મારે હાથે હું જ ચઢાવું
તુલસી…
પૂજા હોય ઊછીની નહીં.
હું જ આરતી ગાઉં
ને સાંભળનારો વિષ્ણુ.
*
કિનારો વહેતો હોય
અને નદી સ્થિર હોય
ત્યારે
માણસ મૂંઝાય નહીં
તો શું કરે ?
*
મને સંબંધોનો પારાવાર
ભાર લાગે છે…
નિદ્રા ને જાગૃતિમાં
ઓથાર લાગે છે…
*
લાક્ષાગૃહ જેવા સંબંધો
કોઈ અગ્નિની
ક્યારના રાહ જોઈ રહ્યા છે.
*
આપણે સાથે જ
રહેવાનું હોય
અને તારે તારું
ધાર્યું જ કરવાનું હોય
-તો સાથે રહેવાનો
કોઈ અર્થ ખરો ?
*
રાણાની જંજીરને
ઝાંઝરમાં ફેરવે
તે મીરાં-
કે મીરાંની કવિતા ?
*
ક્યારેક સુખ નાગણની જેમ ડંખે છે
અને દુ:ખ ચંદનલેપ પણ કરે છે.
કોણ શાપ અને કોણ વરદાન
એની ખબર પડતી નથી…
કોઈ ક્યારે અદલબદલ થાય છે
એ અટકળનો નહીં
પણ અનુભવનો વિષય છે.
*
ખૂંધી વળી ગયેલી
સાંજને કહું છું
કે આમ કુબ્જા થઈને
મારી કને આવ નહીં…
મારા સાંનિધ્યમાં સામ્રાજ્ઞી થઈને
પૃથ્વી સિંહાસન પર બેસ
અને આકાશમાં પ્રવેશ.
*
હજી સહજથી દુવાર ખૂલે
કે પવનની ડાળ પર પંખી ઝૂલે
એના વિસ્મય સાથે જીવું છું
-એ મારે માટે તો
જાણે કે ઘટના કહેવાય.
*
રાતના
રાતરાણીની સુગંધથી
વીંટળાઈ વળું છું
અને લયના વિસ્મયમાં
વ્યાકુળ થઈને સૂઈ જાઉં છું અને
સપનાઓની ગલીઓમાં ઘૂમી વળી છું
એ નાનીસૂની વાત નથી.
.
( સુરેશ દલાલ )