂર્ણ કરવાની ઘેલછામાં

હું કશું જ ન કરું તે કરતાં,

મારી શ્રેષ્ઠતમ શક્તિ વાપર્યા બાદ

અપરિપૂર્ણરૂપે પણ સિદ્ધ કરી શકું

એ વધુ બહેતર છે.

 .

હું સમજું છું કે

આ સૃષ્ટિમાં જો કોઈ પરિપૂર્ણ હોય તો તે

એકમાત્ર ઈશ્વર જ છે,

ને દરેક માણસ

કોઈક ને કોઈક રીતે અપૂર્ણ છે.

ને જે અપૂર્ણ હોય

તેનાં કામ પરિપૂર્ણ નીવડતાં રહે

એવી અપેક્ષા એક ભ્રમણા છે.

 .

મારાં કામ પરિપૂર્ણ ન નીવડે તો ભલે.

પણ મારી શક્તિને અનુરૂપ

ઉત્કૃષ્ટપણે નીવડતાં રહે તો

તેથી મને સંતોષ છે.

ને તે માટેની મારી નિષ્ઠાનો સથવારો

ક્યાંય વેગળો ન પડે

તેટલી જ મારી માગણી છે.

.

( શૈલા પંડિત )

હું મારા – શૈલા પંડિત

૯.

હે ઈશ્વર,

હું મારા માનવભાંડુઓ પ્રત્યે

સહિષ્ણુતા દર્શાવી શકું

એટલું બળ મને આપતો રહેજે.

 .

એમને અનેક મુશ્કેલીઓ છે,

અને તેમની સમસ્યાઓનો પાર નથી

એ હું સમજું છું,

જેઓ પ્રેમ ભૂખ્યા છે

એઓ મને જરૂર આવકારશે.

પણ ઘણાની વણપુરાયેલી આકાંક્ષાઓ

એટલી બધી છે,

તેમને એટલી અધિરાઈ છે કે,

હું ત્યાં કેમ કેમ પહોંચી શકીશ ?

 .

એમના પ્રત્યે ઋજુતા દાખવતાં,

મારા મનને ધક્કા પણ લાગે.

ને એમ થાય તો પણ ભલે.

મને એમને પ્રેમ કરવાની શક્તિ આપજે,

પ્રોત્સાહન આપજે.

 .

કંઈ નહિ તો,

હું મારા એકલવાયાપણાથી

તો મુક્ત થઈ જઈશ !

 .

૧૦.

હે ઈશ્વર,

મને મારા જીવનનું લક્ષ્ય ઘડવામાં સહાય કર,

જેથી હું મારા જીવનને સાર્થક કરી શકું.

એ માટે આવશ્યક એવા

પુરુષાર્થનું મને બળ આપજે.

 .

હું સમજું છું કે,

તેં દરેક પંખી માટે ચારો સરજ્યો છે,

પણ તે તું એના માળામાં નથી નાખી આવતો.

એ ચારાની ખોજ કરવા

તેણે માળો છોડીને બહાર વીહરવાનું રહે જ છે.

 .

હું સમજું છું કે,

માનવજાતિની ભૂખ મિટાવવા

તેં ઘઉં સરજ્યા છે.

પણ તેની રોટી બનાવવાની કામગીરી

તેં એના પર જ છોડી દીધી છે.

 .

એટલે કે,

મારું લક્ષ્ય નક્કી થઈ જાય તે પછી

તેને સિદ્ધ કરવાનો પુરુષાર્થ

મારે પોતે જ કરવાનો છે.

 .

તો બસ, તારી પાસે

મારી એટલી જ અપેક્ષા છે :

મારા ઠરાવેલા લક્ષ્યની સમીપે પહોંચી જવા

તું મને

બળ, સામર્થ્ય અને કૌશલ્ય આપજે.

તે સિદ્ધ કરતાં કરતાં

હું હેઠે પડી જાઉં તો

ફરી ફરી ઉઠવાની શક્તિ આપજે.

બાકી તો,

જે કંઈ કરવાનું છે તે મારે જ.

 .

( શૈલા પંડિત )

મને સૂરજમાં – શૈલા પંડિત

૭.

હે પ્રભુ,

મને સૂરજમાં પૂરી શ્રદ્ધા છે,

ભલે તે વાદળો પાછળ ઢંકાઈ ગયો હોય.

 .

