કવિતામાં કશુંક ન સમજાય એવું
હોવું જોઈએ
-માણસની જેમ.
બધું જ સમજાઈ જાય છે
પછી
કોઈ રહસ્ય નથી રહેતું.
.
કિનારો અને સમુદ્ર
હંમેશાં એકમેકની સંગતમાં હોય છે
છતાં પણ
સમુદ્રના પ્રત્યેક મોજાને
સમજવાનો દાવો ખુદ સમુદ્ર પણ ન કરી શકે
તો પછી બાપડા કિનારાની તો વાત જ શી ?
કિનારો પણ એવી પાળ બાંધીને
બેસી ગયો છે
કે એ પોતાને પણ ઓળંગી શકતો નથી.
પછી બીજાને ઓળંગવાની તો વાત જ ક્યાં ?
.
મારે કશું જ સમજવું નથી.
કેવળ જીવવું છે-
અનંત રહસ્ય સાથે.
.
( સુરેશ દલાલ )