માણસ – ભગવતીકુમાર શર્મા
બાણ વગરની શૈયા પર પોઢેલો માણસ;
ભીતરના જખ્મોથી રક્તનીંગળતો માણસ.
.
યુધિષ્ઠિર તો એને શાના મળવા આવે ?
પણ ઈશ્વરનું નામ સતત ઉચ્ચરતો માણસ.
.
ભીષ્મપ્રતિજ્ઞા એણે તો ક્યારેય ન લીધી;
તોય અડગ નિર્ધારનું પાલન કરતો માણસ.
.
દ્યુતસભામાં પાંડવ કેવળ પાંચ નહોતા;
ચીર દ્રૌપદીનાં આંખે બાંધેલો માણસ.
.
વિષાદ પર અર્જુનનો એકાધિકાર નહોતો;
કૃષ્ણ-પ્રતીક્ષાના રણમાં ડૂબેલો માણસ.
.
( ભગવતીકુમાર શર્મા )
સુંદર રચના !
સુંદર રચના !
સુંદર રચના !