મને બીજના અસ્તિત્વ વિષે

કોઈ શંકા નથી,

ભલે તે જમીન હેઠે

મારાથી અણદીઠું પડ્યું હોય.

 .

મારી શ્રદ્ધા હજી પણ અડગ છે,

ભલે મને છેહના અનુભવો થયા હોય.

 .

પ્રેમમાં મારો વિશ્વાસ હજી ડગ્યો નથી,

ભલે મને

કેટલીયે વાર જાકારો મળ્યો હોય.

 .

અને,

ભલે તારા તરફથી

મને કોઈ અવાજ સાંભળવા ન મળ્યો હોય,

ભલે તું મૌન રહ્યો હોય,

તો પણ

મને તારામાં પૂરી શ્રદ્ધા છે.

 .

૮.

હે પ્રભુ,

તું હંમેશા મારો પથદર્શક બની રહેજે.

 .

હું એકલે હાથે ઝઝૂમતો હોઉં,

ત્યારેમને પૂરતું બળ આપજે.

 .

હું મારી વ્યથા ભોગવતો હોઉં

ત્યારે મને સાંત્વન પૂરું પાડજે.

 .

હું નાસીપાસ થઈ જાઉં

ત્યારે મારામાં શ્રદ્ધા પૂરજે.

 .

મારે માટે તારા જેવો કોઈ પથદર્શક નથી,

મૂંઝવણકાળમાં મને હંમેશ દિશા ચીંધતો રહેજે.

 .

( શૈલા પંડિત )

જ્યારે મારી સામે – શૈલા પંડિત

૫.

જ્યારે મારી સામે

કોઈ અડીખમ પર્વત ખડો હોય ત્યારે

મને ત્યાંથી વિદાય લેવા દઈશ નહિ.

મને તેની ઉપર ચઢવા જેટલું બળ આપજે.

જેથી શિખરે પહોંચ્યાની હું તૃપ્તિ અનુભવી શકું.

 .

એ પર્વત ચઢતાં ચઢતાં

મને વચ્ચે કેડીઓ સાંપડેલી રહે

એ જ મારી તારી પાસે અરજ છે.

ને જ્યાં કેડી ન દેખાય

ત્યાં મને બેસી પડવા દઈશ નહિ.

બલ્કે,

નવી કેડી ચાતરી લેવાની

સૂઝ ને સામર્થ્ય પૂરાં પાડજે.

 .

અને, શિખરે પહોંચી જવાની

તૃપ્તિ હું માણી શકું તે સારુ

મને તારી પ્રેરણા જોઈએ છે.

ને મને શ્રદ્ધા છે કે,

એ પ્રેરણાનો પ્રવાહ તું કદી સુકાવા નહિ દે.

 .

૬.

હે ઈશ્વર,

મને ક્યારેક ક્યારેક

–     મારી જાત માટે

–     મારા કાર્યો માટે

–     મારી શક્તિ માટે

–     મારી આવડત માટે

–     મારી સમજશક્તિ માટે

–     મારી દિશાસૂઝ માટે

શંકા સતાવતી રહે છે.

 .

ભલે મને શંકા થાય,

પણ તું એને ગુણાત્મક બળમાં

ફેરવી નાખજે એવી મારી પ્રાર્થના છે.

 .

મને એટલું શાણપણ આપ કે જેથી

મને મારી શંકા પરત્વે શંકા પેદા થાય

અને

મારી શ્રદ્ધા પરત્વે શ્રદ્ધા જાગ્રત થાય.

 .

( શૈલા પંડિત )

હે પ્રભુ – શૈલા પંડિત

૩.

હે પ્રભુ,

મને લાગે છે કે

હું ઉન્નત થતો જાઉં છું.

 .

પહેલાં હું કહેતો :

‘હું જોઉં તો મને શ્રદ્ધા બેસે’.

 .

હવે કહું છું :

‘મને શ્રદ્ધા બેસે તો જ હું જોઈ શકું.’

 .

હે પ્રભુ,

મને એ જ પ્રમાણે દ્રષ્ટિ  આપતો રહેજે.

 .

૪.

હે પ્રભુ,

મારી તને એક પ્રાર્થના છે.

 .

મારા સંજોગો કપરા બને

ત્યારે મારા આત્મવિશ્વાસને ડગમગાવી દે

એવો કોઈ કટુ શબ્દ

મારા મોંમાંથી નીસરી ન પડે

તે માટેનું મનોબળ

મને સતત પૂરું પાડતો રહેજે.

