પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી
(૧)
હે નાથ,
.
રામનામની પ્રાર્થનામાં સમેટાયેલ અને સમાયેલ સમગ્ર જીવનના આંગણે અમે લાભ-શુભના કંકુ ચોખાના સાથિયા થઈ રહીએ એવું સૌભાગ્ય અમને આપો.
.
આદિ, અંતે અને મધ્યે રામ-હી-રામની અનાહત સ્પંદના અમારો વિરામ હો, હે દેવ !
.
પ્રસાદ
સ્વરથી ઈશ્વર ભણી એમ નહીં પણ સ્વર જ સ્વયમ ઈશ્વર એવો પ્રગટ પ્રકાશ એ જ ‘રામેશ્વરમ’, નાદબ્રહ્મનો સૂરમય ઉજાસ.
.
(૨)
હે નાથ,
.
અત્યંત પ્રકાશમય માયાના અડાબીડ અંધારેથી અમને અમારી ઓળખ સુધી દોરી જાઓ. અંજાઈને આંધળાભીંત થયેલ અમને આંગળી પકડીને ઉગારો, હે દેવ !
.
પ્રસાદ
પ્રકાશને પામવા માટે પ્રગટી જવું પડે એવી દર્શન દિવ્યતાનું નામ તિરૂપતિ. અંદરના અજવાળે ઓળખાતી અને ઉજવાતી આનંદજ્યોત એ જ બાલાજી.
.
( ડો. ભરતભાઈ મિસ્ત્રી )