ચાંદરણા (૫) – રતિલાલ ‘અનિલ’
પ્રેમ એ પ્રભાતનું નહીં, મધ્યાહ્નનું ઝાકળ હોય છે.
.
પ્રેમમાં આકૃતિઓ ઓગળી જઈને અનુભૂતિ બની જાય છે.
.
પ્રેમ એ ઉંઘમાં નહીં, યૌવનની જાગૃતિમાં આવેલું સ્વપ્ન છે.
.
પ્રેમ એવો અદમ્ય ઉમળકો છે કે સાગર સરિતાને મળવા જાય છે !
.
પ્રેમ એ આકાશના પ્રતિબિંબને આત્મસાત કરવા અરીસો બનતું શાંત સરોવર છે.
.
વીજળીની ચપળ ગતિ અને પહાડની અચળતાનો સંગમ તે પ્રેમ !
.
પ્રેમની માટી એક કૂંડામાં મોગરા અને જૂઈને ઉછેરે છે.
.
પ્રેમપત્ર પાછો ફરે તો યે સરનામું બદલતો નથી.
.
પ્રેમ એટલે એકોક્તિનું સંવાદ અને સંવાદનું એકોક્તિ થવું.
.
નજીકના પ્રેમમાં દૂરનું વાત્સલ્ય હોય છે.
.
પ્રેમ અને પુષ્પ અલંકાર છે, અસ્તિત્વ પણ છે.
.
પ્રેમ એવી કોયલ છે, જે એક જ માણસ સાંભળે એવું ટહૂકે છે.
.
પ્રેમ એ અરણ્યનું ઉદ્યાનમાં રૂપાંતર કરવાની જીવનકળા છે.
.
આંસુ અંગત હોય છે, પ્રેમ તેને સહિયારાં બનાવે છે.
.
સમય પ્રેમને શાંત કરે છે, ઘરડો કરતો નથી.
.
સઘન થયે જતો પ્રેમ ઓછાબોલો થતો જાય છે.
.
પ્રેમનું કોઈ લેખિત કે વાચિક બંધારણ હોતું નથી.
.
ડિક્ષનરીના શબ્દો પ્રેમમાં નવા નવા અર્થો પામે છે.
.
પ્રેમ દેવતાઈ હોય તો યે માણસના સ્વરૂપેજ હોય.
.
પ્રેમ થોભે છે : મૂંઝાય છે : ધરતી સર્જું કે આકાશ ?
.
( રતિલાલ ‘અનિલ’ )