માછલી સંદર્ભે – નારાયણ જોશી

.

(૧)

માછલીઓ

એ બીજું કોઈ નથી

પણ પૂર્વજન્મમાં

અવગતે ગયેલી

હોડીઓ જ છે !

 .

(૨)

એ સત્ય છે કે :

પાણી વગર,

પાણી બહાર

માછલી તરફડે જ,

પણ…

માછલી વગર

પાણી અંદર

પાણીને તરફડતા

તમે ક્યારેય જોયું છે ?

 .

(૩)

આપણે

જે દરિયાનો ઘૂઘવાટ

સાંભળીએ છીએ

એ ખરેખર તો

માછલીના મૌનનો પડઘો છે !

 .

( નારાયણ જોશી )

Leave a comment