મારો નશો – ફરીઉદ્દીન અત્તર
જે શાંત સૌમ્ય માણસો છે એને મારો નશો કદી નહીં સમજાય
એ લોકો કદી મારા કાર્યને સમજી નહીં શકે
દુનિયાદારીના માણસો તો દેવળમાં જાય છે
તેઓ કદી સમજી નહીં શકે
નશાબાજ માણસના હૃદયની ગમગીની
જે લોકો ગૌરવ અને અહંકાર પહેરીને ફરે છે એ લોકો કદીયે
મારા રહસ્યના પડદાની પાછળ જોઈ નહીં શકે
જે લોકો કદી પોતાના પ્રિયતમથી વિખૂટા નથી થયા
એ લોકો કદીયે નહીં સમજી શકે મારા પ્રિયતમ વિનાની રાત્રિને
હું તો મારા ઘરમાં બંદીવાન મારા પ્રિયતમ વિના
ઘરમાં એટલા માટે કે બહારના માણસો મારી વેદના ન જોઈ શકે
બુલબુલની બેચેની, કળીના ઝુરાપાને
કેવળ બગીચાનું ફૂલ જ સમજી શકે
જે લોકો કદીયે પ્રેમની યાતનામાં પડ્યા નથી
તેઓ કદીયે ‘અત્તર’ની વ્યથાને ઓળખી ન શકે.
.
( ફરીઉદ્દીન અત્તર, અનુ. સુરેશ દલાલ )
.
મૂળ : પર્શિયન