લઘુકાવ્યો – પન્ના નાયક
(૧)
ઘરઆંગણે
ન ઓળંગાતા
ઠરીને બરફ થઈ ગયેલા
સ્નોના ઢગલે ઢગલા.
.
ક્યારે સૂરજ ઊગશે ?
ક્યારે ?
.
(૨)
ચાલ્યા કરે છે હજીય
તારી ને મારી
શોધ
કશુંક રચવા.
.
એ રચાઈ જશે
એટલે પતંગિયું ઊડી જતાં
નમેલું ફૂલ સ્વસ્થ થાય એમ
નહીં રહે કોઈ અજંપ
નહીં રહે કોઈ ખેવના.
.
વિચારું છું-
પછી આપણું શું થશે ?
.
(૩)
તું અહીં નથી
ને
વરસું વરસું થતાં વાદળાંનો ભાર
મારે જીરવ્યા કરવાનો
ભીનો ભીનો….
.
(૪)
ઢળતી સાંજે
મિત્રની વૃદ્ધ માને મળવા જાઉં છું
ત્યારે
આંખ સામે તરવરતું હોય છે
નવેમ્બરની સવારના તડકામાં જોયેલું
ખરું ખરું થઈ રહેલું એક પાન…
.
(૫)
દીવો ઓલવ !
ચાલ,
એકમેકને જીવી લઈએ
પથારી પર
નૃત્ય કરતી
ચૈત્રની ચાંદનીના સાન્નિધ્યમાં…
.
( પન્ના નાયક )