મને પણ ખબર નથી – સુરેશ દલાલ

.

મને પણ ખબર નથી

અને અહીંથી ગયો તો પણ

આ બધાંની વચ્ચે

વળી પાછો

ક્યાંક તો હું ઊભો હોઈશ

ક્યાંક તો હું બેઠો હોઈશ

ક્યાંક તો હું સૂતો હોઈશ

પણ આ બધામાં

હું હું જ હોઈશ ?

મને કંઈ ખબર નથી !

અહીંથી હું જઈશ

ઈશ્વર પાસે.

એ કદાચ મને ન પણ ઓળખે.

કોઈ awkward પ્રશ્ન પણ પૂછે.

મેં આપેલા હાથનું તેં શું કર્યું ?

જુઠ્ઠાં પડી ગયેલાં આંગળાંઓ પ્રશ્નથી

ખરી તો નહીં પડે ને ?

મેં આપેલી વાણીનું તેં શું કર્યું ?

વાચાળતાના ખાલી કૂવામાં

બાઝેલી લીલ પરથી હું લપસી તો નહીં પડું ને ?

મારો હાથ હું એમને આપી નહીં શકું

અને મારો પગ હું સંભાળી નહીં શકું.

પણ હું

પ્રભુ કને જઈશ ખરો ?

બધો આધાર

હવે તો એમની ઉદારતા પર છે

પણ ઈશ્વર

માણસ જેવો હોય તો ?

તો પછી

અમે પણ એકમેકને છેતરશું અને તરશું અને છેતરશું.

માણસને છેતરવાનો કસબ અમને કોઠે પડી ગયો છે.

 .

અમે કસબીઓ છીએ.

અમે હોઠ ખોલીએ છીએ અને હૃદય બંધ રાખીએ છીએ.

અમે આંખ ખોલીએ છીએ અને દ્રષ્ટિ અંધ રાખીએ છીએ.

અમે મૈત્રીને ખલાસ કરીને મિત્રો ખરીદીએ છીએ.

અમે આર્ટગૅલેરીમાં જઈએ છીએ અને ચિત્રો ખરીદીએ છીએ.

અમે ચિત્રવંશી છીએ

અમે વિચિત્રવંશી છીએ.

 .

અમે આનંદને ઓઢી શકીએ છીએ

અને શોકને પહેરી શકીએ છીએ.

અમે લગ્નમાંથી ઉઠમણામાં

અને ઉઠમણાંમાંથી લગ્નમાં

એક ખંડમાંથી

બીજા ખંડમાં જતા હોઈએ

એવી આસાનીથી જઈ શકીએ છીએ.

 .

( સુરેશ દલાલ )

Leave a comment