આભ સુધી પ્હોંચવા – છાયા ત્રિવેદી
આભ સુધી પ્હોંચવા માટે અગાશીને સમજ
સાગરો ખેડાય નહીં અમથા, ખલાસીને સમજ
.
એ પછી સમજી શકાશે લાગણી ને માગણી
સૌપ્રથમ તો એક પથ્થરને તરાશીને સમજ
.
પાંદડાં પણ ગાઈ ઊઠે કોઈ પંખી જેવું જો-
દોસ્ત પ્હેલાં ઝાડમાં વ્યાપ્ત ઉદાસીને સમજ
.
પામવો સ્હેલો નથી અંધારને બસ એકલો
આગિયા માફક જરા તું પણ પ્રકાશીને સમજ
.
એકદમ અટકી જશે ખોટી ધમાલો આ બધી
મન પલાંઠી વાળ, ભીતરના નિવાસીને સમજ
.
( છાયા ત્રિવેદી )