પ્રાર્થના – સુરેશ દલાલ

ચિક્કાર વરસાદ પડી ગયો છે. ખૂબ તાપ પછી ધરતી ભીની ભીની થઈ ગઈ છે. ધરતી વરસાદને પ્રતિભાવ આપી રહી છે પોતાની સુગંધથી. વિરહના સંતાપ પછી ભક્તને હરિનાં દર્શન થાય અને પછી જે શાંતિ-પ્રશાંતિ અનુભવાય એવું એક અવર્ણનીય આનંદમય વાતાવરણ છવાઈ ગયું છે. મિલનનાં આંસુની જેમ વૃક્ષનાં ડાળ-પાંદડેથી બુંદ પર બુંદ ટપકી રહ્યાં છે. હરખની લીલાશ જીરવાતી નથી. આટલો બધો આનંદ ધરતી અને આકાશને ક્યારેય થયો નથી. મેઘધનુષના રંગો મોરપીંછની જેમ આટલા બધા સુંવાળા સુંવાળા કેમ લાગે છે ? એનો જવાબ રાધા પાસે છે, મીરાં પાસે છે. ભગવાન પાસે તો માત્ર છે હૂંફાળું સ્મિત.

 .

શ્રદ્ધા હોય તો પૂરી હોય, અધૂરી હોય. હોય તો સૂરીલી હોય, બસૂરી ન હોય. અમે મનુષ્યો અટવાયા કરીએ છીએ. અથડાયા કરીએ છીએ શ્રદ્ધા, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધાના અંધકારમાં. અમને આ અંધકારમાંથી પ્રકાશ તરફ વાળવાની જવાબદારી કોની ? બધું તારે માથે નાખીને છૂટી કે છટકી જવું નથી. આ અમારી મથામણ, અથડામણમાં અમે ગતિ કરી રહ્યા છીએ એ પણ એક સત્ય છે. તું અમને ક્યાંક પહોંચાડ. ગતિ અમારી, તું અમને દિશાસૂચન કર. અમને ખબર છે કે અમે અપૂર્ણ છીએ-અમને અમારી અપૂર્ણતામાંથી પૂર્ણતાની ગતિ તરફ લઈ જા. હે ઈશ્વર ! અત્યારે તો આપણી વચ્ચે છે અજાણી આત્મીયતા. તું અમને અમારી ઓળખ આપ, એ જ રીતે તારી પણ ઓળખ આપ.

( સુરેશ દલાલ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.