.
બધું જ કહી દીધા પછી
કંઈક એવું છે જે રહી જાય છે,
તમે એમને વાચા નહીં આપતા.
.
તે પડછાયો છે મારા પવિત્ર વિશ્વાસોનો,
તે પૂંજી છે મારા મૂંગા અભ્યાસોની,
તે આખીયે રચનાનો ક્રમ છે,
તે જીવનનો સંચિત શ્રમ છે,
બસ એટલો જ હું છું,
બસ એટલો જ મારો આશ્રય છે,
તમે એમને વાચા નહીં આપતા.
.
તે વેદના છે જે અમને, તમને, બધાને અપનાવે છે,
સચ્ચાઈ છે-અજાણ્યાના પણ હાથ પકડીને
ચાલવાનું શીખવે છે,
એ વિરામ છે-દરેક ગતિને નવો જન્મ આપે છે,
આસ્થા છે-રેતીમાં પણ નૌકા ચલાવે છે,
તે તૂટેલા મનનું સામર્થ્ય છે.
તે ભટકતા આત્માનો અર્થ છે.
તમે એમને વાચા નહીં આપતા.
.
તે મારાથી અથવા મારા યુગથી પણ ઉપર છે,
તે ભાવિ માનવની મિરાત છે, પૃથ્વી પર છે,
બર્બરતામાં પણ તે દેવત્વની કડી છે
તેથી ધ્વંશ અને વિધ્વંશથી તે મોટી છે,
અંતરાલ છે તે-નવો સૂર્ય ઉગાડી લે છે,
નવા લોક, નવી સૃષ્ટિ, નવાં સ્વપ્નાં આપે છે,
તે મારી કૃતિ છે
પણ હું એમની અનુકૃતિ છું,
તમે એમને વાચા નહીં આપતા.
.
( સર્વેશ્વરદયાલ સકસેના, અનુ. સુશી દલાલ )