નિર્લેપ દ્રષ્ટિથી – ખલીલ ધનતેજવી

તમારા ઘરનાં દીવા રાતે રસ્તામાં હતા કે શું ?

પવન ફંટાઈ જાશે, એ ભરોસામાં હતા કે શું ?

 .

ઘરે પહોંચ્યોં તો દરવાજાએ પૂછ્યું ક્યાંથી આવો છો ?

સુગંધ આ શેની છે, સાંજે બગીચામાં હતા કે શું ?

 .

તમારા દિલના ધબકારા અજાણ્યા કેમ લાગે છે !

તમે પણ કાલે તરણેતરના મેળામાં હતા કે શું ?

 .

ઘણી વાતો, ઘણાં વર્ષો પછી કાલે કહી નાખી,

હવે એ પણ કહો, ગઈ રાતે સ્વપ્નામાં હતા કે શું ?

 .

તમે ચુપચાપ સાંભળતા રહ્યા, નિર્લેપ દ્રષ્ટિથી,

કે મારી રૂબરૂ બીજી જ દુનિયામાં હતા કે શું ?

 .

દિવસ રઘવાટમાં કાઢ્યો ને રાતે પણ નથી સૂતા,

તમારા પણ વહાણો કાલે દરિયામાં હતા કે શું ?

 .

ફરી બેચાર પથ્થર એ તરફથી આ તરફ આવ્યા,

તમે પાછા ખલીલ એના જ ફળિયામાં હતા કે શું ?

 .

( ખલીલ ધનતેજવી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.