 .

( શૈલા પંડિત )

હે ઈશ્વર – શૈલા પંડિત

હે ઈશ્વર,

મારી સામેનો સાગર અગાધ છે,

અને, મારી નાવડી નાનકડી,

તો મારા પ્રત્યે રહેમ નજર રાખજે.

 .

૨.

હે ઈશ્વર,

મને અંધકાર રુચતો નથી.

હું સદાય ઉજાસ ઝંખું છું.

 .

અંધકાર પર ફિટકાર વરસાવવો

એ કરતાં

એક કોડિયું પેટાવવું

હજાર દરજ્જે રૂડું છે.

.

આજના દિવસને

મારી સમસ્યાના એક અંશ તરીકે નહિ,

પણ

સમસ્યાના આંશિક ઉકેલ

તરીકે નિહાળી શકું

એવી મને સૂઝ આપ.

 .

( શૈલા પંડિત )

તેં બધું જ – સુરેશ દલાલ

તેં બધું જ આપ્યું છે. જે છે એ ભલે રહે. વધુ ને વધુ કશું જોઈતું નથી. ઈશ્વર પાસે સતત માગ માગ કર્યા કરીએ એટલે પ્રાર્થના તો ભીખમંગી થઈ જાય છે. પ્રાર્થનાના શબ્દો તો સસલા જેવા સુંવાળા હોવા જોઈએ. ઈશ્વર એ શબ્દોને ખોળામાં બેસાડે, એને પંપાળે, એને લાડની ટપલી મારે – પ્રાર્થનામાં નરી ભૌતિક વાસનાઓ ભરવાથી પ્રાર્થના પથ્થર જેવી વજનદાર થઈ જશે – એ તો ડૂબી જશે તળિયે કાયમને માટે. પ્રાર્થના તો હોય મયૂરમુખી નાવ જેવી – જે ઈશ્વરનાસરોવરમાં તર્યા કરે.

 .

આ સંસારમાં ચાલવાની જવાબદારી મારી પણ અમને સંભાળવાની જવાબદારી તારી. આ વન, એનાં ઝાડીઝાંખરાં, એમાં ભમતાં હિંસક પશુઓ – આ બધાંથી તું નહીં ઉગારે તો કોણ ઉગારશે ? એવું નથી કે આ પશુઓ અમારી બહાર જ હોય છે. અમારી ભીતર પણ જે પશુ છે એને તું તારે માર્ગે વાળ – અને પશુમાંથી કંઈ નહીં તો માણસ તો બનાવ. માણસ થઈને જન્મ્યા છીએ તો કમમાં કમ અમે માણસ તરીકે તો જીવી શકીએ. અમારે નથી થવું દેવ કે નથી થવું દેવદૂત. અમે જે છીએ તે સારા છીએ. અમારે પૃથ્વી પર સ્વર્ગ નથી જોઈતું. પૃથ્વી પૃથ્વી રહે અને અમે માણસ માણસ જ રહીએ તો પણ તેં અમને અહીં જે કર્મ માટે મોકલ્યા છે એની સાર્થકતા અનુભવાય અને જિંદગી સ્વયં પ્રાર્થના થઈ જાય.

 .

( સુરેશ દલાલ )

धर्म जीने की कला – ओशो

.

मैं धर्म को जीने की कला कहता हूं

धर्म कोई पूजा-पाठ नहीं है

धर्म का मंदिर और मस्जिद से कुछ लेना-देना नहीं है

धर्म तो है जीवन की कला

जीवन को ऐसे जीया जा सकता है –

ऐसे कलात्मक ढंग से,

ऐसे प्रसादपूर्ण ढंग से –

कि तुम्हारे जीवन में हजार पंखुरियों वाला कमल खिले,

कि तुम्हारे जीवन में समाधि लगे,

कि तुम्हारे जीवन में भी ऐसे गीत उठे जैसे कोयल के,

कि तुम्हारे भीतर भी हृदय में ऐसी-ऐसी भाव-भंगिमाएँ जगें,

जो भाव-भंगिमाएँ प्रकट हो जाएँ तो उपनिषद बनते है,

जो भाव-भंगिमाएँ अगर प्रकट हो जाएँ

तो मीराँ का नृत्य पेदा होता है, चैतन्य के भजन बनते है

 .

( ओशो )