ચાંદરણા (૫) – રતિલાલ ‘અનિલ’

પ્રેમ એ પ્રભાતનું નહીં, મધ્યાહ્નનું ઝાકળ હોય છે.

 .

પ્રેમમાં આકૃતિઓ ઓગળી જઈને અનુભૂતિ બની જાય છે.

 .

પ્રેમ એ ઉંઘમાં નહીં, યૌવનની જાગૃતિમાં આવેલું સ્વપ્ન છે.

 .

પ્રેમ એવો અદમ્ય ઉમળકો છે કે સાગર સરિતાને મળવા જાય છે !

 .

પ્રેમ એ આકાશના પ્રતિબિંબને આત્મસાત કરવા અરીસો બનતું શાંત સરોવર છે.

 .

વીજળીની ચપળ ગતિ અને પહાડની અચળતાનો સંગમ તે પ્રેમ !

 .

પ્રેમની માટી એક કૂંડામાં મોગરા અને જૂઈને ઉછેરે છે.

 .

પ્રેમપત્ર પાછો ફરે તો યે સરનામું બદલતો નથી.

 .

પ્રેમ એટલે એકોક્તિનું સંવાદ અને સંવાદનું એકોક્તિ થવું.

 .

નજીકના પ્રેમમાં દૂરનું વાત્સલ્ય હોય છે.

 .

પ્રેમ અને પુષ્પ અલંકાર છે, અસ્તિત્વ પણ છે.

 .

પ્રેમ એવી કોયલ છે, જે એક જ માણસ સાંભળે એવું ટહૂકે છે.

 .

પ્રેમ એ અરણ્યનું ઉદ્યાનમાં રૂપાંતર કરવાની જીવનકળા છે.

 .

આંસુ અંગત હોય છે, પ્રેમ તેને સહિયારાં બનાવે છે.

 .

સમય પ્રેમને શાંત કરે છે, ઘરડો કરતો નથી.

 .

સઘન થયે જતો પ્રેમ ઓછાબોલો થતો જાય છે.

 .

પ્રેમનું કોઈ લેખિત કે વાચિક બંધારણ હોતું નથી.

 .

ડિક્ષનરીના શબ્દો પ્રેમમાં નવા નવા અર્થો પામે છે.

 .

પ્રેમ દેવતાઈ હોય તો યે માણસના સ્વરૂપેજ હોય.

 .

પ્રેમ થોભે છે : મૂંઝાય છે : ધરતી સર્જું કે આકાશ ?

 .

( રતિલાલ ‘અનિલ’ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.